તાજેતરમાં જ મેઘરાજાએ દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતને ધમરોળી નાખ્યું. સુરત, તાપી, નવસારી-વલસાડમાં ઠેર-ઠેર તબાહીના દૃશ્યો જોવા મળ્યા હતા. આ ઉપરાંત અમદાવાદમા પણ વરસાદે ભારે તબાહી મચાવી હતી, ત્યાં તો હજી પણ પાણી ઓશર્યા નથી.
હાલ વરસાદનું જોર ઘટવાની સંભાવના ઓછી છે, કારણ કે બંગાળની ખાડીમાં બીજું લૉ પ્રેશર બન્યું છે જે હજુ વધુ મજબૂત બની શકે છે.હાલમાં એક લૉ પ્રેશર ગુજરાત-રાજસ્થાન સરહદે સક્રિય છે, જ્યારે ગુજરાત નજીક ચોમાસાની ધરી અને દક્ષિણ ગુજરાતમાં ઓફશોર ટ્રફ સક્રિય હોવાથી રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી છે. આ વર્તમાન રાઉન્ડ પૂર્ણ થયા બાદ તરત જ બીજા નવા વરસાદી રાઉન્ડની તૈયારીની સંભાવના છે.
અંબાલાલ પટેલે આગાહી કરી છે કે, રાજસ્થાનમાં સર્જાયેલા લૉ-પ્રેશર સિસ્ટમના કારણે ઉત્તર ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. આ આગાહી મુજબ ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં 15 થી 20 ઈંચ જેટલો મુસળધાર વરસાદ વરસી શકે છે. ખાસ કરીને પાટણ, હારીજ અને સમી તાલુકામાં ભારે વરસાદ પડી શકે છે, જ્યારે પાલનપુર, ધાનેરા તેમજ વાવ-થરાદ સહિતના સરહદી વિસ્તારોમાં પણ અનરાધાર વરસાદ વરસવાની પૂરતી સંભાવના છે. આ ઉપરાંત સાબરકાંઠા અને મહીસાગર જિલ્લામાં પણ ભારેથી અતિભારે વરસાદની ચેતવણી આપવામાં આવી છે.ભારે વરસાદ અને જળાશયોમાં પાણીની આવક વધતા સાવચેતીના ભાગરૂપે અત્યાર સુધીમાં 40 હજાર 675 લોકોનું સુરક્ષિત સ્થળાંતર કરવામાં આવ્યું છે અને 6 હજાર 766 લોકોનું રેસ્ક્યૂ કરાયું છે. આ ઉપરાંત, વરસાદ અને પૂરની સ્થિતિને કારણે રાજ્યમાં કુલ 648 માર્ગો બંધ થયા છે, એસ.ટી.ની 485 રૂટની 2 હજાર 65 જેટલી ટ્રીપ બંધ રાખવી પડી છે અને અત્યાર સુધીમાં ખેતી માટે 60 ટકા જેટલું વાવેતર પૂર્ણ થયું છે.
આ સાર્વત્રિક વરસાદને કારણે રાજ્યમાં સિઝનનો કુલ વરસાદ 50 ટકા વટાવી ગયો છે અને અત્યાર સુધીમાં સરેરાશ 52.5 ટકા (એટલે કે કુલ 20 ઇંચ) વરસાદ નોંધાયો છે, જે ગત વર્ષે 25 જુલાઈ સુધી થયેલા 51.6 ટકા વરસાદ કરતા વધુ છે. પ્રદેશવાર નજર કરીએ તો, દક્ષિણ ગુજરાતમાં સૌથી વધુ 77 ટકા, મધ્ય ગુજરાતમાં 44 ટકા, સૌરાષ્ટ્રમાં 44 ટકા, ઉત્તર ગુજરાતમાં 35 ટકા અને કચ્છ પંથકમાં 19 ટકા વરસાદ નોંધાયો છે.
