અમદાવાદના મુસાફરોને મળી નવી ભેટ નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીના હસ્તે અત્યાધુનિક ગીતામંદિર બસ ટર્મિનલ-2 (નોર્થ બ્લોક) આઇકોનિક બસપોર્ટ’નું લોકાર્પણ

Spread the love

વાહન વ્યવહાર રાજ્યમંત્રી શ્રી પ્રવીણ માળી અને શહેરી વિકાસ રાજ્યમંત્રી શ્રીમતી દર્શનાબેન વાઘેલા રહ્યા ઉપસ્થિત

 

*ગુજરાત રાજ્ય માર્ગ વાહનવ્યવહાર નિગમ (GSRTC) અને હબટાઉન બસ ટર્મિનલ દ્વારા PPP ધોરણે નિર્માણ કરાયું*

 

*અનેક સુવિધાઓથી સુસજ્જ નવનિર્મિત આઇકોનિક બસપોર્ટ*

___________

અમદાવાદ શહેરના નાગરિકો અને મુસાફરોને આજે નવીન ભેટ મળી છે. નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીના હસ્તે ગીતામંદિર ખાતે નિર્માણ પામેલ અત્યાધુનિક ગીતામંદિર બસ ટર્મિનલ-2 (નોર્થ બ્લોક) આઇકોનિક બસપોર્ટ’નું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે વાહનવ્યવહાર રાજ્યમંત્રી શ્રી પ્રવીણ માળી અને શહેરી વિકાસ રાજ્યમંત્રી શ્રીમતી દર્શનાબેન વાઘેલા ઉપસ્થિત રહ્યા હતા.

 

આ પ્રસંગે નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીએ નવનિર્મિત બસોને ફ્લેગ ઓફ આપી પ્રસ્થાન કરાવ્યું હતું.

 

આ આઇકોનિક બસપોર્ટ ગુજરાત રાજ્ય માર્ગ વાહનવ્યવહાર નિગમ (GSRTC) અને મેસર્સ હબટાઉન બસ ટર્મિનલ (અમદાવાદ) પ્રા. લિ. ના સંયુક્ત ઉપક્રમે પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશીપ (PPP) ધોરણે તૈયાર કરવામાં આવ્યું છે.

 

મુસાફરોને આધુનિક અને સુવિધાસભર સુવિધાઓ પૂરી પાડવાના હેતુથી આ આઇકોનિક બસપોર્ટ તૈયાર કરવામાં આવ્યું છે.

બસ ટર્મિનલમાં ઉપલબ્ધ મુખ્ય સુવિધાઓ અને આકર્ષણો વિશે વાત કરીએ તો, બસ ટર્મિનલનું કુલ બાંધકામ ક્ષેત્રફળ 4309 ચોરસ મીટરમાં પથરાયેલું છે. મુસાફરોના આવાગમન માટે કુલ 39 બોર્ડિંગ, એલાઇટીંગ અને આઇડીયલ પ્લેટફોર્મ તૈયાર કરવામાં આવ્યા છે. આ ઉપરાંત મુસાફરોની સરળતા માટે 218 ચો.મી. ક્ષેત્રફળમાં 3 ઇન્ક્વાયરી ઓફિસ / ટિકિટીંગ કાઉન્ટર, 39.38 ચો.મી.નું ટુરિસ્ટ ઇન્ફોર્મેશન સેન્ટર, કન્સેશનર ઓફિસ, ક્લોક રૂમ (45 ચો.મી.), વોટર રૂમ, પબ્લિક એડ્રેસિંગ સિસ્ટમ, સ્ટોર રૂમ (333.50 ચો.મી.) ની સુવિધાઓ છે.

 

વધુમાં આરામદાયક વેઇટિંગ હોલ અને પૂરતી બેઠક વ્યવસ્થા પણ છે જેમાં જનરલ વેઇટિંગ હોલ (100 બેઠક ક્ષમતા), લેડીઝ વેઇટિંગ હોલ (75 બેઠક ક્ષમતા), ડીલક્સ વેઇટિંગ હોલ (25 બેઠક ક્ષમતા) અને બોર્ડિંગ તથા એલાઇટીંગ કોન્કોર્સ એરિયામાં મુસાફરો માટે 412 ચો.મી.માં 370 બેઠકોની ઉત્તમ વ્યવસ્થા કરવામાં આવી છે.

 

આ સાથે બસ ટર્મિનલમાં 130 સીટ ધરાવતી વિશાળ કેન્ટીન, 71.57 ચો.મી. નો પાર્સલ રૂમ, અને 3000 ચો.મી.નો બી.ટી.એફ. પાર્કિંગ એરિયા ઉપલબ્ધ છે. વધુમાં મુસાફરો માટે શૌચાલય વ્યવસ્થા પણ છે. મહિલાઓ માટે 29 શૌચાલય અને 7 બાથરૂમ તથા પુરુષો માટે 21 શૌચાલય, 5 બાથરૂમ અને 33 યુરીનલ અને દિવ્યાંગ મુસાફરો માટે 3 વિશેષ શૌચાલય (બાથરૂમ સહિત)ની સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવી છે.

 

બસ નિગમના ડ્રાયવર અને કન્ડક્ટર મિત્રોના આરામ માટે થર્ડ ફ્લોર પર 255 ચો.મી. માં રેસ્ટ રૂમ અને ડોર્મેટરીની વ્યવસ્થા કરવામાં આવી છે.

 

આ પ્રસંગે શહેરના ધારાસભ્યશ્રીઓ શ્રી અમિતભાઈ શાહ, શ્રી અમિતભાઈ ઠાકર, શ્રી કૌશિકભાઇ જૈન, શ્રી અમુલભાઈ ભટ્ટ, શ્રી જીતેન્દ્રભાઈ પટેલ, શ્રી અલ્પેશભાઈ ઠાકોર, શ્રી દિનેશભાઈ કુશવાહ તથા સબંધિત અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *