UGCના નિયમો તોડનાર કોલેજ સામે ABVPનો રણશિંગો: ગાંધીનગરમાં એસ. કે. પટેલ કોલેજ પર હલ્લાબોલ, વિદ્યાર્થીઓના મૂળ સર્ટિફિકેટ પરત કરવાની ઉગ્ર માગ

Spread the love

ગાંધીનગર સ્થિત કડી સર્વ વિશ્વવિદ્યાલય સંલગ્ન એસ. કે. પટેલ કોલેજમાં વિદ્યાર્થીઓના મૂળ શૈક્ષણિક પ્રમાણપત્રો જમા રાખવાની સંસ્થાની કથિત નીતિ સામે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા આજે હલ્લાબોલ કરી લેખિત આવેદનપત્ર પાઠવીને તાત્કાલિક ધોરણે તમામ વિદ્યાર્થીઓના અસલી દસ્તાવેજો પરત કરવાની ઉગ્ર માંગ કરવામાં આવી છે. ત્યારે એબીવીપીના હલ્લાબોલથી પોલીસ કાફલો પણ કેમ્પસ ખાતે દોડી ગયો હતો.

 

એસ. કે. પટેલ કોલેજમાં વિદ્યાર્થીઓના મૂળ શૈક્ષણિક પ્રમાણપત્રો જમા રાખવાની સંસ્થાની કથિત નીતિથી વિધાર્થીઓમા ભારે રોષ ફેલાયો છે. આજે એબીવીપી ગાંધીનગર શાખા દ્વારા કોલેજના આચાર્યને લેખિત આવેદનપત્ર પાઠવીને તાત્કાલિક ધોરણે તમામ વિદ્યાર્થીઓના અસલી દસ્તાવેજો પરત કરવાની ઉગ્ર માંગ કરવામાં આવી છે. આ સાથે જ સ્પષ્ટતા કરવામાં આવી છે કે, જો વિદ્યાર્થીઓને વહીવટી અને શૈક્ષણિક રીતે હેરાન કરવાનું બંધ નહિ થાય તો આગામી દિવસોમાં મોટા પાયે આંદોલન છેડવામાં આવશે.

 

વિદ્યાર્થીઓના ડોક્યુમેન્ટ પરત કરવા રજૂઆત એબીવીપીના આગેવાન પૂર્વીલ પટેલે કહ્યું કે, કોલેજ દ્વારા તમામ અભ્યાસ કરતા વિદ્યાર્થીઓના મૂળ શૈક્ષણિક પ્રમાણપત્રો પોતાની પાસે જમા રાખવામાં આવે છે. જેના પરિણામે વિદ્યાર્થીઓને ઉચ્ચ અભ્યાસ અર્થે જવા, સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારીઓ કરવા, રોજગારી કે નોકરીની તકો માટે અરજી કરવા તથા સ્કોલરશિપ મેળવવા જેવી અત્યંત જરૂરી પ્રક્રિયાઓમાં ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે.

 

એબીવીપીએ આ ગંભીર બાબતે યુનિવર્સિટી ગ્રાન્ટ્સ કમિશન (UGC) ની રિફંડ ઓફ ફીઝ એન્ડ નોન-રિટેન્શન ઓફ ઓરિજિનલ સર્ટિફિકેટ્સ સંબંધી માર્ગદર્શિકાનો કડક હવાલો આપીને કોલેજ પ્રશાસનની આકરી ઝાટકણી કાઢી છે. એબીવીપીની રજૂઆત મુજબ યુજીસીની માર્ગદર્શિકાની કલમ 4.2.2 સ્પષ્ટ કરે છે કે પ્રવેશ સમયે સંસ્થા માત્ર દસ્તાવેજોની ચકાસણી કરી શકે છે અને પોતાના રેકોર્ડ માટે પ્રમાણિત નકલો રાખી શકે છે પરંતુ મૂળ પ્રમાણપત્રો ફરજિયાતપણે વિદ્યાર્થીઓને પરત કરવાના રહે છે.

 

તદુપરાંત કલમ 4.2.4 અનુસાર કોઈપણ શૈક્ષણિક સંસ્થા કોઈપણ કારણસર વિદ્યાર્થીઓના મૂળ પ્રમાણપત્રો પોતાની પાસે જપ્ત કરીને રાખી શકે નહીં તેથી કોલેજની આ સંપૂર્ણ કાર્યવાહી યુજીસીની ગાઈડલાઈન વિરુદ્ધ અને ગેરબંધારણીય હોવાનું જણાવાયું છે. એબીવીપીનો આક્ષેપ છેકે,માત્ર દસ્તાવેજો જ નહિ પરંતુ કોલેજ પ્રશાસન દ્વારા વિદ્યાર્થીઓને માનસિક રીતે પરેશાન કરવામાં આવે છે.

 

ડોક્યુમેન્ટ પરત નહીં કરાય તો આંદોલનની ચીમકી એબીવીપીના ધ્યાનમાં આવ્યું છે કે જે વિદ્યાર્થીઓ પોતાના હક માટે કે અન્યાય સામે અવાજ ઉઠાવે છે તેમના વ્યાજબી પ્રશ્નો સાંભળવાને બદલે તેમને નિશાન બનાવીને દ્વેષપૂર્ણ રીતે વહીવટી અને શૈક્ષણિક હેરાનગતિ કરવામાં આવી રહી છે. એબીવીપી ધ્વારા આવેદનપત્રમાં આચાર્યને સ્પષ્ટ શબ્દોમાં ચેતવણી આપવામાં આવી છે કે જો સંસ્થાની કસ્ટડીમાં રહેલા તમામ દસ્તાવેજો કોઈપણ અનાવશ્યક શરત વિના તાત્કાલિક પરત કરવામાં નહિ આવે અને ભવિષ્યમાં આવા મૂળ દસ્તાવેજો રોકી રાખવાની પ્રથા બંધ નહિ થાય તો એબીવીપી દ્વારા વિદ્યાર્થીહિતમાં ઉગ્ર રજૂઆતો અને આંદોલનાત્મક કાર્યક્રમો આપવામાં આવશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *