
આ તમામ નદીઓની વચ્ચે ગંગા નદીને સૌથી ખાસ માનવામાં આવે છે. તેને દેશની જીવાદોરી (લાઈફલાઈન) પણ કહેવામાં આવે છે. તેનું એક મોટું કારણ એ છે કે તેના પાણીમાં ઓક્સિજનનું સ્તર (Dissolved Oxygen) અન્ય નદીઓની સરખામણીમાં વધારે જોવા મળે છે. આ જ કારણે તેનું પાણી લાંબા સમય સુધી તાજું રહે છે અને તેમાં રહેતા જીવજંતુઓ માટે શ્રેષ્ઠ વાતાવરણ મળે છે.
વધુ ઓક્સિજન હોવાનું કારણ શું છે?
ગંગાના પાણીમાં વધુ ઓક્સિજન હોવા પાછળ એક ખાસ કારણ છે, જેને તેની ‘પ્રાકૃતિક સ્વ-શુદ્ધિકરણ ક્ષમતા’ કહેવામાં આવે છે. સરળ ભાષામાં સમજીએ તો, આ નદી પોતાના પાણીને ઘણી હદ સુધી જાતે જ સાફ રાખવાની શક્તિ ધરાવે છે. ઘણા અભ્યાસોમાં સામે આવ્યું છે કે ગંગાનું પાણી જૈવિક રીતે સક્રિય રહે છે, જેનાથી તેમાં ઓક્સિજનનું સ્તર સંતુલિત રહે છે. આ જ કારણ છે કે તેનું પાણી જલ્દી ખરાબ થતું નથી.
કેટલો ઓક્સિજન હોય છે?
વૈજ્ઞાનિક સંશોધનોમાં પણ આ વાત સામે આવી છે કે ગંગાના ઘણા હિસ્સાઓમાં ઓગળેલા ઓક્સિજનનું સ્તર લગભગ 5.8 થી 8.9 mg/L ની વચ્ચે જોવા મળ્યું છે. સામાન્ય રીતે, 5 mg/L થી વધુ ઓક્સિજનનું સ્તર જળચર જીવન માટે સારું માનવામાં આવે છે. આ દ્રષ્ટિએ ગંગા નદી ઘણી જગ્યાએ આ માપદંડ કરતા પણ સારી સ્થિતિમાં છે. જોકે, એ પણ હકીકત છે કે દરેક જગ્યાએ પાણીની ગુણવત્તા એકસરખી હોતી નથી.
સમયની સાથે પ્રદૂષણ અને માનવીય પ્રવૃત્તિઓની અસર ગંગા પર પણ પડી છે. કેટલાક વિસ્તારોમાં પાણીની ગુણવત્તા નબળી પડી છે. તેમ છતાં, પોતાની ખાસ બનાવટ અને સ્વ-શુદ્ધિકરણ ક્ષમતાને કારણે ગંગા અન્ય નદીઓ કરતા અલગ ઓળખ ધરાવે છે. વધુ ઓક્સિજન હોવો એ તેની સૌથી મોટી ખાસિયત છે, અને એટલે જ તેને ‘જીવનદાયીની’ નદી કહેવામાં આવે છે. પર્યાવરણ માટે પણ આ નદી ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે.