
સદનસીબે, આ ઘટનામાં કોઈ જાનહાનિ કે સંપત્તિને નુકસાન થયાના અહેવાલ સામે આવ્યા નથી.
છેલ્લા કેટલાક દિવસોમાં ગુજરાતના અલગ-અલગ વિસ્તારોમાં હળવા ભૂકંપ(Earthquake)ના આંચકા અનુભવાતા રહેતા હોવાથી લોકોમાં ચિંતા વધતી નજરે પડી રહી છે. 21 એપ્રિલે સૌરાષ્ટ્રના રાજકોટ જિલ્લામાં 3.2 તીવ્રતાનો ભૂકંપ નોંધાયો હતો, જ્યારે તે પહેલાં 29 માર્ચે અમરેલી જિલ્લામાં 3.1 તીવ્રતાનો ભૂકંપ અનુભવાયો હતો. આ ભૂકંપ અમરેલીથી આશરે 42 કિલોમીટર દક્ષિણ-દક્ષિણપૂર્વ દિશામાં 11.6 કિલોમીટરની ઊંડાઈએ કેન્દ્રિત હતો.
સાવરકુંડલાના ધારાસભ્ય મહેશ કસવાલાએ જણાવ્યું હતું કે અમરેલી જિલ્લામાં છેલ્લા થોડા દિવસોથી વારંવાર હળવા આંચકા અનુભવાઈ રહ્યા છે. મિતીયાળા ગામના સરપંચે પણ 29 માર્ચના ભૂકંપને સ્પષ્ટપણે અનુભવાયો હોવાનો ઉલ્લેખ કર્યો હતો. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વધુ તપાસ માટે ટેકનિકલ ટીમને અમરેલી જિલ્લામાં મોકલવાની ખાતરી આપી છે.
વિશ્વાસ અપાયો છે કે હાલની સ્થિતિ નિયંત્રણમાં છે, છતાં સતત આવી રહેલા હળવા ભૂકંપો(Eartquake)ને કારણે સ્થાનિક લોકોમાં સતર્કતા અને ચિંતા બંને જોવા મળી રહી છે. નિષ્ણાતો દ્વારા પરિસ્થિતિ પર નજર રાખવામાં આવી રહી છે.