નવસારી જિલ્લાના ગણદેવી તાલુકાના મોરલી ગામમાંથી પૂર બાદ અત્યંત હૃદયદ્રાવક દ્રશ્યો સામે આવ્યા છે. ભારે વરસાદ અને પૂરનું પાણી ઓસર્યા બાદ ગામમાં સર્જાયેલા દ્રશ્યો જોઈને સ્થાનિકો સહિત દરેકની આંખો ભીની થઈ ગઈ છે. અનેક અબોલ પશુઓ પૂરના જોરદાર વહેણમાં તણાઈ ગયા હતા અને પાણી ઉતર્યા બાદ તેમના મૃતદેહો ઘરોની દીવાલો તથા અન્ય સ્થળોએ લટકેલી હાલતમાં જોવા મળ્યા હતા.સ્થાનિકોના જણાવ્યા મુજબ, અચાનક આવેલા પૂરના કારણે પશુઓને બચાવવાનો પૂરતો સમય મળ્યો નહોતો. કેટલાક પશુઓએ બચવા માટે અંતિમ ક્ષણ સુધી સંઘર્ષ કર્યો, પરંતુ પાણીના પ્રચંડ પ્રવાહ સામે તેઓ ટકી શક્યા નહીં. પૂરનું પાણી ઓસરતાં ગામમાં વિનાશના અનેક ચિહ્નો જોવા મળ્યા છે.મોરલી ગામ જ નહીં પરંતુ ગણદેવી, ચીખલી અને વાંસદા તાલુકાના અનેક વિસ્તારોમાં પણ પૂરના કારણે ભારે નુકસાન થયું હોવાનું સામે આવ્યું છે. અનેક પરિવારોના ઘરવખરીને નુકસાન પહોંચ્યું છે, જ્યારે પશુધનના નુકસાનથી ખેડૂતોને મોટો આર્થિક ફટકો પડ્યો છે.
કામગીરી શરૂ કરવામાં આવી
પૂર બાદ ગામોમાં સફાઈ અને નુકસાનનું મૂલ્યાંકન કરવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. અસરગ્રસ્ત લોકો સામાન્ય જનજીવન ફરી શરૂ કરવાનો પ્રયાસ કરી રહ્યા છે, પરંતુ સામે આવેલા આ કરુણ દ્રશ્યો લાંબા સમય સુધી લોકોના મનમાં અંકિત રહી જશે. ખાસ કરીને અબોલ જીવોની આવી સ્થિતિએ સમગ્ર વિસ્તારમાં શોકનું વાતાવરણ સર્જાયું છે.
