મંગોલિયા પોતાના વિશાળ ખનિજ ભંડારો, ખાસ કરીને સોનું અને યુરેનિયમ માટે સમગ્ર વિશ્વનું ધ્યાન ખેંચી રહ્યું છે. આ દરમિયાન ભારતના વિદેશ મંત્રી ડૉ. સુબ્રહ્મણ્યમ જયશંકર સોમવારે બે દિવસની સત્તાવાર યાત્રા પર મંગોલિયા પહોંચી ગયા છે. મંગોલિયાની રાજધાની ઉલાનબટોરમાં તેમણે પોતાના મંગોલિયાઈ સમકક્ષ બત્ત્સેત્સેગ બત્મંખ સાથે મુલાકાત કરી હતી.
જયશંકરે જણાવ્યું કે ભારત મંગોલિયા સાથેના પોતાના ગાઢ અને મૈત્રીપૂર્ણ સંબંધોને આગળ વધારવા માટે સંપૂર્ણપણે તૈયાર છે. વિદેશ મંત્રીની આ યાત્રા દરમિયાન બંને દેશો વચ્ચેની વ્યૂહાત્મક ભાગીદારી (Strategic Partnership) પર વિશેષ ભાર મૂકવામાં આવશે.
મંગોલિયાનો ખજાનો ભારતને કરાવશે મોટો ફાયદો
ભારત મંગોલિયા સાથે વ્યૂહાત્મક સંબંધો મજબૂત કરવાની સાથે માઇનિંગ અને ક્લીન એનર્જી જેવા ક્ષેત્રો પર નજર રાખી રહ્યું છે. મંગોલિયા પાસે યુરેનિયમ અને સોનાનો વિશાળ ભંડાર છે, જે ભારત માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થઈ શકે તેમ છે. અત્યાર સુધી ચીનની નજર મંગોલિયાના સંસાધનો પર હતી, પરંતુ હવે ભારતે પણ આ દિશામાં મજબૂત કદમ ઉઠાવ્યા છે.
મંગોલિયા પાસે છે યુરેનિયમનો અખૂટ ભંડાર
મંગોલિયા વિશ્વના સૌથી વધુ ખનિજ સમૃદ્ધ દેશોમાં સ્થાન ધરાવે છે, જ્યાં માઇનિંગ સેક્ટર દેશની જીડીપી માં 25% હિસ્સો ધરાવે છે અને નિકાસની કમાણીમાં તેનો હિસ્સો 90% જેટલો છે. દેશમાં તાંબું, કોલસો અને સોના સહિત 80 જેટલા ખનિજોના 1,000 થી વધુ ભંડારો છે.
સૌથી મહત્વની વાત એ છે કે મંગોલિયામાં વિશ્વનો સૌથી મોટો અવિકસિત યુરેનિયમ ભંડાર છે, જે આશરે 1,92,000 ટન હોવાનો અંદાજ છે. હાલમાં ત્યાં યુરેનિયમની કોઈ કોમર્શિયલ ખાણ સક્રિય નથી, પરંતુ મોટા આંતરરાષ્ટ્રીય રોકાણની મદદથી વર્ષ 2028 સુધીમાં ત્યાં ઉત્પાદન શરૂ થવાની સંભાવના છે.
તાંબું, સોનું અને લિથિયમનો પણ ભંડાર
તાંબું અને સોનું: મંગોલિયામાં 56 મિલિયન ટનથી વધુ તાંબાનો ભંડાર છે, જે દેશની સૌથી મૂલ્યવાન નિકાસ પ્રોડક્ટ છે. દક્ષિણ ગોબી વિસ્તારમાં આવેલી ‘ઓયુ તોલગોઈ’ ખાણ વિશ્વના સૌથી મોટા તાંબા-સોનાના ભંડારોમાંની એક છે. આ સિવાય ગેત્સુર્ટ, બોરો અને જામાર જેવા વિસ્તારોમાંથી મોટા પાયે સોનું કાઢવામાં આવી રહ્યું છે.
કોલસો અને અન્ય ખનિજો: મંગોલિયા પાસે 36 બિલિયન ટન કોલસો છે, જેમાં ઉચ્ચ ગુણવત્તાવાળો કોકિંગ કોલ પણ સામેલ છે. આ સિવાય ત્યાં લિથિયમ અને ફ્લોર્સપાર સહિત અંદાજે 3.1 મિલિયન ટન રેર અર્થ એલિમેન્ટ્સનો ભંડાર છે.
ભારત-મંગોલિયા પરમાણુ સંબંધો અને એનર્જી ડીલ
ભારત પોતાના નાગરિક પરમાણુ કાર્યક્રમ (Civil Nuclear Program) માટે મંગોલિયા પાસેથી યુરેનિયમ મેળવવા અંગે લાંબા સમયથી વાતચીત કરી રહ્યું છે. ભારત પોતાની પરમાણુ ઊર્જાની જરૂરિયાતો પૂરી કરવા માંગે છે, જ્યારે મંગોલિયા વૈશ્વિક સપ્લાય પાર્ટનરશિપ બનાવવા ઈચ્છે છે. ભારતે યુરેનિયમ માઇનિંગ અને પ્રોસેસિંગ માટે સંયુક્ત ભાગીદારીનો પ્રસ્તાવ પણ મૂક્યો છે. ભારત પોતાના યુરેનિયમ આયાતમાં વિવિધતા લાવવા માંગતું હોવાથી જયશંકરના આ પ્રવાસ દરમિયાન કોઈ મોટી જાહેરાત થઈ શકે છે.
મંગોલિયા બાદ દક્ષિણ કોરિયા જશે જયશંકર
વિદેશ મંત્રી એસ. જયશંકર બે દેશોના પ્રવાસના પ્રથમ તબક્કામાં મંગોલિયા પહોંચ્યા છે. મંગોલિયાનો બે દિવસનો પ્રવાસ પૂર્ણ કર્યા બાદ તેઓ બુધવારે દક્ષિણ કોરિયા જવા રવાના થશે. સિઓલમાં તેઓ દક્ષિણ કોરિયાના વિદેશ મંત્રી ચો હ્યુન સાથે દ્વિપક્ષીય વાટાઘાટો કરશે અને ગુરુવારે શાંતિ અને સમૃદ્ધિ માટેના ‘જેજુ ફોરમ’ (Jeju Forum) માં મુખ્ય વક્તવ્ય આપશે.