વાંગચૂકના ઉપવાસનો અંત લાવવાનું સરકાર માટે જરૂરી બની ગયું હતું: એક્ટીવીસ્ટ સમક્ષ સંભવિત હિંસા અંગે ભય વ્યક્ત કરાયો
છેલ્લા 26 દિવસથી ભુખ હડતાળ કરી રહેલા એક્ટીવીસ્ટ સોનમ વાંગચુકના આ આંદોલનનો અંત લાવવા પૂર્વે ગઇકાલે દિલ્હીમાં ઉચ્ચસ્તરીય બેઠકો ધમધમાટ હતો અને સરકારે આંદોલનકારીઓની મુખ્ય માંગણી જે કેન્દ્રીય મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાની હતી તેમાં કોઇ મચક આપી નથી.સોનમ વાંગચૂકે પોતાના ઉપવાસનો અંત લાવ્યાની જાહેરાત યુ-ટ્યુબ પર 11 મીનીટ 30 સેકેન્ડના વીડિયો મારફત કરી હતી પરંતુ તે પૂર્વે દિલ્હીમાં અનેક શ્રેણીબધ્ધ બેઠકો યોજાઇ હતી અને તેની સાથે કેન્દ્રીય ગૃહમંત્રી અમીત શાહની ભૂમિકા સૌથી મજબૂત સાબિત થઇ છે. ગઇકાલે જ સંસદમાં ધમાલ અને જે રીતે એક બાદ એક સેલીબ્રીટીઓ ઉપરાંત ભાજપમાંથી પણ પીઢ નેતાઓ અને સાથી પક્ષો તરફથી આ આંદોલનનો અંત લાવવા સરકાર પર દબાણ લાવ્યું તે પણ કામ કરી ગયું છે. શ્રી શાહએ પોતાની ઓફિસમાં જે.પી. નડ્ડા અને જીતેન્દ્રસિંહ સાથે લગભગ ચાર કલાક સુધી બેઠક યોજી હતી. અને તેની તમામ માહિતી વડાપ્રધાનને પહોંચાડવામાં આવતી હતી. ખાસ કરીને સોનમ વાંગચૂકના સ્વાસ્થ્ય પર જોખમ ઉભો થાય તો આંદોલન વધુ ઉગ્ર બને તેવી પણ ધારણા હતી બીજી તરફ દિલ્હી ઉપરાંત મુંબઇ અને દેશના અન્ય રાજ્યોમાં પણ આંદોલન ફેલાતું જતું હતું અને વિપક્ષો પણ સંસદ અને સંસદ બહાર આક્રમક બન્યા હતા અને તેથી કોઇપણ ભોગે સમાધાન પર જવું સરકાર માટે જરુરી બની ગયું હતું. સવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ખાસ કોર્ટની રચના અને આંદોલનકારીઓને શાંત પાડવા જે અપીલ કરી તે પૂરતી સાબિત થઇ નહીં અને તે બાદ સરકાર માટે કેન્દ્રીય મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામુ લેવું તે મોટી પીછેહટ ગણાતી હતી આથી સોનમ વાંગચૂકને મનાવવાનો નિર્ણય લેવાયો. ખૂદ વાંગચૂકે પોતાના ઉપવાસનો શા માટે અંત લાવ્યો તે જણાવ્યું હતું. વાંગચૂકે કહ્યું કે હમણા હમણા કેન્દ્રીય મંત્રી જે.પી. નડ્ડા, ડો. જીતેન્દ્રસિંહ અને લેહ લદાખની સર્વોચ્ચ સમિતિના વરીષ્ઠ નેતાઓની ઉપસ્થિતિમાં મે 26 દિવસના ઉપવાસનો અંત લાવ્યો છે તેમણે કહ્યું કે દેશમાં સંભવિત હિંસાને જોતા અને વિભિન્ન માંગણીઓ પર ચર્ચા બાદ મેં આ નિર્ણય લીધો છે. તેમણે લોકોને હિંસા રોકવા માટે ખાસ અપીલ કરી હતી.
બીજી તરફ સોનમ વાંગચૂક અને સરકાર વચ્ચેની વાતચીતની માહિતી બહાર આવી નથી ફક્ત શરતોમાં જે સ્વીકાર થયો તે નિશ્ર્ચિત થઇ છે. ખાસ કરીને આંદોલનકારીઓની માંગણી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાની હતી તે સ્વીકારીય નથી. ખુદ વડાપ્રધાન મોદીનો વીડિયો સંદેશ પણ સોનમ વાંગચૂક માટે ઉપવાસ છોડવાનું એક કારણ બની ગયું. હવે આજની વાટાઘાટ જે આંદોલનકારીઓ સાથે થવાની છે તેમાં સરકાર ખાસ કરીને ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા અંગે શું વલણ અપનાવે છે તે જોવું મહત્વનું બની રહેશે.
