પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે ‘નશા મુક્ત યુવા, વિકસિત ભારત’ અભિયાનની શરૂઆત કરી છે. દેશભરમાં આયોજીત આ કાર્યક્રમમાં 28 હજારથી વધુ સ્થળોથી એક કરોડથી વધુ યુવાનો જોડાયા હતા. પ્રધાનમંત્રીના સંબોધન પહેલા દેશભરના યુવાઓએ એક સાથે નશા મુક્ત ભારત બનાવવાના શપથ લીધા. પીએમ મોદીએ પોતાના ભાષણની શરૂઆતમાં કહ્યું કે આપણે એક મહાન સંકલ્પ માટે એકત્ર થયા છીએ.
બધા સંત, બધા રાજ્યપાલ, બધા મુખ્યમંત્રી અને જનપ્રતિનિધિ, 28 હજાર સંસ્થાઓ સાથે જોડાયેલા 1 કરોડથી વધુ યુવા સાથી, આ શુભ સંકલ્પ માટે અભિનંદન.
પીએમ મોદીએ કહ્યુ કે જે અભિયાનના આપણે સાક્ષી બની રહ્યાં છીએ તે વ્યક્તિ, પરિવાર, સમાજ અને સૌથી મોટી વાત છે કે આ અભિયાન રાષ્ટ્ર માટે છે. વિકસિત ભારત સંકલ્પ માટે નશા મુક્ત યુવા હોવા જરૂરી છે. આ નામ જ સંકલ્પને સ્પષ્ટ કરે છે. દેશને વિકસિત ભારત બનાવવાનું લક્ષ્ય નક્કી કર્યું છે તો દેશના યુવા તનથી સ્વસ્થ હોય, મનથી સ્વસ્થ હોય, આત્મવિશ્વાસથી ભપરૂર હોય અને ડ્રગ્સ જેવી ઘાતક આદતોથી દૂર રહે, આ અભિયાનનો મુખ્ય ઉદ્દેશ્ય છે, તેથી આપણે બધાએ સંકલ્પ લેવાનો છે કે યુવા નશાના ખતરાને સમજે અને તેનાથી દૂર રહે.
જે નશાને પરાસ્ત કરે છે તે યોદ્ધા હોય છેઃ પીએમ મોદી
આપણે દરેક યુવાને નશાની ઝપેટમાં ફસાતો બચાવવાનો છે. આપણા પ્રોફેસરોને અપીલ છે કે તે પોતાની કોલેજમાં નશા વિરુદ્ધ અભિયાન ચલાવે. યુવાઓને નશાની ગિરફ્તમાંથી બહાર કાઢે. જે યુવા નશાને પરાસ્ત કરી નીકળે છે તે યોદ્ધા હોય છે, સમાજે તેનું સન્માન કરવું જોઈએ. ડ્રગ્સ સાથે જોડાયેલો તેનો ભૂતકાળ તેની ઓળખ ન હોઈ શકે. નશાના કારોબારીઓ પર કડક કાર્યવાહી થઈ રહી છે.
100 સપ્તાહ સુધી ચાલશે અભિયાન
પ્રધાનમંત્રી મોદીએ કહ્યુ કે કાશીથી શરૂ થયેલો આ જનકલ્યાણકારી વિચાર હવે એક રાષ્ટ્રીય અભિયાનનું રૂપ લઈ ચૂક્યો છે. તેમણે કહ્યું- આજથી દેશભરમાં નશા મુક્ત યુવા અભિયાનની શરૂઆત થઈ રહી છે. આ અભિયાન દરેક વર્ગના યુવાઓને જોડનારૂ છે. લાખો યુવાઓએ અત્યારે નશામુક્તિના શપથ લીધા છે અને આ સંકલ્પ આગામી 100 સપ્તાહ સુધી યથાવત રહેશે. પ્રધાનમંત્રીએ જણાવ્યું કે આગામી 100 રવિવાર સુધી દેશભરમાં કળા, સંસ્કૃતિ, આધ્યાત્મ અને સેવા સાથે જોડાયેલી વિવિધ ગતિવિધિઓના માધ્યમથી નશામુક્તિનો સંદેશ લોકો સુધી પહોંચાડવામાં આવશે.
ઘણા રાજ્યોના મુખ્યમંત્રી અને રાજ્યપાલ પણ કાર્યક્રમમાં હાજર
કાર્યક્રમમાં પૂજ્ય અમ્મા, ગુરૂદેવ શ્રી શ્રી રવિશંકર, પૂજ્ય દાજી, ડો. ચિન્મય પંડ્યા અને સ્વામી બ્રહ્મવિહારીજી સહિત પાંચ મુખ્ય આધ્યાત્મિક ગુરૂ સામેલ હતા. આ સિવાય ઘણા રાજ્યોના મુખ્યમંત્રી અને રાજ્યપાલ પણ ઉપસ્થિત રહ્યાં હતા. આ અભિયાનથી 125થી વધુ આધ્યાત્મિક સંગઠનો, સ્કૂલ-કોલેજો, સંસ્થાઓ, જાહેર સંગઠનો અને ઔદ્યોગિક સંઘોના સહયોગથી આયોજીત કરવામાં આવ્યો હતો. બ્રહ્માકુમારીઝ, ઇસ્કોન, ચિન્મય મિશન અને ઓરોવિલેના વરિષ્ઠ પ્રતિનિધિઓ પણ કાર્યક્રમમાં જોડાયા હતા.
