અયોધ્યા રામ મંદિર દાન ચોરી કેસની સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે મહત્વપૂર્ણ ટિપ્પણી કરતાં કહ્યું કે આ મામલાનું રાજકીયકરણ ન થવું જોઈએ. મુખ્ય ન્યાયાધીશ (CJI)એ કેસની નિષ્પક્ષ તપાસ માટે વિશેષ તપાસ ટીમ (SIT)ની રચના કરવાનો આદેશ આપ્યો અને કહ્યું કે તપાસ કાયદાની મર્યાદામાં આગળ વધવી જોઈએ.
સુનાવણી દરમિયાન મુખ્ય ન્યાયાધીશે પૂછ્યું કે હાલમાં આ કેસની તપાસ કોણ કરી રહ્યું છે.તેના જવાબમાં સોલિસિટર જનરલ (SG) તુષાર મહેતાએ કોર્ટને જણાવ્યું કે હાલમાં પોલીસ તપાસ કરી રહી છે. તેમણે કહ્યું કે અગાઉ રચાયેલી SITએ માત્ર પ્રાથમિક તપાસ કરી હતી, જ્યારે હાલ નિયમિત તપાસ પોલીસ કરી રહી છે.
આના પર CJI સૂર્યકાંતે પૂછ્યું કે શું SITની ફરીથી રચના કરી શકાય? તેના જવાબમાં સોલિસિટર જનરલે કહ્યું કે સરકારને તેમાં કોઈ વાંધો નથી. CJIએ એ પણ જણાવ્યું કે અગાઉ રચાયેલી SITમાં જવાબદાર અધિકારીઓ સામેલ હતા. તેના જવાબમાં SGએ કહ્યું કે તે ટીમમાં બે IAS અધિકારીઓ પણ હતા.
સુનાવણી દરમિયાન એક વકીલે વચ્ચે દખલ કરતાં મુખ્ય ન્યાયાધીશે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે, “આ જગ્યા રાજકારણ માટે નથી.” ત્યારબાદ તેમણે ફરી ભારપૂર્વક જણાવ્યું કે કેસની તપાસ સંપૂર્ણપણે નિષ્પક્ષ રીતે થવી જોઈએ અને તેને રાજકીય વિવાદનો વિષય ન બનાવવો જોઈએ.
સુપ્રીમ કોર્ટે કહ્યું કે, આ સામાન્ય ફોજદારી ગુનાનો મામલો છે અને તપાસ એજન્સીને સ્વતંત્ર રીતે પોતાનું કામ કરવા દેવું જોઈએ. કોર્ટે એમ પણ જણાવ્યું કે, તપાસ દરમિયાન કેસના તમામ પાસાઓને ધ્યાનમાં લેવામાં આવશે.
