બાંગ્લાદેશને ‘કાંટાળા તાર’ બતાવીને ડરાવી શકાય નહીં, શુભેન્દુ સરકારના ફેન્સિંગના નિર્ણયથી પાડોશી દેશમાં ખળભળાટ

Spread the love
બાંગ્લાદેશના પ્રધાનમંત્રી તારિક રહેમાનના વિદેશ મામલાના સલાહકાર હુમાયૂં કબીરે એક વિવાદાસ્પદ નિવેદન આપતા કહ્યું છે કે, બાંગ્લાદેશને ‘કાંટાળા તાર’ બતાવીને ડરાવી શકાય નહીં. ભારત-બાંગ્લાદેશ સરહદ પર ફેન્સિંગ (વાડ) લગાવવાના અને સુરક્ષા વધારવાના ભારતના તાજેતરના નિર્ણયો બાદ આ પ્રતિક્રિયા આવી છે. કબીરે ભારપૂર્વક જણાવ્યું કે, સરહદ વિવાદોનું નિરાકરણ માત્ર વાતચીત અને માનવીય અભિગમથી જ શક્ય છે.

તેમણે વધુમાં ઉમેર્યું કે, બાંગ્લાદેશના લોકો કે ત્યાંની સરકાર કાંટાળા તારથી ડરતી નથી અને જ્યાં જરૂર જણાશે ત્યાં તેઓ વાતચીત માટે તૈયાર છે.

 

પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી શુભેન્દુ અધિકારી પર નિશાન

 

પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી શુભેન્દુ અધિકારી પર નિશાન સાધતા હુમાયૂં કબીરે કહ્યું કે, ‘ચૂંટણી દરમિયાન કરવામાં આવતી મોટી વાતો અને વાસ્તવિક શાસન બંને અલગ બાબતો છે.’ બાંગ્લાદેશ એ જોવા માંગે છે કે શું અધિકારી સરકાર તેમના ચૂંટણીલક્ષી વચનોનું પાલન શાસનમાં કરે છે કે નહીં. આ અગાઉ બાંગ્લાદેશના વિદેશ મંત્રી ખલીલુર રહેમાને પણ ચેતવણી આપી હતી કે જો પશ્ચિમ બંગાળમાં સત્તા પરિવર્તન બાદ ‘પુશ-બેક’ (સરહદ પારથી પરત મોકલવાની ઘટનાઓ) થશે, તો ઢાકા આ બાબતે કડક કાર્યવાહી કરશે.

 

બંગાળ સરકારનો મોટો નિર્ણય: BSFને વાડ લગાવવા જમીન અપાશે

 

પશ્ચિમ બંગાળમાં નવી ભાજપ સરકારની પ્રથમ કેબિનેટ બેઠકમાં મુખ્યમંત્રી શુભેન્દુ અધિકારીએ ભારત-બાંગ્લાદેશ સરહદ પર ફેન્સિંગ લગાવવા માટે સીમા સુરક્ષા બળ (BSF)ને જમીન આપવાનો મહત્ત્વનો નિર્ણય લીધો છે. મુખ્યમંત્રીએ જણાવ્યું કે, સરહદ પર વાડ લગાવવી એ તેમના મુખ્ય એજન્ડામાં સામેલ હતું. રાજ્યનું લેન્ડ ડિપાર્ટમેન્ટ આજથી જ જમીન ટ્રાન્સફરની પ્રક્રિયા શરૂ કરી દેશે અને આગામી 45 દિવસમાં આ જમીન કેન્દ્રીય ગૃહ મંત્રાલયને સોંપી દેવામાં આવશે. આ નિર્ણયનો હેતુ સરહદી સુરક્ષા મજબૂત કરવાનો અને ઘૂસણખોરી અટકાવવાનો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *