આપણે ત્યાં સામાજિક શાંતિ, સલામતી અને કોમી સદ્ભાવ જાળવી રાખવા માટે અશાંતધારો લાગુ કરવામાં આવે છે. આ કાયદો ખાસ કરીને એવા વિસ્તારોમાં અમલમાં મૂકવામાં આવે છે જ્યાં ભૂતકાળમાં કોમી રમખાણો, હિંસા અથવા તો બે જૂથો વચ્ચે અશાંતિ સર્જાઈ હોય. પરંતુ સમય જતાં હવે કોઈ એક ધર્મના લોકો ઈદારાપૂર્વક બીજા ધર્મના વિસ્તારમાં એન્ટ્રી કરે છે.રાજકોટના રેલનગર વિસ્તારમાં આવેલી ક્રિષ્ના પાર્ક સોસાયટીમાં પણ આવી જ સમસ્યા ઊભી થઈ છે. આ સોસાયટીમાં 77 જેટલા મકાન આવેલા છે. તમામ લોકો હિન્દુ છે. પરંતુ હાલમાં જ સોસાયટીની એક વ્યક્તિએ વિધર્મીને મકાન વેચવાની હિલચાલ કરતાં લોકોમાં રોષ વ્યાપ્યો છે.
લોકોએ આ મામલે વિરોધ વ્યક્ત કરીને કલેક્ટર તેમજ સ્થાનિક પોલીસને રજૂઆત કરી છે. લોકોએ માગ કરી છે કે આસપાસના અન્ય વિસ્તારોમાં જે રીતે અશાંતધારો અમલમાં છે, તે જ રીતે તેમના વિસ્તારમાં પણ અશાંતધારો લાગુ કરવામાં આવે. લોકોને ભય છે કે જો એક મુસ્લિમ સોસાયટીની અંદર પ્રવેશશે તો તેમને પણ ઓછા ભાવે મકાનો વેચવા માટે મજબૂર થવું પડશે.
લોકોનો આક્ષેપ છે કે એક મુસ્લિમનો પ્રવેશ થયા પછી બીજા લોકો પણ પોતાના મકાનો સસ્તાભાવે વેચી દેશે. અને તેના કારણે તેમને આર્થિક નુકસાન ભોગવવું પડશે. આવું ના થાય તેના માટે તેમણે કલેક્ટરને રજૂઆત કરી છે.
હવે અશાંતધારો કયા કાયણોસર લાગુ કરવામાં આવે છે તેની હકીકત પણ જાણવી જરૂરી છે.
પહેલું કારણ છે ડેમોગ્રાફિક ફેરફારો અટકાવવા માટે.અશાંતિના કારણે કોઈ એક સમુદાયના લોકો પોતાનું ઘર કે મિલકત સસ્તા ભાવે વેચીને સ્થળાંતર કરવા મજબૂર ન બને અને વિસ્તારનું વસ્તી સંતુલન જળવાઈ રહે તે માટે અશાંત ધારો લાગુ કરવામાં આવે છે
બીજુ એ કે બળજબરી મકાન વેચાણ ઉપર રોક લાગી શકે.હિંસા કે ડરના વાતાવરણમાં લોકો પોતાની કિંમતી મિલકતો ઓછા ભાવે વેચવા માટે મજબૂર ન થાય તે માટે આ કાયદો રક્ષણ આપે છે.
ત્રીજું કારણ એ કે મિલકત ટ્રાન્સફર પર સરકારી મંજૂરી બને છે.અશાંતધારો લાગુ હોય તેવા વિસ્તારમાં કોઈપણ સ્થાવર મિલકત ખરીદવા કે વેચવા માટે કલેક્ટરની પૂર્વ મંજૂરી મેળવવી ફરજિયાત બને છે. કલેક્ટર આજુબાજુના લોકોની સંમતિ અને વાતાવરણ શાંત છે કે નહીં તેની ખાતરી કર્યા પછી જ મંજૂરી આપે છે.
ચોથું કારણ સમાજ વિરોધી તત્વો પર નિયંત્રણ લગાવી શકાય છે.ગેરકાયદે રીતે મિલકતો કબજે કરવા માગતા કે જમીન પચાવી પાડતા તત્વો પર લગામ લગાવવા માટે અશાંતધારો જરૂરી છે. આ બધા કારણો વચ્ચે હવે સવાલ એ છે કે રાજકોટના રેલનગર વિસ્તારમાં અશાંતધારો લાગુ કરાશે કે કેમ?
