Rajkot News: રાજકોટ જિલ્લાના જસદણ તાલુકામાં એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. પત્ની પ્રેમી સાથે ઘર છોડીને જતાં માનસિક રીતે વ્યથિત બનેલા એક યુવકે પોતાની નાની પુત્રી સાથે આત્મહત્યા કરી હોવાનું સામે આવ્યું છે. ઘટનાએ સમગ્ર વિસ્તારમાં ચકચાર મચાવી છે.
મળતી માહિતી મુજબ, મૃતકની ઓળખ ફૈયાઝ આરિફ તરીકે થઈ છે. પોલીસ તપાસમાં જાણવા મળ્યું છે કે લગભગ એક સપ્તાહ પહેલાં તેની પત્ની ફિરદૌસ અન્ય એક યુવક સાથે ઘર છોડીને ચાલી ગઈ હતી.
ત્યારબાદ ફૈયાઝ સતત માનસિક તણાવમાં રહેતો હતો.
આક્ષેપ છે કે પત્ની સાથે ગયેલા યુવકે ફૈયાઝને ફોન કરીને તેની નાની પુત્રી અંગે ઉશ્કેરણીજનક વાતો કરી હતી. આ ઘટનાથી ફૈયાઝ વધુ વ્યથિત બની ગયો હતો. અંતે તેણે પોતાની પુત્રીને સાથે લઈને મકાનની છત પર આવેલી પાણીની ટાંકીમાં કૂદીને આત્મહત્યા કરી લીધી હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે.
મૃતકની માતા હસીનાબેને જણાવ્યું હતું કે આરોપી યુવક તેમના ઘરની સામે આવેલી ઓફિસમાં કામ કરતો હતો અને તેની સાથે તેમની વહુના સંબંધો હતા. આ મુદ્દે પરિવાર વચ્ચે વારંવાર વિવાદ થતો હતો. તેમણે એવો પણ આક્ષેપ કર્યો કે વહુ અવારનવાર ઝઘડા કરતી અને પરિવારને ધમકીઓ આપતી હતી.
ઘટનાની જાણ થતાં પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલી આગળની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસે ગુનો નોંધી સમગ્ર મામલે તપાસ શરૂ કરી છે. હાલ પોલીસ તમામ પાસાઓને ધ્યાનમાં રાખીને ઘટનાની સત્યતા તપાસી રહી છે.
