મિડલ ઈસ્ટમાં છેલ્લા ઘણા દિવસોથી સંઘર્ષ ચાલી રહ્યો છે. આ યુદ્ધ દરમિયાન અમેરિકાએ ઈરાનને પરમાણુ હુમલાની પણ ધમકી આપી હતી, જ્યારબાદ ઈરાનના રાષ્ટ્રીય સંકટ પ્રબંધન મુખ્યાલયે ત્યાંના લોકોને આયોડિનની દવાઓ વહેંચવાનો નિર્ણય લીધો હતો. ચાલો જાણીએ આનાથી શું થાય છે અને તે કેવી રીતે જીવ બચાવવામાં મદદરૂપ સાબિત થાય છે.
હવામાં ફેલાઈ શકે છે રેડિયોએક્ટિવ આયોડિન-131
પરમાણુ હુમલા કે ન્યુક્લિયર દુર્ઘટના સમયે હવામાં રેડિયોએક્ટિવ આયોડિન-131 ફેલાઈ શકે છે, જે શ્વાસ કે ખોરાક દ્વારા શરીરમાં પ્રવેશીને થાઇરોઇડ ગ્રંથિને નુકસાન પહોંચાડે છે. cdc.gov અનુસાર, આવી સ્થિતિમાં પોટેશિયમ આયોડાઈડ (KI)ની ગોળી (દવા) માનવ જીવન બચાવવા માટે સુરક્ષા કવચ બની જાય છે. આ ગોળી સ્થિર આયોડિનથી બનેલી હોય છે જે થાઇરોઇડને રેડિયોએક્ટિવ આયોડિનથી બચાવે છે.
થાઇરોઇડ હોર્મોન બનાવવા માટે આયોડિનનો ઉપયોગ
WHOની ગાઇડલાઇન અનુસાર, થાઇરોઇડ ગ્રંથિ શરીરમાં આયોડિન શોષવાનું મુખ્ય અંગ છે, કારણ કે તે થાઇરોઇડ હોર્મોન બનાવવા માટે આયોડિનનો ઉપયોગ કરે છે. પરમાણુ હુમલામાં નીકળતું રેડિયોએક્ટિવ આયોડિન પણ આ જ ગ્રંથિમાં જમા થઈ જાય છે, જેનાથી થાઇરોઇડ કેન્સર કે અન્ય ગંભીર બીમારીઓ થઈ શકે છે. ખાસ કરીને બાળકો, ગર્ભવતી મહિલાઓ અને નવજાત બાળક આનાથી સૌથી વધુ પ્રભાવિત થાય છે.
કેવી રીતે કામ કરે છે KI દવા?
આ દવા થાઇરોઇડ ગ્રંથિને ‘સ્થિર આયોડિન’થી ભરી દે છે. થાઇરોઇડ ગ્રંથિ સ્થિર અને રેડિયોએક્ટિવ આયોડિન વચ્ચેનો તફાવત પારખી શકતી નથી. તેથી જ્યારે દવા લેવામાં આવે છે, ત્યારે ગ્રંથિ પહેલેથી જ ભરાયેલી હોવાથી તે રેડિયોએક્ટિવ આયોડિન શોષી શકતી નથી. આનાથી રેડિયોએક્ટિવ આયોડિન પેશાબ દ્વારા શરીરની બહાર નીકળી જાય છે.
શરીરના આ સામાન્ય સંકેતોનો અવગણો નહીં, બાકી ડેમેજ થઈ શકે છે લિવર અને કિડની
24 કલાક સુધી રહે છે દવાની અસર
ન્યૂયોર્ક સ્ટેટ હેલ્થના રિપોર્ટ અનુસાર, આ દવાની અસર 24 કલાક સુધી રહે છે. આને એક્સપોઝર પહેલા અથવા તરત જ તેને લેવાથી સૌથી વધુ ફાયદો થાય છે. જો તે 3-4 કલાક પછી લેવામાં આવે તો પણ થોડી સુરક્ષા મળી શકે છે, પરંતુ મોડું થવા પર તેની અસર ઓછી થઈ જાય છે. એક માત્રા થાઇરોઇડની જરૂરિયાતોને પૂર્ણ કરે છે.
શું અન્ય રેડિયેશનથી પણ મળે છે સુરક્ષા?
health.ny.gov અનુસાર, આ દવા આખા શરીરને કે અન્ય પ્રકારના રેડિયેશનથી સુરક્ષા આપતી નથી. તે માત્ર થાઇરોઇડ ગ્રંથિને જ રેડિયોએક્ટિવ આયોડિનથી બચાવે છે. અન્ય રેડિયોએક્ટિવ તત્વો જેમ કે, સીઝિયમ કે પ્લુટોનિયમથી બચવા માટે અલગ ઉપાયો જરૂરી છે. KI એ કોઈપણ રેડિયેશનનું સામાન્ય એન્ટિડોટ નથી.
KIને ન્યુક્લિયર ઇમરજન્સી માટે ક્યારે મળી મંજૂરી?
FDAએ 1982માં KIને ન્યુક્લિયર ઇમરજન્સી માટે મંજૂરી આપી હતી. ચેરનોબિલ અને ફુકુશિમા જેવી ઘટનાઓમાં ઘણા દેશોએ તેનો ઉપયોગ કર્યો હતો. ભારતમાં પણ ઈમરજન્સીની સ્થિતિ માટે આરોગ્ય વિભાગ તેનો સ્ટોક રાખે છે. તેની માત્રા ઉંમરના આધારે નક્કી કરવામાં આવે છે.
ડોક્ટર કે સરકારી નિર્દેશોનું પાલન જરૂરી
ગોળી લેતા પહેલા ડોક્ટર અથવા સરકારી સૂચનાઓનું પાલન કરવું જરૂરી છે. ખોટા ઉપયોગથી થાઇરોઇડ સંબંધિત સમસ્યાઓ, એલર્જી કે પેટની તકલીફ થઈ શકે છે. ગર્ભવતી મહિલાઓ અને સ્તનપાન કરાવતી માતાઓએ વિશેષ સાવધાની રાખવી જોઈએ.
Throat Cancer: ગળામાં થતી આ તકલીફ હોય શકે છે કેન્સરનું શરુઆતી લક્ષણ, સમયસર ચેતી જવું
પરમાણુ હુમલાની આશંકા, થાઈરોઈડ કેન્સરનું જોખમ ઓછું
પરમાણુ હુમલાની આશંકા દરમિયાન KI (પોટેશિયમ આયોડાઈડ)ની દવા થાઈરોઈડ કેન્સરના જોખમને 90 ટકા સુધી ઘટાડી શકે છે. નિષ્ણાતોનું કહેવું છે કે, આ દવા હંમેશા સત્તાવાર ચેતવણી મળ્યા બાદ જ લેવી જોઈએ. તે સાધારણ મીઠું કે આયોડાઈઝ્ડ સોલ્ટનો વિકલ્પ નથી. સમયસર સાચા ઉપયોગથી લાખો લોકોના જીવ બચાવી શકાય છે.