સાચા પુરુષાર્થી માટે આ દુનિયામાં કોઈ પણ કાર્ય અશક્ય નથી – આચાર્ય શ્રી કુલદીપજી મહારાજ
ગુજરાત લોકભવન ખાતે આયોજિત ઐતિહાસિક આઠ દિવસીય શ્રીરામકથાનું અત્યંત ભક્તિમય, ઉલ્લાસપૂર્ણ અને ભાવુક વાતાવરણમાં ભવ્ય સમાપન થયું. કથાના આઠમા અને અંતિમ દિવસે સુપ્રસિદ્ધ કથાવાચક આચાર્ય શ્રી કુલદીપજી મહારાજે શ્રી હનુમાનજીના અજોડ શૌર્ય, રામ-રાવણ યુદ્ધ અને વૈદિક મંત્રોચ્ચાર વચ્ચે થયેલા શ્રીરામના રાજ્યાભિષેકનું અત્યંત વિસ્તૃત અને માર્મિક વર્ણન કર્યું હતું.
કથાના આઠમા દિવસનો પ્રારંભ કરતા આચાર્યશ્રીએ શ્રી હનુમાનજીની મહિમાનું વર્ણન કર્યું. તેમણે કહ્યું કે સાચા પુરુષાર્થી માટે આ દુનિયામાં કોઈ પણ કાર્ય અશક્ય નથી. સમસ્યા ગમે તેટલી મોટી કેમ ન હોય, બજરંગબલીએ પોતાના પુરુષાર્થ અને શ્રીરામના આશીર્વાદથી માતા સીતાની શોધનું કઠિન કાર્ય પણ સહજતાથી પૂર્ણ કર્યું. લંકામાં જઈને તેમણે શ્રીરામના નામનો જે ઝંડો લહેરાવ્યો, તે આજે પણ આપણને ગર્વથી ભરી દે છે. આચાર્યશ્રીએ વિશેષ રૂપે હનુમાનજીની વિનમ્રતાનો ઉલ્લેખ કરતા જણાવ્યું કે આટલી મોટી સફળતા પ્રાપ્ત કર્યા પછી પણ, તેમણે આનો સંપૂર્ણ શ્રેય શ્રીરામને અર્પણ કર્યો.
સમુદ્ર પર સેતુ બાંધીને લંકા પર ચઢાઈના પ્રસંગનું વર્ણન કરતા મહારાજશ્રીએ કહ્યું કે દુષ્ટતા ગમે તેટલી વિશાળ કેમ ન હોય, અંતે સજ્જનતા સામે તેનો પરાજય નિશ્ચિત છે. રાવણને દુષ્ટતાનું પ્રતીક ગણાવતા તેમણે રામ-રાવણ યુદ્ધનો અત્યંત આધ્યાત્મિક અને માર્મિક પ્રસંગ સંભળાવ્યો.
જ્યારે વિભીષણે ગભરાઈને શ્રીરામને કહ્યું કે રાવણ પાસે અજેય રથ અને ખતરનાક અસ્ત્ર-શસ્ત્ર છે, તો આપ રથ વિના આ યુદ્ધ કેવી રીતે જીતી શકશો? ત્યારે ભગવાન શ્રીરામે વિભીષણને સમજાવતા જીવનનું એક બહુ મોટું દર્શન આપ્યું. શ્રીરામે કહ્યું: વિભીષણ! જેનાથી વિજય થાય છે, તે રથ કોઈ બીજો છે. હું ધર્મ રૂપી રથ પર સવાર છું. ભગવાનનું નામ હંમેશા મારી રક્ષા કરે છે અને યમ-નિયમ રૂપી ઘોડા મારા આ રથમાં જોડાયેલા છે.
આચાર્યશ્રીએ આગળ જણાવ્યું કે, પોતાના ધર્મ રૂપી રથ પર સવાર શ્રી રઘુવીરે અંતે રાવણનો વધ કર્યો અને માતા સીતાને પૂરા સન્માન સાથે પાછા લાવવામાં આવ્યા. વિભીષણને લંકાના રાજા બનાવીને ૧૪ વર્ષના વનવાસ સમાપ્ત કરી શ્રીરામે અયોધ્યા તરફ પ્રયાણ કર્યું. શ્રીરામના આગમનના સમયે અયોધ્યાને દુલ્હનની જેમ શણગારવામાં આવી અને ભવ્ય દીપોત્સવ મનાવવામાં આવ્યો.
કથાના અંતિમ ચરણમાં, વેદોના પવિત્ર મંત્રોના ઉચ્ચારણ વચ્ચે શ્રીરામનો રાજ્યાભિષેક સંપન્ન થયો. સિયાવર રામચંદ્ર કી જય અને જય શ્રીરામના ગગનભેદી જયઘોષ સાથે આઠ દિવસો સુધી ચાલેલી આ જ્ઞાન, વૈરાગ્ય અને ભક્તિની ગંગાનું વિધિવત સમાપન થયું.
રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી, લેડી ગવર્નર શ્રીમતી દર્શના દેવીજી, વન-પર્યાવરણ મંત્રી શ્રી અર્જુનભાઇ મોઢવાડીયા, વન-પર્યાવરણ રાજ્ય મંત્રી શ્રી પ્રવીણભાઈ માળી, ગુજરાત રાજ્ય સંસ્કૃત બોર્ડના અધ્યક્ષ શ્રી હિમાંજય પાલિવાલ, ધારાસભ્ય શ્રી બાબુભાઇ પટેલ, અગ્રણી ઉદ્યોગપતિ શ્રી ગોવિંદભાઈ વરમોરા, મહારાષ્ટ્ર લોકભવનના અગ્ર સચિવ ડૉ. પ્રશાંત નારનવરે, પૂર્વ મંત્રી શ્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, ગૂજરાત વિદ્યાપીઠના કુલપતિ ડૉ. હર્ષદભાઈ પટેલ આમંત્રિત મહેમાનો, લોકભવન પરિવાર તથા મોટી સંખ્યામાં ઉપસ્થિત શ્રદ્ધાળુઓએ કથાનું શ્રવણ કરી પોતાના જીવનને કૃતાર્થ કર્યું.
