સુપ્રીમ કોર્ટનો કડક આદેશનો સંકેત: પેકેજ્ડ ફૂડ પર હવે ‘ખતરો’ની ચેતવણી! વધુ ખાંડ-મીઠું-ચરબી છુપાવી નહીં શકાય!

Spread the love

સુપ્રીમ કોર્ટે ગુરુવારે પેકેજ્ડ ફૂડ પ્રોડક્ટ્સના વોર્નિંગ લેબલ પર કેન્દ્ર સરકાર અને ફૂડ સેફ્ટી ઓથોરિટી (FSSAI)ને અંતિમ ચેતવણી આપી છે. કોર્ટે કહ્યું કે નમકીન, બિસ્કિટ અને ચિપ્સના પેકેટ પર વધુ ખાંડ-મીઠું અને ફેટની ચેતવણી આપતા વોર્નિંગ લેબલ લગાવવા પર જો સરકાર નિર્ણય લઈ શકતી નથી તો અમે આદેશ જારી કરીશું.

 

કોર્ટે કેન્દ્ર સરકારને કહ્યું-

 

46 પહેલા પણ તમને કડક ન્યુટ્રિશન વોર્નિંગને લઈને નિર્દેશ આપ્યા હતા તો પછી આનાકાની કેમ. અમે જે કહ્યું છે, તમારે કરવું જોઈએ, શું તમારા પર કોર્પોરેટ ગૃહોનું દબાણ છે.

 

સુપ્રીમ કોર્ટે કહ્યું કે અમે જનતાના હિતમાં કામ કરી રહ્યા છીએ, પોતાના માટે નહીં. તમે અત્યાર સુધી શું કર્યું. 6 મહિના પહેલા પણ સુપ્રીમ કોર્ટે સરકાર અને FSSAIને કહ્યું હતું કે પેકેજ્ડ ફૂડ પર વોર્નિંગ લેબલ લગાવવા પર વિચાર કરવામાં આવે.

 

આ સમગ્ર મામલાને 8 સવાલ-જવાબમાં સમજો

1. સવાલ: સુપ્રીમ કોર્ટે પેકેજ્ડ ફૂડ વોર્નિંગ લેબલને લઈને કેન્દ્ર સરકારને શું કહ્યું?

 

જવાબ: સુપ્રીમ કોર્ટના જસ્ટિસ જે.બી. પારડીવાલા

 

અને જસ્ટિસ વી. વિનોદ ચંદ્રનની બેન્ચે જણાવ્યું કે આ મામલો નાગરિકો અને ખાસ કરીને વિકસતા બાળકોના સ્વાસ્થ્ય સાથે જોડાયેલો છે. તેથી આના પર કોઈ પણ નિર્ણય કોર્પોરેટ કંપનીઓના દબાણમાં આવીને લેવો જોઈએ નહીં.

 

2. સવાલ: કોર્ટમાં આ સુનાવણી શા માટે થઈ અને કોણે અરજી દાખલ કરી હતી?

 

જવાબ: આ સુનાવણી એક જનહિત અરજી (PIL) પર થઈ હતી. અરજદારે કોર્ટને જણાવ્યું કે FSSAIની 7 માર્ચની બેઠકમાં લેવાયેલા નિર્ણયો સુપ્રીમ કોર્ટના અગાઉના નિર્દેશોથી વિપરીત હતા.

અરજદારે જણાવ્યું કે FSSAI કંપનીઓના વિરોધને આધાર બનાવી રહ્યું છે, જ્યારે સિવિલ સોસાયટીના તે પુરાવાઓને અવગણવામાં આવી રહ્યા છે જે સ્વાસ્થ્ય સુરક્ષા માટે વોર્નિંગ લેબલની તરફેણમાં છે.

 

3. સવાલ: FSSAI અને કંપનીઓનું આ વોર્નિંગ લેબલ પર શું કહેવું છે?

 

જવાબ: FSSAIએ કોર્ટમાં જણાવ્યું કે ફૂડ ઇન્ડસ્ટ્રી પેકેટના આગળના ભાગ પર વોર્નિંગ લેબલ લગાવવાની વિરુદ્ધ છે. તેના વિકલ્પ તરીકે FSSAIએ એક ન્યુટ્રિશન ટેબલમાં એડેડ સુગર, સેચ્યુરેટેડ ફેટ અને દિવસમાં કેટલું મીઠું લેવું જોઈએ તે દર્શાવવાનો સુઝાવ આપ્યો છે.

 

કંપનીઓનું માનવું છે કે પેકેટની આગળ લાલ ચેતવણીવાળા નિશાનથી તેમના વેપાર પર પ્રતિકૂળ અસર પડશે.

 

4. સવાલ: સરકારે પોતાની દલીલમાં ભારતીય ખાન-પાન અને નમકીનનો શું તર્ક આપ્યો?

 

જવાબ: કેન્દ્ર સરકારનું પ્રતિનિધિત્વ કરી રહેલા એડિશનલ સોલિસિટર જનરલ (ASG) બ્રિજેન્દ્ર ચાહરે દલીલ કરી હતી કે પરંપરાગત ભારતીય ખાદ્ય પદાર્થો જેવા કે- નમકીન, ભુજિયા અને સ્નેક્સમાં સ્વાભાવિક રીતે મીઠું અને ચરબી (ફેટ)નું સ્તર વધુ હોય છે. જો વિકસિત દેશોના ધોરણો લાગુ કરવામાં આવે તો ઘણા પરંપરાગત ભારતીય ખાદ્ય પદાર્થો પર ‘રેડ વોર્નિંગ માર્ક’ લાગી જશે.

 

5. સવાલ: સરકારની ‘ભારતીય નમકીન’ અને વિકસિત દેશોવાળી દલીલ પર કોર્ટે શું કહ્યું?

 

જવાબ: અદાલતે સરકારની આ દલીલને ફગાવી દીધી.

 

સુપ્રીમ કોર્ટે સવાલ કર્યો- ‘શું ભારતને હંમેશા એક અવિકસિત દેશ જ બની રહેવું જોઈએ?’ કોર્ટે પૂછ્યું કે શું સરકાર પોતાના નાગરિકો અને બાળકોનું સ્વાસ્થ્ય સુનિશ્ચિત કરવા નથી માંગતી? બેન્ચે કહ્યું કે ઉત્પાદકોને તે પસંદ ન હોય, પરંતુ ઉપભોક્તાને તે જાણવાનો પૂરો અધિકાર છે કે તે શું ખાઈ રહ્યો છે.

6. સવાલ: શું આ પ્રકારના વોર્નિંગ લેબલ લાગવાથી પેક્ડ ફૂડના વેચાણ પર રોક લાગી જશે?

 

જવાબ: ના, કોર્ટે સ્પષ્ટ કર્યું કે વોર્નિંગ લેબલનો ઉદ્દેશ્ય વેચાણ રોકવાનો નથી, પરંતુ ગ્રાહકને જાગૃત કરવાનો છે. બેન્ચે કહ્યું કે ઉત્પાદકો વિચારી શકે છે કે તેનાથી તેમનો વ્યવસાય પ્રભાવિત થશે, પરંતુ ચેતવણી જોયા પછી અંતિમ નિર્ણય ગ્રાહકનો હશે કે તે ઉત્પાદન ખરીદવા માંગે છે કે નહીં. આ વિષયમાં ઉત્પાદકોની ભૂમિકા નિર્ણાયક હોઈ શકે નહીં.

 

7. સવાલ: સુપ્રીમ કોર્ટે આ મામલે સરકારને કેટલો સમય આપ્યો છે?

 

જવાબ: સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકાર અને FSSAIને વોર્નિંગ લેબલ પ્રસ્તાવનું પાલન કરવા માટે 2 અઠવાડિયાનો સમય આપ્યો છે. કોર્ટે સ્પષ્ટ ચેતવણી આપી છે કે જો નિર્ધારિત સમયમાં પગલાં લેવામાં નહીં આવે, તો આગામી સુનાવણી પર અદાલત પોતાનો નિર્ણય સંભળાવશે.

 

8. સવાલ: આ નિર્ણયની સામાન્ય ગ્રાહકો અને પેકેજ્ડ ફૂડ ઉદ્યોગ પર શું અસર થશે?

જવાબ: જો ‘ફ્રન્ટ-ઓફ-પેક વોર્નિંગ લેબલ’ લાગુ પડે છે, તો ગ્રાહકોને ખરીદી કરતી વખતે જ પેકેટની સામે સ્પષ્ટ દેખાઈ જશે કે ઉત્પાદનમાં ખાંડ, મીઠું કે ચરબીનું પ્રમાણ નિર્ધારિત મર્યાદા કરતાં વધુ તો નથી ને. આનાથી લોકો ખાવા-પીવા પ્રત્યે વધુ જાગૃત થશે અને કંપનીઓને પણ તેમના ઉત્પાદનોના પોષણ સ્તરમાં સુધારો કરવા માટે પ્રોત્સાહન મળશે.

ફ્રન્ટ-ઓફ-પેક વોર્નિંગ લેબલ શું હોય છે?

 

ફ્રન્ટ-ઓફ-પેક વોર્નિંગ લેબલ એટલે કે FoPL ફૂડ આઇટમ્સના પેકેટના આગળના ભાગ પર લાગતું એક સરળ વિઝ્યુઅલ સિમ્બોલ અથવા રંગીન લેબલ હોય છે. તેનો ઉદ્દેશ્ય સામાન્ય ગ્રાહકને સરળતાથી એ સમજાવવાનો હોય છે કે પ્રોડક્ટમાં મીઠું, ખાંડ કે ચરબીનું સ્તર સુરક્ષિત મર્યાદા કરતાં વધુ છે.

 

રીડર ટિપ્સ: પેક્ડ સ્નેક્સ, બિસ્કિટ કે નમકીન ખરીદતી વખતે ફક્ત ‘MRP’ અને ‘એક્સપાયરી ડેટ’ ન જુઓ. ન્યુટ્રિશન વેલ્યુમાં સોડિયમ (મીઠું) અને ‘એડેડ સુગર’ની માત્રા પર ધ્યાન આપો. જો તે દૈનિક આવશ્યક મર્યાદા કરતાં ઘણું વધારે હોય, તો તેનું મર્યાદિત માત્રામાં જ સેવન કરો.

 

દુનિયાના કયા દેશોમાં પહેલેથી લાગુ છે ફ્રન્ટ-ઓફ-પેક લેબલિંગ

 

દુનિયાના ઘણા દેશોએ પોતાના નાગરિકોના સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખીને ‘ફ્રન્ટ-ઓફ-પેક’ લેબલિંગને ફરજિયાત બનાવ્યું છે. આમાં ચિલી, મેક્સિકો, બ્રાઝિલ, પેરુ, ઉરુગ્વે અને ઇઝરાયલ જેવા દેશો શામેલ છે, જ્યાં પેકેટની સામે સ્પષ્ટ ચેતવણીવાળા લેબલ લગાવવામાં આવે છે.

 

આ દેશોમાં કરવામાં આવેલા અભ્યાસો દર્શાવે છે કે ચેતવણી લેબલ લગાવ્યા પછી લોકોની ખાણી-પીણીની આદતોમાં સુધારો થયો છે. ચિલી જેવા દેશોમાં, જ્યાં આ સિસ્ટમ સૌથી પહેલા લાગુ કરવામાં આવી હતી, ત્યાં લોકોએ વધુ ખાંડ, મીઠું અને સેચ્યુરેટેડ ફેટવાળા ઉત્પાદનોની ખરીદી ઓછી કરી દીધી છે.

 

આ ઉપરાંત, કંપનીઓએ પણ પોતાના ઉત્પાદનોમાં ખાંડ અને મીઠાનું પ્રમાણ ઘટાડવાનું શરૂ કરી દીધું છે જેથી તેમના ઉત્પાદનો પર ‘અનહેલ્ધી’ હોવાનું લેબલ ન લાગે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *