Paper Leak Bill: લોકસભામાં પેપર લીક વિરોધી બિલ પર હોબાળો, પ્રિયંકા ગાંધી-અખિલેશ યાદવે સરકારને ઘેરી

Spread the love

ચોમાસુ સત્ર દરમિયાન લોકસભામાંપેપર લીક વિરોધી(Lok Sabha Paper Leak Bill) સુધારા બિલ પર લાંબી અને ઉગ્ર ચર્ચા જોવા મળી હતી. શરૂઆતમાં આ બિલ પર ચર્ચા માટે છ કલાકનો સમય નક્કી કરવામાં આવ્યો હતો, પરંતુ વિપક્ષની માંગ બાદ ચર્ચાનો સમય વધારીને 10 કલાક કરવામાં આવ્યો હતો. સ્પીકર ઓમ બિરલાએ તમામ સભ્યોને પોતાના મત રજૂ કરવાની તક આપી હતી.કોંગ્રેસ સાંસદ પ્રિયંકા ગાંધીએ (Priyanka Gandhi) સરકાર પર આરોપ લગાવ્યો કે યુવાનોના પ્રશ્નોનો ઉકેલ લાવવાને બદલે તેમના અવાજને દબાવવાનો પ્રયાસ થઈ રહ્યો છે. તેમણે વિદ્યાર્થીઓ પર થયેલી કથિત પોલીસ કાર્યવાહી, લાઠીચાર્જ અને પેલેટ ગનના ઉપયોગ અંગે સરકાર પાસેથી જવાબ માંગ્યા હતા. સાથે જ તેમણે કહ્યું કે દેશના યુવાનો દાન નહીં પરંતુ ન્યાય માંગે છે.

 

સ્પીકર સાથેનો હળવો સંવાદ બન્યો ચર્ચાનો વિષય

 

ભાષણ દરમિયાન પ્રિયંકા ગાંધીએ સ્પીકર ઓમ બિરલાને હળવી ટિપ્પણી કરતાં કહ્યું, “સ્પીકર સાહેબ, તમે મારાથી નારાજ છો, કૃપા કરીને થોડું સ્મિત કરો.” આ ટિપ્પણી બાદ ગૃહમાં થોડા સમય માટે હળવું વાતાવરણ સર્જાયું.

 

પ્રહલાદ જોશી અને પ્રિયંકા વચ્ચે બોલાચાલી

 

કેન્દ્રીય મંત્રી પ્રહલાદ જોશીએ પ્રિયંકા ગાંધી પર ચકાસેલા તથ્યો વિના આરોપ લગાવવાનો આક્ષેપ કર્યો અને નિવેદન પાછું ખેંચીને માફી માંગવાની માંગ કરી હતી. તેના જવાબમાં પ્રિયંકા ગાંધીએ જણાવ્યું કે તેમણે અખબારમાં પ્રકાશિત માહિતીના આધારે પોતાની વાત રજૂ કરી હતી.

 

અખિલેશ યાદવે સરકારને ઘેરી

 

સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અખિલેશ યાદવે (Akhilesh Yadav) પેપર લીક મુદ્દે સરકારની કામગીરી પર સવાલ ઉઠાવ્યા હતા. તેમણે કહ્યું કે જો સરકાર પેપર લીક રોકવામાં સફળ નથી તો વિદ્યાર્થીઓનો વિશ્વાસ કેવી રીતે જીતશે. સાથે જ તેમણે પ્રાથમિક શિક્ષણ અને પરીક્ષા વ્યવસ્થાને લઈને પણ સરકાર પર નિશાન સાધ્યું હતું.

 

અભિષેક બેનર્જીનો સરકાર પર પ્રહાર

 

તૃણમૂલ કોંગ્રેસના સાંસદ અભિષેક બેનર્જીએ (Opposition on Paper Leak Bill) દાવો કર્યો કે છેલ્લા બે વર્ષમાં પેપર લીકના કેસોમાં કોઈ દોષિતને સજા થઈ નથી. તેમણે કહ્યું કે વિદ્યાર્થીઓને જવાબ આપવાને બદલે તેમના વિરોધ પ્રદર્શન સામે બળનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.

 

દયાનિધિ મારનનો ‘એક ભારત, એક પરીક્ષા’નો વિરોધ

 

ડીએમકે સાંસદ દયાનિધિ મારને દેશની વિવિધતાને ધ્યાનમાં રાખીને ‘એક ભારત, એક પરીક્ષા’ મોડેલનો વિરોધ કર્યો હતો. તેમના મતે સમગ્ર દેશ માટે એક જ પરીક્ષા પ્રણાલી યોગ્ય નથી અને શિક્ષણ ક્ષેત્રે વધુ ચર્ચાની જરૂર છે.

 

ગૌરવ ગોગોઈએ NTA પર ઉઠાવ્યા પ્રશ્નો

 

કોંગ્રેસના સાંસદ ગૌરવ ગોગોઈએ NEET અને NTA સંબંધિત મુદ્દાઓ ઉઠાવ્યા હતા. તેમણે આરોપ મૂક્યો કે સરકારે પરીક્ષા પ્રણાલીમાં થયેલી ગેરરીતિઓ માટે જવાબદારી નક્કી કરી નથી અને NTA સાથે જોડાયેલા અધિકારીઓ અંગે પણ સ્પષ્ટતા માંગવામાં આવી હતી.

 

સરકારે બિલનું કર્યું સમર્થન

 

ભાજપ સાંસદ બાંસુરી સ્વરાજે જણાવ્યું કે પેપર લીક વિરોધી બિલ વિદ્યાર્થીઓના ભવિષ્યને સુરક્ષિત બનાવવા માટે મહત્વપૂર્ણ છે. તેમણે કહ્યું કે બિલ હેઠળ દોષિતો સામે ઝડપી કાર્યવાહી માટે ફાસ્ટ-ટ્રેક કોર્ટની જોગવાઈ કરવામાં આવી છે અને પેપર લીક માફિયાઓ સામે કડક પગલાં લેવામાં આવશે.

 

બિલમાં શું છે ખાસ?

 

બિલમાં જાહેર પરીક્ષાઓમાં ગેરરીતિ રોકવા માટે કડક જોગવાઈઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. પેપર લીક અથવા અન્ય ગેરરીતિમાં દોષિત સાબિત થનારને 10 વર્ષ સુધીની જેલ, રૂ.10 કરોડ સુધીનો દંડ અને સંપત્તિ જપ્ત કરવાની જોગવાઈ રાખવામાં આવી છે. સાથે જ કેસોની ઝડપી સુનાવણી માટે ફાસ્ટ-ટ્રેક કોર્ટની વ્યવસ્થા કરવાનો પણ પ્રસ્તાવ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *