
તેલ કંપનીઓને થઈ રહ્યું છે કરોડોનું નુકસાન
સૂત્રોના જણાવ્યા અનુસાર, ભારતની જાહેર ક્ષેત્રની તેલ કંપનીઓ (OMCs) ને દર મહિને અંદાજે 30,000 કરોડ રૂપિયાનું ભારે નુકસાન થઈ રહ્યું છે. એટલે કે દરરોજ આશરે 1000 કરોડ રૂપિયાનું નુકસાન સરકાર અથવા કંપનીઓ સહન કરી રહી છે. આ સ્થિતિ લાંબો સમય ટકાવી રાખવી મુશ્કેલ હોવાથી 15 મે પહેલા ઈંધણના ભાવમાં વધારો કરવામાં આવી શકે છે.
વિશ્વના અન્ય દેશોની સરખામણીએ ભારતની સ્થિતિ
વૈશ્વિક સ્તરે તેલ પુરવઠો ખોરવાતા હોંગકોંગમાં પેટ્રોલનો ભાવ 295 પ્રતિ લીટર અને બ્રિટનમાં 195 સુધી પહોંચી ગયો છે. પાકિસ્તાન, શ્રીલંકા અને બાંગ્લાદેશ જેવા પાડોશી દેશોમાં ઈંધણની રાશનિંગ અથવા ઈમરજન્સી જેવા પગલાં લેવા પડ્યા છે. તેની સરખામણીએ ભારતમાં હજુ પણ ઘણી જગ્યાએ પેટ્રોલ ₹95 ની આસપાસ મળી રહ્યું છે, કારણ કે સરકાર અને તેલ કંપનીઓ લિટર દીઠ આશરે 24 થી 30 સુધીનો બોજ પોતે ઉઠાવી રહી છે.
ભારતે સ્થિતિ વણસે તે પહેલા જ રશિયા, અમેરિકા અને પશ્ચિમ આફ્રિકાથી તેલની આયાત વધારીને પુરવઠો સ્થિર રાખ્યો છે. દેશની રિફાઈનરીઓ 100% થી વધુ ક્ષમતા પર કામ કરી રહી છે જેથી ઈંધણની અછત ન સર્જાય. જોકે, વૈશ્વિક સંઘર્ષ લાંબો ખેંચાતા હવે પબ્લિક સેક્ટરની કંપનીઓ પર દબાણ વધી ગયું છે, જેની સીધી અસર સામાન્ય જનતાના ખિસ્સા પર આગામી અઠવાડિયામાં જોવા મળી શકે છે.