ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર તાલુકાના દામલી ગામમાં (Damli Village) આંગણવાડીના બાળકો માટે ફાળવાયેલા સરકારી બાલભોગના અનાજની કાળાબજારીનો ચોંકાવનારો (Anganwadi Food Scam) કિસ્સો સામે આવ્યો છે. ગામના લોકોની સતર્કતાના કારણે મિની ટેમ્પોમાં ભરેલો સરકારી જથ્થો ઝડપાઈ ગયો હતો. સ્થાનિકોએ ટેમ્પોને રોકીને તપાસ કરતાં સરકારી પોષણ સામગ્રી મળી આવતાં સમગ્ર મામલો પ્રકાશમાં આવ્યો હતો.ટેમ્પો રોક્યા બાદ ગ્રામજનોએ ડ્રાઇવર પાસે જથ્થો ક્યાંથી લાવવામાં આવ્યો હતો અને ક્યાં લઈ જવામાં આવી રહ્યો હતો તે અંગે પૂછપરછ કરી હતી. જોકે ડ્રાઇવર કોઈ સંતોષકારક જવાબ આપી શક્યો નહોતો. તેના મૌનને કારણે ગ્રામજનોએ સરકારી અનાજની કાળાબજારીની શંકા વ્યક્ત કરી અને તરત જ ડ્રાઇવરને સ્થાનિક પોલીસને સોંપી દીધો હતો.ઘટનાની જાણ થતાં જ બાળ વિકાસ યોજના (Child Nutrition Scheme) અધિકારી (CDPO)ની ટીમ અને અન્ય સરકારી અધિકારીઓ તાત્કાલિક દામલી ગામે પહોંચ્યા હતા. અધિકારીઓએ સ્થળ પર જ સમગ્ર જથ્થાની તપાસ હાથ ધરી હતી. પ્રાથમિક તપાસ દરમિયાન ગાડીમાંથી પૂર્ણાશક્તિના 13 બેગ, માતૃશક્તિની 1 બેગ, બાલ શક્તિની 5 બેગ, ચણાની 2 બેગ, તુવેર દાળની 1 બેગ અને સત્વ આટાની 1 બેગ મળી આવી હતી.
અનાજ ક્યાંથી આવ્યું અને કોણ સંડોવાયેલું? તપાસ તેજ
હવે પોલીસ અને CDPOની ટીમ એ દિશામાં તપાસ કરી રહી છે કે આ સરકારી અનાજ કઈ આંગણવાડી અથવા સરકારી ગોડાઉનમાંથી બહાર આવ્યું હતું અને તેની કાળાબજારીમાં કોણ-કોણ સંડોવાયેલું છે. પ્રાથમિક તપાસમાં આંગણવાડીના અનાજના વિતરણમાં ગંભીર ગેરરીતિની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. અધિકારીઓનું માનવું છે કે તપાસ આગળ વધતાં આ સમગ્ર કૌભાંડમાં વધુ મોટા ખુલાસા થઈ શકે છે.
