11મા માળેથી B.Tech વિદ્યાર્થીએ ઝંપલાવતાં ખળભળાટ: મિત્ર સાથે ફોન પર વાત કરી, મોબાઈલ મૂક્યો ને કૂદી પડ્યો

Spread the love

ગાંધીનગરના રાયસણ પીડીઇયુ યુનિવર્સિટી નજીક આવેલી પ્રીમિયમ રેસિડેન્શિયલ વિનાયક સરલ કોટિયાર્ડમાં ગત(2 ઓગસ્ટ) મોડી રાત્રે બનેલી એક સનસનાટીભરી ઘટનાએ સમગ્ર વિસ્તારમાં ચકચાર મચાવી દીધી છે. અમદાવાદના ઘોડાસર વિસ્તારમાં રહેતા અને આણંદ ખાતે B.Techનો અભ્યાસ કરતા 19 વર્ષીય યુવકે 11મા માળેથી રહસ્યમય સંજોગોમાં મોતની છલાંગ લગાવી છે.દેવર્ષે મિત્ર સાથે મોબાઈલમાં લાંબી વાત કરી અને ત્યારબાદ મોબાઈલ પાળી પર મૂકીને કૂદી ગયો હતો. આ અંગે ઇન્ફોસિટી પોલીસે હાલના તબક્કે અકસ્માતે મોતનો ગુનો નોધી વધુ તપાસ હાથ ધરી છે.

 

આ અંગે તપાસ અધિકારી PSI એ. આઈ. મૂલીયાણાએ કહ્યું કે, બનાવ રાતનો હોવાથી સોસાયટીમાં વિગતે પૂછતાછ બાકી છે. જ્યારે મૃતકની અંતિમ ક્રિયાઓ હોવાથી માતાપિતા-પરિવારના નિવેદનો પણ બાકી છે. મૃતકના મામાની ફરિયાદ આધારે અકસ્માતે મોતનો ગૂનો નોંધવામાં આવ્યો છે.

વડોદરાથી પરત ફર્યો ને વિનાયક સરલ કોટિયાર્ડના ફલેટમાં ગયો

 

વિશ્વસનીય પોલીસ સૂત્રો પાસેથી મળતી પ્રાથમિક વિગતો અનુસાર, મૃતક દેવર્ષના પિતા અજયભાઈ દીક્ષિતનો વિનાયક સરલ કોટિયાર્ડ સોસાયટીના અગિયારમાં માળે એક ફ્લેટ આવેલો છે. આ ફ્લેટ હાલમાં એક એરલાઇન પાયલોટને ભાડે આપેલો છે. ગઈકાલે(2 ઓગસ્ટ) રવિવારે દેવર્ષ પોતાના મામાને સાથે લઈને કોઈ કામ માટે વડોદરા ગયો હતો. ત્યારબાદ મોડી સાંજે વડોદરાથી પરત ફરી મામાને ઘોડાસર ઉતારીને પોતે પોતાના અમદાવાદના ઘરે જવા માટે નીકળ્યો હતો.

 

મિત્ર સાથે લાંબી વાત કરીને મોબાઈલ પાળી પર મૂકીને કૂદ્યો

 

જોકે દેવર્ષ પોતાના ઘરે પહોંચવાને બદલે સીધો ગાંધીનગર ખાતે આવેલા પિતાના આ ફ્લેટ પર આવી પહોંચ્યો હતો. તે સમયે ભાડુઆત પાયલોટ પોતાની નોકરી પર હોવાથી ફ્લેટમાં કોઈ હાજર નહોતું. અહીં આવ્યા બાદ મોડી રાત્રે દેવર્ષએ પોતાના રોનિત નામના મિત્ર સાથે મોબાઈલ પર લાંબી વાતચીત કરી હતી. વાતચીત પૂર્ણ થયા બાદ તેણે પોતાનો ફોન પાળી પર મૂકી દીધો હતો અને રહસ્યમય સંજોગોમાં 11મા માળેથી નીચે ઝંપલાવી દીધું હતું.

 

સિક્યુરિટી ગાર્ડ્સ અને રહીશો ઘટનાસ્થળે દોડી આવ્યા

 

અચાનક ધડાકાભેર અવાજ આવતાં સોસાયટીના સિક્યુરિટી ગાર્ડ્સ અને રહીશો ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. ગંભીર રીતે ઇજાગ્રસ્ત દેવર્ષનું સ્થળ પર જ મોત નીપજ્યું હતું. રહીશોએ તાત્કાલિક આ અંગે ઇન્ફોસિટી પોલીસ સ્ટેશનમાં જાણ કરતા પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો અને જરૂરી કાનૂની કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસે મૃતકના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ મોકલી આપી આગળની તપાસ હાથ ધરી છે.

 

યુવક ઘરે જવાના બદલે અચાનક ગાંધીનગરના ફ્લેટ પર શા માટે આવ્યો?

 

વધુમાં સૂત્રોએ ઉમેર્યું કે, યુવકના આત્મહત્યા પાછળનું ચોક્કસ કારણ હજી સુધી અસ્પષ્ટ છે. યુવક પોતાના ઘરે જવાના બદલે અચાનક રાત્રિના સમયે ગાંધીનગરના આ ફ્લેટ પર શા માટે આવ્યો હતો તે અંગે પણ રહસ્ય ઘેરાયું છે. હાલમાં મૃતકની લૌકિકક્રિયા ચાલતી હોવાથી પરિવારજનો ઊંડા શોકમાં છે જેથી તેમની વિગતવાર પૂછપરછ બાકી છે. યુવકનો મોબાઇલ ફોન કબ્જે લીધો છે અને છેલ્લે વાત કરનાર મિત્ર રોનિત તેમજ અન્ય પરિચિતોના નિવેદન નોંધવાની તૈયારી શરૂ કરી છે.

 

ઉલ્લેખનીય છેકે, પ્રીમિયમ રેસિડેન્શિયલ વિનાયક સરલ કોટિયાર્ડનું નિર્માણ કરનાર બિલ્ડરની અત્રેના વિસ્તારમાં આવેલી અન્ય એક વિનાયક સ્કાય ડેક નામની પેન્ટ હાઉસ સોસાયટીના 12 માળેથી નીચે પટકાવા જાણીતી મેન પાવર આઉટ સોર્સ એજન્સી રાજદીપ એન્ટરપ્રાઈઝના માલિક પ્રવિણભાઈ ચૌધરીના 26 વર્ષીય પુત્ર રાજનું ઓગસ્ટ 2023માં અકાળે મોત નિપજ્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *