સુરતમાં બહુચર્ચિત તુષાર ઘેલાણી આપઘાત કેસ બાદ વધુ એક બિલ્ડરે જીવન ટૂંકાવવાનો પ્રયાસ કર્યો હોવાની ઘટના સામે આવી છે. શહેરના ડિંડોલી વિસ્તારમાં રહેતા એક બિલ્ડરે ઘરમાં ઝેરી પીણું પીને આપઘાત કરવાનો પ્રયાસ કર્યો હતો. ત્યાર બાદ તેમને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા હતાં. હાલમાં તેમની સારવાર ચાલી રહી છે. સમગ્ર ઘટનાને લઈને પોલીસે તપાસ હાથ ધરી છે.
ઘણા સમયથી આ બિલ્ડર માનસીક રીતે તણાવમાં હોવાની વિગતો સામે આવી છે.
બિલ્ડર રવિ ચૌધરીએ ઝેરી પીણું ગટગટાવી આપઘાતનો પ્રયાસ કર્યો
સુરત શહેરના ડિંડોલી વિસ્તારમાંથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. જ્યાં જાણીતા બિલ્ડર રવિ ચૌધરીએ ઝેરી પીણું ગટગટાવીને પોતાનું જીવન ટૂંકાવવાનો પ્રયાસ કર્યો છે. ઘટનાની જાણ થતાં જ આસપાસના લોકો અને પરિવારજનો દ્વારા તેમને તાત્કાલિક ગંભીર હાલતમાં સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. હાલમાં ડોક્ટરોની ટીમ દ્વારા તેમની સારવાર કરવામાં આવી રહી છે.પ્રાથમિક વિગતો મુજબ, બિલ્ડર રવિ ચૌધરી છેલ્લા કેટલાક સમયથી ભારે આર્થિક દબાણ અને સતત માનસિક ત્રાસથી હેરાન થઈ રહ્યા હતા.
નાણાકીય ખેંચતાણ અને માનસિક તણાવથી પગલું ભર્યાની ચર્ચા
બિઝનેસમાં નાણાકીય ખેંચતાણ અને માનસિક તણાવથી કંટાળીને આખરે તેમણે આ અત્યંત આકરું અને અંતિમ પગલું ભર્યું હોવાનું પ્રાથમિક દ્રષ્ટિએ સામે આવી રહ્યું છે. આ ઘટનાથી સ્થાનિક બિલ્ડર આલમ અને વેપારી વર્ગમાં ભારે ચર્ચા જાગી છે. ઘટના અંગે જાણ થતાં જ ડિંડોલી પોલીસ કાફલો તુરંત હોસ્પિટલ અને ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. ડિંડોલી પોલીસે આ મામલે કાયદેસરની નોંધ કરીને તપાસ હાથ ધરી છે. બિલ્ડરની તબિયતમાં સુધારો આવ્યા બાદ તેમના નિવેદનના આધારે આગળની કડક કાર્યવાહી કરવામાં આવશે.