હવે દરિયો આડો નહીં આવે! ખંભાતના અખાતમાં બનશે ભારતનો સૌથી લાંબો દરિયાઈ પુલ, ભાવનગર-ભરૂચ 45 મિનિટમાં પહોંચી જશો

Spread the love
ગુજરાતના માળખાગત સુવિધાઓના ઇતિહાસમાં એક સુવર્ણ અધ્યાય જોડાવા જઈ રહ્યો છે. કેન્દ્ર સરકારે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના લાખો લોકોને વર્ષોથી મુસાફરી સંબંધિત થતી મુશ્કેલીઓ દૂર કરવાના હેતુથી એક અત્યંત મહત્ત્વાકાંક્ષી પ્રોજેક્ટને સત્તાવાર મંજૂરી આપી દીધી છે. કેન્દ્રીય માર્ગ પરિવહન અને ધોરીમાર્ગ મંત્રાલય (MoRTH)એ ખંભાતની અખાત પર એક શાનદાર અને અત્યાધુનિક દરિયાઈ પુલ બનાવવાની દિશામાં મહત્ત્વપૂર્ણ પગલાં લીધાં છે.

આ કનેક્ટિવિટી જામનગર-ભાવનગર-ભરૂચ હાઇ-સ્પીડ કોરિડોરનો મોટો હિસ્સો બનશે.

 

હાલમાં, ભાવનગરથી ભરૂચ અથવા સુરત આવવા માટે બગોદરા અથવા વડોદરા થઈને લાંબો ચકરાવો ખાવો પડે છે. આ મુસાફરીમાં લગભગ 7-8 કલાકનો સમય લાગે છે. જોકે, આ નવો એક્સપ્રેસ-વે અને PM ગતિ શક્તિ પ્રોજેક્ટ હેઠળ પ્રસ્તાવિત આશરે 30 કિલોમીટર લાંબા દરિયાઈ પુલના નિર્માણ પછીઆ અંતર ફક્ત 45 મિનિટથી એક કલાકમાં કાપી શકાશે.

આ હાઇવે પ્રોજેક્ટને કારણેભાવનગર અને સુરત વચ્ચેનું અંતર લગભગ 240 કિલોમીટર ઘટી જશે, જેના કારણે વાહનચાલકોનું કરોડો રૂપિયાનું ઇંધણ બચી જશે. હાલમાં, ભારતનો સૌથી લાંબો દરિયાઈ પુલ મુંબઈનો ‘અટલ સેતુ’ (21.8 કિમી) છે. પરંતુ, ખંભાતના અખાત પર બનનાર ભવ્ય પુલ આશરે 30 કિલોમીટર લાંબો હશે; એકવાર પૂર્ણ થયા પછી, તે સત્તાવાર રીતે ભારતનો સૌથી લાંબો દરિયાઈ પુલ બની જશે. આ છ-લેનનો હાઇ-સ્પીડ એક્સપ્રેસ વે સુરત નજીકના ઔદ્યોગિક ક્ષેત્રોને દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ વે સાથે સીધો જોડશે.

 

વેપાર અને રોજગારને મળશે બૂસ્ટર ડોઝ

 

આ પ્રોજેક્ટ ન માત્ર સમય બચાવશે, પરંતુ ગુજરાતના આર્થિક પરિદૃશ્ય માટે ગેમ-ચેન્જર પણ સાબિત થશે. આ પ્રોજેક્ટથી ભાવનગરના અલંગ યાર્ડ અને આસપાસના ઉદ્યોગો માટે લોજિસ્ટિક્સ ખર્ચમાં ભારે ઘટાડો થશે. આ માર્ગ ધોલેરા સેમિકન્ડક્ટર હબને દક્ષિણ ગુજરાતના ઔદ્યોગિક વિસ્તારો, જેમ કે હજીરા અને અંકલેશ્વર સાથે સીધો જોડશે. સૌરાષ્ટ્રના ધાર્મિક સ્થળો (જેમ કે સોમનાથ અને દ્વારકા) દક્ષિણ ગુજરાતના પ્રવાસીઓ માટે ખૂબ નજીક આવી જશે.

 

હાલની સ્થિતિ શું છે?

 

સરકારે આ પ્રોજેક્ટ માટે વિગતવાર પ્રોજેક્ટ રિપોર્ટ (DPR) ઝડપથીતૈયાર કરવા માટે એજન્સીઓ પાસેથી બિડ મંગાવવાની પ્રક્રિયા શરૂ કરી છે. DPR દ્વારા, દરિયાઈ ઇકોસિસ્ટમ, હાઇડ્રોલોજિકલ સર્વેક્ષણ, જમીન સંપાદન અને પર્યાવરણીય મંજૂરીઓ સહિત તમામ ટેક્નિકલ પાસાઓનો ઊંડાણપૂર્વકનો અભ્યાસ હાથ ધરવામાં આવશે. રિપોર્ટને અંતિમ સ્વરૂપ આપ્યા પછી તરત જ ગ્રાઉન્ડ-લેવલ બાંધકામ માટે ટેન્ડર જાહેર કરવામાં આવશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *