દારૂનું, સોનાનું સ્મગલિંગ તમે સાંભળ્યું હશે, પનીરનું સ્મગલિંગ સાંભળ્યું છે, રાજસ્થાનથી અમદાવાદ આવતું 408 કિલો નકલી પનીર પકડાયું

Spread the love

થોડા દિવસ અગાઉ રાજ્ય સરકારે ગુજરાતમાં એનાલોગ પનીર વેચાણ પર સંપૂર્ણ પ્રતિબંધ લાદી દીધો છે. ત્યારે દેશના રાજસ્થાનથી અમદાવાદમાં લૉ ફેટનું એનાલોગ પનીર લાવીને સસ્તા ભાવે વેચવાનો મામલો સામે આવ્યો છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ફૂડ વિભાગ દ્વારા મોટા 408 કિલો એનાલોગ પનીર ઝડપી પાડવામાં આવ્યું છે.

 

દિવ્યભાસ્કરના અહેવાલ મુજબ અમદાવાદના કાંકરિયા દેડકી ગાર્ડન નજીક મ્યુનિસિપલ કોર્પોરેશનના પે એન્ડ પાર્કિંગ પ્લોટમાં બે લક્ઝરી બસમાં વહેલી સવારે દરોડો પાડવામાં આવ્યો હતો.પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે, રાજસ્થાનથી આ જથ્થો લક્ઝરી બસમાં લાવવામાં આવ્યો હતો. નરોડા અને મણીનગર વિસ્તારના બે વ્યક્તિ આ પનીરનો જથ્થો લેવા માટે આવ્યા હતા. ફૂડ વિભાગ દ્વારા હાલમાં પનીરનો જથ્થો જપ્ત કરી અને સેમ્પલ માટે લેબ ટેસ્ટમાં મોકલી આપવાની કાર્યવાહી કરવામાં આવી છે.

 

આ પનીરના જથ્થાનું મેન્યુફેક્ચરિંગ યુનિટ રાજસ્થાનના જોધપુર અને પાલીમાં હોવાનું સામે આવ્યું છે. જેથી રાજસ્થાનથી આ લૉ ફેટ પનીરનો જથ્થો લાવવામાં આવ્યો હોવાની શક્યતા છે અને એનાલોગ પનીર હોવાની સંપૂર્ણપણે શક્યતા છે. જો કે ફૂડ વિભાગ દ્વારા આ પનીરનો જથ્થો સીઝ કરી અને લેબોરેટરીમાં તપાસ માટે મોકલી આપવામાં આવ્યો છે. લગભગ 408 કિલો જથ્થો લાવવામાં આવ્યો હતો. સેમ્પલના પરિણામ આવ્યા પછી મેન્યુફેક્ચરિંગ યુનિટ અને લાવવામાં આવનાર તેમજ ખરીદનાર તમામ લોકોની તપાસ કરી કાર્યવાહી હાથ ધરવામાં આવશે.

મ્યુનિસિપલ કોર્પોરેશનના ફૂડ વિભાગના અધિકારી ડૉ. તેજસ શાહે જણાવ્યું હતું કે, આજે 21 ઓગસ્ટના રોજ વહેલી સવારના સમયે કાંકરિયા વિસ્તારમાં દેડકી ગાર્ડન પાસે આવેલા પાર્કિંગમાં અરુણાચલ પ્રદેશના સિમ્બોલ વાળી બે લક્ઝરી બસમાં તપાસ કરવામાં આવી હતી. જેમાં લો ફેટ પનીરનો જથ્થો મળી આવ્યો હતો. નરોડા અને મણિનગર વિસ્તારના બે લોકો આ પનીરનો જથ્થો લેવા માટે આવ્યા હતા. પ્રતિ કિલો 240 રૂપિયાના ભાવે તેમને આ પનીરનો જથ્થો આપવામાં આવતો હતો. લક્ઝરી બસના લોકો દ્વારા લો ફેટ પનીરનો જથ્થો લાવવામાં આવતો હતો. જેમાં MRP 400-450 રૂપિયા જેટલી લખેલી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *