ડિજિટલ યુગમાં સોશિયલ મીડિયા અને મેસેજિંગ એપ્સ આપણી રોજિંદી જિંદગીનો અવિભાજ્ય ભાગ બની ગઈ છે. ઓફિસનું કામ હોય કે સગા-સંબંધીઓ સાથેની વાતચીત, મોટાભાગના લોકો વોટ્સએપ (WhatsApp) પર જ નિર્ભર છે. પરંતુ સોમવારે (૩ ઓગસ્ટ ૨૦૨૬) સાંજે ભારતમાં લાખો વોટ્સએપ યુઝર્સ માટે એક ચોંકાવનારા સમાચાર સામે આવ્યા હતા.ભારતીય સમય અનુસાર સોમવારે સાંજે લગભગ ૮ વાગ્યાની આસપાસ યુઝર્સે આ સમસ્યાનો સામનો કરવાનું શરૂ કર્યું હતું. જેવા યુઝર્સે પોતાની વોટ્સએપ એપ ઓપન કરી, કે તરત જ તેમની સ્ક્રીન પર એક પોપ-અપ મેસેજ જોવા મળ્યો હતો જેમાં લખ્યું હતું:
“એકાઉન્ટ રિવ્યુ હેઠળ છે. વિનંતી કરેલી તારીખ: ૩ ઓગસ્ટ ૨૦૨૬. તમારું એકાઉન્ટ અમારી સેવાઓની શરતો (Terms of Service) અનુસાર ચાલે છે કે નહીં તે ચકાસવા માટે તમારી પ્રવૃત્તિ અને ઉપકરણની માહિતીની તપાસ કરવામાં આવી રહી છે. સામાન્ય રીતે ૨૪ કલાકની અંદર અમે તમને પરિણામ વિશે જાણ કરીશું.”
આ નોટિફિકેશનની સાથે વોટ્સએપના જવાબદાર ઉપયોગ અંગેની માર્ગદર્શિકા, ચોરાયેલા ફોન અને હેક થયેલા એકાઉન્ટ્સ સંબંધિત કેટલીક લિંક્સ પણ આપવામાં આવી હતી. પરંતુ અચાનક મેસેજિંગ બંધ થઈ જવાને કારણે દૈનિક ધોરણે એપ પર નિર્ભર રહેતા લોકો ભારે મુશ્કેલીમાં મુકાયા હતા.
સમગ્ર મામલે વોટ્સએપ કંપનીનો શું ખુલાસો છે?
આ મુદ્દો સામે આવ્યા બાદ વોટ્સએપના પ્રવક્તાએ આ અંગે ખુલાસો કર્યો હતો. કંપનીએ સ્વીકાર્યું હતું કે પ્લેટફોર્મનો દુરુપયોગ રોકવાની પ્રક્રિયા દરમિયાન ક્યારેક ભૂલો થઈ શકે છે.
પ્રવક્તાએ જણાવ્યું હતું કે, “અમે હંમેશાં એવા લોકોથી આગળ રહેવાનો પ્રયાસ કરીએ છીએ જેઓ અમારી સેવાનો દુરુપયોગ કરવાનો પ્રયાસ કરે છે. અન્ય યુઝર્સને સુરક્ષિત રાખવા માટે અમે આવા એકાઉન્ટ્સ પર પ્રતિબંધ મૂકીએ છીએ. પરંતુ ક્યારેક આ પ્રક્રિયામાં અમારાથી ભૂલ પણ થઈ જાય છે. જો એવું થાય, તો અમે સ્થિતિને ઝડપથી સુધારીને લોકોને ફરીથી ચેટિંગ શરૂ કરી શકે તે માટે સક્રિય પ્રયાસો કરીએ છીએ.”
જોકે, કંપનીએ આ સત્તાવાર નિવેદનમાં એ સ્પષ્ટ નથી કર્યું કે દેશભરમાં કે વૈશ્વિક સ્તરે કેટલા યુઝર્સના એકાઉન્ટ્સ આ રીતે રિવ્યુ હેઠળ મુકાયા છે, અથવા તો કઈ ટેકનિકલ ખામી કે અલ્ગોરિધમની ભૂલને કારણે આ સમસ્યા સર્જાઈ છે.વોટ્સએપ અચાનક બંધ થઈ જવાને કારણે પરેશાન થયેલા યુઝર્સે એક્સ (અગાઉનું ટ્વિટર) જેવા પ્લેટફોર્મ પર જઈને પોતાની ભડાસ કાઢી હતી અને કંપની પાસે વહેલી તકે એકાઉન્ટ રિકવર કરવાની માગ કરી હતી.
એક યુઝરે સોશિયલ મીડિયા પર પોતાની વ્યથા ઠાલવતા લખ્યું, “મારું વોટ્સએપ એકાઉન્ટ કોઈ પણ ખુલાસા વગર ડિસેબલ કરી દેવામાં આવ્યું છે. મેં અપીલ સબમિટ કરી દીધી છે, પરંતુ સ્ક્રીન પર માત્ર ‘૨૪ કલાકમાં સમીક્ષા કરવામાં આવશે’ એવો સામાન્ય મેસેજ આવી રહ્યો છે. મને તાત્કાલિક મદદની જરૂર છે.”
અન્ય એક યુઝર સલોનીએ લખ્યું, “કોઈપણ ચેતવણી આપ્યા વગર મારું એકાઉન્ટ અચાનક બંધ કરી દેવાયું. હું માત્ર સત્તાવાર એપ જ વાપરું છું અને મારું તમામ ઓફિશિયલ કામ વોટ્સએપ પર નિર્ભર છે. કૃપા કરીને મદદ કરો, આ ખૂબ જ અયોગ્ય છે.”
બિઝનેસ અને કામકાજ માટે વોટ્સએપ પર નિર્ભર રહેતા લોકો માટે આ ૨૪ કલાકનો લોકઆઉટ સમયગાળો ખૂબ જ મુશ્કેલીભર્યો સાબિત થયો હતો.
વોટ્સએપની સમીક્ષા પ્રક્રિયા (Review Process) કેવી રીતે કામ કરે છે?
એપ્લિકેશનમાં આપવામાં આવેલા નોટિફિકેશન મુજબ, વોટ્સએપની સિસ્ટમ યુઝરની પ્રવૃત્તિ અને તેના ડિવાઇસ (મોબાઇલ) ની માહિતી ચકાસે છે. આ રિવ્યુનો મુખ્ય હેતુ એ સુનિશ્ચિત કરવાનો છે કે યુઝર સ્પામ મેસેજ મોકલવા, બલ્ક મેસેજિંગ કરવા કે પછી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ માટે વોટ્સએપના નિયમોનો ભંગ તો નથી કરી રહ્યો ને.
સામાન્ય સંજોગોમાં આ સમીક્ષા ૨૪ કલાકમાં પૂર્ણ થઈ જાય છે. જો એકાઉન્ટમાં કોઈ ગંભીર ઉલ્લંઘન ન જણાય, તો સેવાઓ ફરીથી પૂર્વવત કરી દેવામાં આવે છે.
આ કોઈ મોટો સરવર આઉટેજ કે સર્વર ક્રેશ હતો?
સોમવાર સાંજ સુધી વોટ્સએપ તરફથી એવો કોઈ સંકેત મળ્યો ન હતો કે આ ટેકનિકલ સમસ્યા કોઈ મોટા સર્વર ડાઉન કે ગ્લોબલ આઉટેજનો ભાગ હતી. તેમજ આ રિવ્યુ પ્રક્રિયા કોઈ ચોક્કસ સુરક્ષા કાર્યવાહી સાથે જોડાયેલી છે કે કેમ તે અંગે પણ સ્થિતિ સ્પષ્ટ થઈ શકી નહોતી.
વોટ્સએપે એટલી ખાતરી આપી છે કે જે વાસ્તવિક યુઝર્સના એકાઉન્ટ્સ ભૂલથી ફ્લેગ કે બ્લોક થઈ ગયા છે, તેમને ઓળખીને ઝડપથી રિસ્ટોર કરી દેવામાં આવશે. છતાં, વગર વાંકે એકાઉન્ટ્સ રિવ્યુમાં જતા યુઝર્સમાં હાલ ભારે અસંતોષ અને ચિંતાનો માહોલ છે.
