સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, દિલ્હી હાઈકમાન્ડ તરફથી આખરી ઓપ મળ્યા બાદ ચાલુ ઓગસ્ટ માસના અંત સુધીમાં ગુજરાત કોંગ્રેસના નવા સંગઠન માળખાની સત્તાવાર જાહેરાત થઈ શકે છે. પક્ષના અગ્રણી ચૂંટણી રણનીતિજ્ઞ સુનીલ કાનુગોલુના આંતરિક સર્વેક્ષણ અને રીપોર્ટના આધારે જ આ નવું માળખું આકાર પામ્યું હોવાનું કહેવાય છે. જેમાં ભૂતકાળમાં રાજ્યમાં થયેલા વિવિધ સામાજિક તથા શૈક્ષણિક આંદોલનોમાંથી ઊભરેલા અને પક્ષ પ્રત્યે વફાદાર રહેલા યુવાનોને વિશેષ સ્થાન સોંપવામાં આવી શકે છે. સોશિયલ મીડિયા, આધુનિક ટેકનોલોજી અને વર્તમાન યુવા વર્ગ સાથે સીધો સંવાદ સાધી શકે તેવા યુવા નેતાઓને પ્રદેશ કક્ષાએ મહત્વની જવાબદારીઓ મળશે.
ગુજરાત કોંગ્રેસના નવા સંગઠનની પુનઃરચનાના સમાચાર વાયુવેગે પ્રસરતા જ રાજ્યના રાજકારણમાં ગરમાવો આવી ગયો છે. પક્ષના કયા જૂના દિગ્ગજોના પત્તા કપાશે અને કયા નવા યુવા ચહેરાઓને મોટી સંગઠનાત્મક લોટરી લાગશે, તેને લઈને કાર્યકરો અને રાજકીય વિશ્લેષકોમાં ભારે ઉત્સુકતા જોવા મળી રહી છે.
