વડોદરાની માંજલપુર વિધાનસભા બેઠકની પેટા ચૂંટણીને લઈને રાજકીય માહોલ ગરમાયો છે. ભારતીય જનતા પાર્ટીએ આ બેઠક જીતવા માટે અત્યારથી જ કમર કસી લીધી છે અને ઉમેદવારોની પસંદગી માટેની પ્રક્રિયા તેજ બનાવી દીધી છે. પક્ષના નિરીક્ષકો પૂર્ણેશ મોદી, બળવંતસિંહ રાજપુત અને ગીતાબેન નાયક ભાજપ કાર્યાલય ખાતે પહોંચીને કાર્યકરોનો સેન્સ લઈ રહ્યા છે.આ બેઠક પર ઉમેદવારી નોંધાવવા માટે નેતાઓમાં ભારે ઉત્સુકતા અને સ્પર્ધા જોવા મળી રહી છે.
50 થી વધુ દાવેદારોનો રાફડો ફાટ્યોમાંજલપુર વિધાનસભા બેઠક પર ચૂંટણી લડવા માટે જાણે કે રાફડો ફાટ્યો હોય તેવી સ્થિતિ સર્જાઈ છે. અત્યાર સુધીમાં 50 થી વધુ દાવેદારોએ ટિકિટ મેળવવા માટે ટોકન લઈને ફોર્મ ભર્યા છે. દાવેદારોની આટલી મોટી સંખ્યામાં પૂર્વ કોર્પોરેટરો અને પક્ષના વિવિધ હોદ્દેદારો પણ સામેલ છે. પોતાની દાવેદારી મજબૂત કરવા માટે આ તમામ નેતાઓ નિરીક્ષકો સમક્ષ પોતાની લોકચાહના રજૂ કરી રહ્યા છે. નિરીક્ષક પૂર્ણેશ મોદી અને દાવેદાર સ્નેહલ પટેલ દ્વારા સમગ્ર પ્રક્રિયા પર નજીકથી નજર રાખવામાં આવી રહી છે.
ભાજપ પ્રમુખની સ્પષ્ટતાશહેર ભાજપ પ્રમુખ ડો. જયપ્રકાશ સોની પણ આ બેઠક માટે દાવેદાર હોવાની ચર્ચાઓએ જોર પકડ્યું હતું. જોકે, આ અંગે સ્પષ્ટતા કરતા તેમણે જણાવ્યું હતું કે, “મેં ટિકિટ માંગી નથી, પ્રમુખ તરીકે મારી મુખ્ય જવાબદારી માંજલપુર બેઠકને જંગી બહુમતીથી જીતાડવાની છે.” તેમણે ઉમેર્યું હતું કે માંજલપુર બેઠક પર ભાજપનો કોઈ મોટો પ્રતિસ્પર્ધી નથી. પક્ષના વરિષ્ઠ નેતાઓ અને નિરીક્ષકો દ્વારા હવે આગામી દિવસોમાં કોના નામ પર મહોર મારવામાં આવે છે, તેના પર સૌની નજર ટકેલી છે.
