રાજ્ય સરકારના સામાન્ય વહીવટ વિભાગ (GAD) દ્વારા એક મહત્વનો વહીવટી નિર્ણય લેવામાં આવ્યો છે. તાજેતરમાં કેટલાક IAS અને GAS અધિકારીઓની બદલીઓ (Transfers) થતાં રાજ્યના વિવિધ સરકારી વિભાગો, બોર્ડ-નિગમો અને સ્થાનિક વિકાસ સત્તામંડળોમાં જગ્યાઓ ખાલી પડી હતી. વહીવટી કામગીરી સુચારૂ અને અવિરતપણે ચાલતી રહે તે હેતુથી સરકારે ‘ચાર્જ એરેન્જમેન્ટ’ (Charge Arrangement) હેઠળ કુલ ૧૬ અધિકારીઓને વધારાનો ચાર્જ સોંપવાનો સરકારી આદેશ પાઠવ્યો છે.સામાન્ય વહીવટ વિભાગ દ્વારા બહાર પાડવામાં આવેલા નોટિફિકેશન અનુસાર, આ નિર્ણય હેઠળ રાજ્યના અત્યંત મહત્વપૂર્ણ વિભાગો જેવા કે GIDC, ગુજરાત ટુરિઝમ (TCGL), GRIMCO, SPIPA, GSRTC, ગુજરાત સાયન્સ સિટી, RUDA (રાજકોટ અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી), BHADA (ભાવનગર એરિયા ડેવલપમેન્ટ ઓથોરિટી) તેમજ DRDA (જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી) સહિતના સંસ્થાન અને વિભાગોમાં અધિકારીઓને નવી તથા વધારાની જવાબદારીઓ સોંપવામાં આવી છે.
સરકારના જણાવ્યા મુજબ, આ તમામ અધિકારીઓને સોંપવામાં આવેલ આ વધારાનો પદભાર આગામી સત્તાવાર આદેશ ન થાય ત્યાં સુધી અથવા તો કાયમી નિમણૂક ન થાય ત્યાં સુધી અમલમાં રહેશે. આ વહીવટી ફેરબદલથી વિવિધ જિલ્લાઓ અને પ્રદેશોમાં અટકેલા કામોને વેગ મળશે તેવી શક્યતા છે.
