
નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની અધ્યક્ષતામાં યુપીએસસી સિવિલ સર્વિસીસ પરીક્ષા-૨૦૨૫માં સફળતા મેળવનાર ગુજરાતના 35 યુવા ઉમેદવારોનો સન્માન સમારોહ યોજાયો હતો.
નાયબ મુખ્યમંત્રીએ નવા અધિકારીઓને કરી ટકોર
આ કાર્યક્રમમાં હાજર રહેવાની સાથે પ્રવચન આપતાં જ નાયબ મુખ્યમંત્રીએ નવા અધિકારીઓને ટકોર કરી હતી કે તમે અધિકારી બન્યા છો તો તમારા માતા પિતાને આભારી છે. અધિકારી બન્યા બાદ ભવિષ્યમાં પણ ગરીબ અને ગામડાના માતા પિતાથી શરમ અનુભવતા નહિ. જો શરમ અનુભવશો તો ક્યારેય સફળ નહી થઈ શકો. માતા પિતાને પ્રેમ અને વિશ્વાસથી વધુ કઈ ન હોય શકે. હું મારી ટીમ સિલેક્ટ કરું ત્યારે એક બાબત જરૂર જોવું છું. જે પોતાના માતા પિતાને માન સન્માન ન આપતા હોય એ મારી ટીમમાં ક્યારેય હોતા નથી. જે પોતાના માતા પિતાનો ન થયો હોય તે આપડો તો શું થાય.
નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ આ કાર્યક્રમમાં 2025 યુપીએસસી ઉત્તીર્ણ ગુજરાતના ઉમેદવારોને શુભકામના આપી હતી. જેઓએ પોતાના વક્તવ્યમાં જણાવ્યું હતું કે, એક સમય એવો હતો જ્યારે યુપીએસસીની આખી યાદીમાં કોઈ એકાદ ગુજરાતીનું નામ ભાગ્યે જ જોવા મળતું પરંતુ, ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી અને દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના દૂરંદેશી નેતૃત્વના પરીણામે આજે 35 ઉમેદવારોએ આ પરીક્ષા પાસ કરી છે. તેમના કાર્યકાળમાં જ સ્પિપાને વિશેષ મહત્વ આપી અનેક જરૂરી બદલાવ કરવામાં આવ્યા હતા. તેમણે 15-20 વર્ષ પહેલાં જે વિઝન રાખ્યું હતું, તેના પરીણામે આજે કોઈપણ રાજ્ય સરકાર દ્વારા ચાલતી સંસ્થાઓમાં સૌથી વધુ એટલે કે 35 ઉમેદવારો એક જ વર્ષમાં પાસ થયા છે.
અધિકારી બન્યા પછી પણ સ્વભાવમાં નમ્રતા રાખવા અપીલ કરતાં તેમણે કહ્યું હતુ કે, તમે જીવનમાં ગમે તેટલી પ્રગતિ કરો પરંતુ તમારા મુળને કદી ન ભૂલતાં. જે વ્યક્તિ જમીન સાથે જોડાઈને ચાલશે તેને જીવનમાં ક્યારેય વાંધો નહીં આવે. નામ અને સ્તરમાં માન વધવાની સાથે લોકોના દિલમાં જે પ્રેમ છે તે ઓછો ન થાય તે રીતે કામ કરવા નાયબ મુખ્યમંત્રીએ જણાવ્યું હતું.