અમદાવાદ મહાનગરપાલિકામાં ભળેલા નવા વિસ્તાર બોપલના કેટલાય વિસ્તારોમાંથી વરસાદી પાણી હજુ પણ ઓસર્યા નથી. અમદાવાદના મેયર હિતેશ બારોટ જાત માહિતી લેવા માટે બોપલની મુલાકાતે હતા. આ સમયે, છેલ્લા 2 દિવસથી વરસાદી પાણીમાં રહેતા બોપલવાસીઓએ મેયર હિતેશ બારોટને ઘેરી લીધા હતા. વરસાદ બંધ રહ્યો હોવા છતા લોકોના ઘરમાં 2-3 ફૂટ પાણી ભરાયેલા છે.
વરસાદી પાણીની સ્થિતિ તો બોપલ જ્યારે નગરપાલિકા હતું ત્યારે પણ નહોતી તેવી રજૂઆત સ્થાનિકોએ મેયરને કરી હતી.
મેયરને પણ અમદાવાદ મહાનગરપાલિકાનો વરવો અનુભવ થયો હતો. જ્યારે તેઓ વરસાદી પાણી ભરાયેલા વિસ્તારોની મુલાકાતે હતા ત્યારે એએમસીએ પાણી ઉલેચવા માટે પંપ તો મુકેલા હતા પરંતુ ત્યાં મહાનગરપાલિકાના કોઈ કર્મચારી નહોતા. આથી મેયર હિતેશ બારોટે સ્વંય ડિવોટરીગ પંપ સ્વહસ્તે ચાલુ કર્યા હતા
અમદાવાદ શહેરના અનેક વિસ્તારોમાં હજુ પણ વરસાદી પાણી હિલોળા લે છે. આવી સ્થિતિ પહેલીવાર સર્જાઈ હોવાનું સ્થાનિકોનુ કહેવું છે. ફરિયાદ કરવા છતા કોઈ આવતી નથી કે ફરિયાદનો નિકાલ થતો નથી તેવી રાવ કરી રહ્યાં છે.
