વિજ્ઞાન જાથાના ચેરમેન જયંત પંડ્યાએ હવામાન આગાહીકાર અંબાલાલ પટેલ પર કરેલા આક્ષેપ બાદ હવે અંબાલાલ પટેલે પોતાનું નિવેદન આપ્યું છે.
અંબાલાલ પટેલે જણાવ્યું કે તેઓ અગાઉ ગુજરાત સરકારમાં સારા હોદા પર સેવા આપી ચૂક્યા છે અને નિવૃત્તિ બાદ પણ તેઓ ખેડૂતોના હિતમાં હવામાન આગાહીઓ કરી રહ્યા છે. તેમણે કહ્યું કે જો ખેડૂત સમાજ તેમનો વિરોધ કરે તો તેઓ આગાહી કરવાનું બંધ કરી દેશે, પરંતુ મોટા ભાગના ખેડૂતો તેમની આગાહીઓને ઉપયોગી માને છે.તેમણે વધુમાં જણાવ્યું કે તેમની પાસે કૃષિ અને મેટ્રોલોજી વિષયનો શૈક્ષણિક આધાર છે. તેમની કોલેજમાં પણ મેટ્રોલોજી વિભાગ હતો અને તેમણે BSc એગ્રીકલ્ચર અંગ્રેજી માધ્યમમાં અભ્યાસ કર્યો છે. તેઓ મેટ્રોલોજીના પુસ્તકોના આધારે હવામાન આગાહી કરે છે.
અંબાલાલ પટેલે દાવો કર્યો કે અગાઉ સચિવાલયમાં સેવા દરમિયાન રાહત બેઠકોમાં તેમના અભિપ્રાય લેવામાં આવતા હતા અને હવામાન વિભાગનો અભિપ્રાય પણ જોડીને નિર્ણય લેવાતો હતો.તેમણે કહ્યું કે નક્ષત્ર અને ઋતુચક્રના આધારે કૃષિ પર અસર પડે છે, જે ખેડૂત સમુદાય પણ જાણે છે. જેમ કે વૃશ્ચિક નક્ષત્રમાં વાવેતરથી પાકમાં રોગ-જીવાતનો જોખમ રહે છે, જ્યારે આદ્રા નક્ષત્રમાં વરસાદ હોય તો તે ખેતી માટે અનુકૂળ ગણાય છે.
અંબાલાલ પટેલે સ્પષ્ટ કર્યું કે તેઓ કોઈ અંધશ્રદ્ધા કે ભુવા-જાગરિયા જેવી માન્યતાઓથી આગાહી કરતા નથી, પરંતુ ગ્રહ, નક્ષત્ર અને ઋતુચક્રના વૈજ્ઞાનિક તેમજ કૃષિ આધારિત અભ્યાસના આધારે આગાહી કરે છે.
