અમદાવાદના રાણીપ વિસ્તારમાં આવેલા સુભાષબ્રિજ ખાતે મોડી રાત્રે અજય સાલ્વીની હત્યા થતાં ચકચાર મચી છે. પ્રાથમિક માહિતી મુજબ, ગઈકાલે રાત્રે આશરે 2 વાગ્યાના સમયે અજય ચા પીવા માટે ઊભો હતો ત્યારે તેના પર હુમલો કરવામાં આવ્યો હતો.
અજયનું મોત થયું
મળતી માહિતી અનુસાર, અજય સાલ્વી સાથે થોડા દિવસ અગાઉ સુભાષબ્રિજ ખાતે બબાલ થઈ હતી.આ દરમિયાન અંકિત સહિતના કેટલાક યુવકોએ તેને જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાનો દાવો કરવામાં આવ્યો છે. ત્યારબાદ ગઈ રાત્રે અજય પર હુમલો કરવામાં આવ્યો હતો. હુમલાખોરોથી બચવા માટે અજય ભાગવાનો પ્રયાસ કરી રહ્યો હતો. જોકે, સર્કલ પાસે તે પડી જતા આરોપીઓએ તેના પર છરી અને તલવાર જેવા હથિયારો વડે હુમલો કર્યો હોવાની માહિતી સામે આવી છે. ગંભીર ઇજાઓને પગલે અજયનું મોત થયું હતું.
ગુના નોંધાયેલા હોવાનું પણ સામે આવ્યું
મૃતક અજય સાલ્વી રોયલ મિલના છાપરા પાસે રહેતો હોવાનું જાણવા મળ્યું છે. પોલીસ તપાસમાં અજય વિરુદ્ધ સાબરમતી, રાણીપ સહિતના પોલીસ સ્ટેશનોમાં પ્રોહિબિશનના ગુના નોંધાયેલા હોવાનું પણ સામે આવ્યું છે. અગાઉ તે બુટલેગર તરીકે સંડોવાયેલો હોવાની માહિતી પણ મળી રહી છે. હાલ પોલીસ દ્વારા હત્યાના કારણો અને આરોપીઓની સંડોવણી અંગે તપાસ હાથ ધરવામાં આવી છે. આરોપીઓનો ગુનાહિત ઇતિહાસ પણ પોલીસ તપાસનો ભાગ બન્યો છે. જૂની બબાલના કારણે હત્યા થઈ હોવાની આશંકા વચ્ચે પોલીસે સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ સહિતના પુરાવા એકત્ર કરવાની કાર્યવાહી શરૂ કરી છે.