આંધ્રપ્રદેશના કાકીનાડા જિલ્લામાં ગોદાવરી નદીમાં કૂદીને એક જ પરિવારના ત્રણ લોકોએ આત્મહત્યા કરી લેવાની ઘટનામાં હવે નવો વળાંક સામે આવ્યો છે. આ કેસમાં 38 વર્ષીય મૃતક સૌજન્યા દ્વારા લખાયેલી 5 પાનાની સુસાઇડ નોટમાં રાઇફલ કોચ શેખ સાદિક ખાન પર માનસિક અને શારીરિક પ્રતાડના, ધર્મ પરિવર્તનનું દબાણ, બ્લેકમેઇલિંગ, પુત્રના અપહરણની ધમકી, અને પતિની કેમિકલ આપી હત્યા કરવા જેવા અતિ ગંભીર આરોપો મૂકવામાં આવ્યા છે.
બનાવ બાદ ફરાર થઈ ગયેલા આરોપી સાદિક ખાનની પોલીસે ઉત્તર પ્રદેશના મેરઠથી ધરપકડ કરી 14 દિવસની ન્યાયિક કસ્ટડીમાં મોકલી આપ્યો છે.
સ્યુસાઈડ નોટમાં ચોંકાવનારો દાવો
આ નોટમાં એનાથી પણ વધુ સનસનાટીભર્યો દાવો કરવામાં આવ્યો છે કે સૌજન્યાના પતિ જગદીશ રેડ્ડીના મોત પાછળ પણ સાદિકનો હાથ હતો. સૌજન્યાએ એમાં લખ્યું છે, ‘તેણે મારા પતિને મારી નાખ્યા, મને સતત હેરાન અને પ્રતાડિત કરી, મારા પર ધર્મ બદલવાનું દબાણ કર્યું અને મારા પુત્રનું અપહરણ કરીને આતંકવાદીઓને વેચી દેવાની ધમકી આપી. સતત થઈ રહેલી યાતનાઓ, પ્રતાડના અને ધમકીઓ સહન કરવામાં અસમર્થ બનીને, અમે અમારો જીવ આપવાનો નિર્ણય કર્યો છે.’ જોકે, આ તમામ આરોપો હાલમાં તપાસનો ભાગ છે અને પોલીસે હજુ સુધી તેની પુષ્ટિ નથી કરી.
‘વિશ્વાસનો જવાબ બ્લેકમેઇલિંગથી મળ્યો’
સૌજન્યાએ આ નોટમાં પોતાની જિંદગી વિશે પણ લખ્યું છે. તેણે જણાવ્યું કે તે બાળપણથી જ ભણવામાં ગંભીર હતી અને પોતાના પિતાને ગર્વ અનુભવાય તેવું કરવા માંગતી હતી. 2018માં ભાઈ સતીશના મોતનો ઉલ્લેખ કરતા તેણે તેને પોતાના જીવનનો મજબૂત સહારો ગણાવ્યો હતો.
તેનો આરોપ છે કે સાદિક તેના પુત્ર રિયાંશ દ્વારા પરિવાર વિશે માહિતી મેળવ્યા પછી તેની નજીક આવ્યો હતો. શરૂઆતમાં સૌજન્યાએ તેના પર વિશ્વાસ કર્યો, પરંતુ પાછળથી કથિત રીતે એ જ માહિતી તે તેની વિરુદ્ધ વાપરવા લાગ્યો.
સૌજન્યાના જણાવ્યા અનુસાર, વિરોધ કરવા પર તેની સાથે મારપીટ કરવામાં આવતી હતી અને તેને બ્લેકમેઇલ કરવામાં આવતી હતી. સ્થિતિ એટલી ખરાબ થઈ ગઈ કે તેણે જીવ આપવા સુધી વિચાર્યું, પરંતુ પુત્રના કારણે તે પાછળ હટી ગઈ.
પુત્રનું અપહરણ કરવાની ધમકીનો દાવો
આ નોટમાં આરોપ લગાવવામાં આવ્યો છે કે જ્યારે સૌજન્યાએ પોતાના પતિને સાદિકના વર્તન વિશે જણાવ્યું તો તેણે કથિત રીતે જગદીશ સાથે પણ મારપીટ કરી હતી. સૌજન્યાનો એવો પણ દાવો છે કે સાદિક તેના પુત્ર રિયાંશની સ્કૂલમાં કોચ બનીને આવ્યો અને બાળકનું અપહરણ કરવાની ધમકી આપવા લાગ્યો. નોટ અનુસાર, આ ધમકીઓને કારણે પરિવાર સતત ડરના ઓછાયા હેઠળ રહેવા લાગ્યો હતો. તેણે એ પણ લખ્યું કે માનસિક દબાણ એટલું વધી ગયું હતું કે તે પોતાની પાસે ઊંઘની ગોળીઓ પણ રાખવા લાગી હતી.
પતિના મોત અંગે સૌથી ગંભીર આરોપ
આ સમગ્ર કેસનું સૌથી ગંભીર પાસું જગદીશ રેડ્ડીના મોત સાથે જોડાયેલો આરોપ છે. સૌજન્યાએ કથિત રીતે દાવો કર્યો કે સાદિકે કેનેડાથી મુંબઈના રસ્તે એક અત્યંત ઝેરી કેમિકલ મંગાવ્યું અને તે તેના પતિને આપ્યું, ત્યારબાદ તેમનું મોત થઈ ગયું.
તેણે આરોપ લગાવ્યો કે પતિના મોત પછી સાદિકે તેના પર વધુ નિયંત્રણ સ્થાપિત કરી લીધું. ઘરની ચાવીઓથી લઈને મિલકતના દસ્તાવેજો સુધી તેના પર સાદિકનું નિયંત્રણ થઈ ગયું હતું.
‘મને નરક જેવી જિંદગી જીવવા મજબૂર કરી’
સૌજન્યાએ કથિત નોટમાં સાદિક પર સતત નજર રાખવાનો પણ આરોપ લગાવ્યો. તેના અનુસાર, તેને દરેક સમયે વોટ્સએપ બિઝનેસ પર ઉપલબ્ધ રહેવા માટે મજબૂર કરવામાં આવતી હતી અને ફોન કોલ્સથી લઈને તેની અવરજવર સુધી તમામ બાબતો પર નજર રાખવામાં આવતી હતી. તેણે દાવો કર્યો કે તેણે સાદિકના પરિવાર પાસેથી પણ મદદ માગવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ કથિત રીતે તેને તેનાથી દૂર રહેવાની સલાહ આપીને મામલો ટાળી દેવામાં આવ્યો હતો.
સૌજન્યાના જણાવ્યા મુજબ, સાદિક તેના પિતાને નુકસાન પહોંચાડવાની અને તેને એક ફ્લેટમાં કેદ રાખવાની ધમકી પણ આપતો હતો. તેણે એવો પણ આરોપ લગાવ્યો કે તેના પુત્રને આતંકવાદીઓને વેચી દેવાની ધમકી આપવામાં આવી હતી અને આરોપી પોતાના પોલીસ સંપર્કોનો હવાલો આપીને પરિવારને ડરાવતો હતો.
સુસાઇડ નોટમાં સૌજન્યાએ ધર્મ પરિવર્તન માટે દબાણ કરવાનો પણ દાવો કર્યો છે. તેના અનુસાર, સાદિક તેના પર ઇસ્લામ કબૂલ કરવા અને ઇસ્લામિક પુસ્તકો વાંચીને રોજની નોટ્સ તૈયાર કરવાનું દબાણ કરતો હતો.
આરોપ છે કે ઇનકાર કરવા પર તેની સાથે મારપીટ કરવામાં આવતી હતી. તેણે દાવો કર્યો કે પરિવારની આત્મહત્યાના લગભગ 10 દિવસ પહેલા સતત ત્રણ દિવસ સુધી તેની સાથે કથિત રીતે મારપીટ કરવામાં આવી હતી.
નોટમાં એક ઘટનાનો ઉલ્લેખ કરતા સૌજન્યાએ આરોપ લગાવ્યો કે તેને ઉપ્પાડા બીચ પર લઈ જઈને સમુદ્રમાં ધકેલી દેવામાં આવી હતી અને પછી બહાર ખેંચી લેવામાં આવી હતી. ત્યારબાદ ખડકો પર ફેંકી દેવાની ધમકી આપવાનો પણ દાવો કરાયો છે.
કેવી રીતે સામે આવ્યો સમગ્ર કેસ?
16 ઓગસ્ટની રાત્રે કાકીનાડા જિલ્લામાં પંચાયત રાજ વિભાગના આસિસ્ટંત એન્જિનિયર 61 વર્ષીય નૂકરાજુ, તેમની 58 વર્ષીય પત્ની મીના, 38 વર્ષીય પુત્રી સૌજન્યા અને દોહિત્ર રિયાંશે કથિત રીતે રાજમહેન્દ્રવરમ રોડ-કમ-રેલ બ્રિજ પરથી ગોદાવરી નદીમાં છલાંગ લગાવી દીધી હતી.
ઘટનાની જાણ થતાં જ પોલીસ અને સ્થાનિક માછીમારોએ શોધખોળ શરૂ કરી હતી. લગભગ 20 મિનિટ સુધી પાણીમાં રહ્યા બાદ રિયાંશ મદદ માટે બૂમો પાડતો રહ્યો અને માછીમારોએ તેને બચાવી લીધો. પરંતુ નૂકરાજુ, મીના અને સૌજન્યાનો જીવ બચી શક્યો નહીં.
તપાસ દરમિયાન પોલીસને નૂકરાજુની એક સુસાઇડ નોટ અને સૌજન્યાના સ્કૂટર પરથી બીજી નોટ મળી આવી હતી. કાકીનાડાના એસપી બિંદુ માધવના જણાવ્યા અનુસાર, બંને નોટમાં સાદિક ખાનનું નામ સામે આવ્યું હતું.
પાંચ રાજ્યોમાં શોધખોળ, મેરઠથી ધરપકડ
પરિવારના મોત બાદ સાદિક કથિત રીતે પોતાના મોબાઈલ ફોન બંધ કરીને ફરાર થઈ ગયો હતો. પોલીસે તેની શોધખોળ માટે 10 વિશેષ ટીમોની રચના કરી હતી અને પાંચ રાજ્યોમાં દરોડા તથા સર્ચ ઓપરેશન ચલાવ્યું હતું.
આખરે પોલીસે તેની ઉત્તરપ્રદેશના મેરઠથી ધરપકડ કરી હતી. ટ્રાન્ઝિટ વોરંટ પર તેને કાકીનાડા લાવવામાં આવ્યો હતો. મેડિકલ તપાસ બાદ અદાલતમાં રજૂ કરવામાં આવતા તેને 14 દિવસની ન્યાયિક કસ્ટડીમાં મોકલી દેવામાં આવ્યો છે.
આ પછી પોલીસે સરપાવરમ પોલીસ સ્ટેશનમાં તેની પૂછપરછ કરી હતી. પોલીસ હવે તેની પાસેથી કેસ સાથે જોડાયેલા ઘટનાક્રમ, પરિવાર સાથેના તેના સંબંધો અને સુસાઇડ નોટમાં લગાવવામાં આવેલા આરોપો અંગે માહિતી એકત્ર કરી રહી છે.
શૂટિંગ એકેડેમી પણ તપાસના દાયરામાં
પોલીસ સાદિકની શૂટિંગ એકેડેમીની પ્રવૃત્તિઓની પણ તપાસ કરી રહી છે. એસપીના જણાવ્યા અનુસાર, નૂકરાજુ પરિવારે સાદિક વિરુદ્ધ પહેલાં કોઈ ઔપચારિક ફરિયાદ નોંધાવી ન હતી.
પોલીસે સોશિયલ મીડિયા પર સામે આવી રહેલા અન્ય કથિત પત્રો પર હાલ ટિપ્પણી કરવાનો ઇનકાર કર્યો છે. અધિકારીઓનું કહેવું છે કે આરોપોને નક્કર પુરાવાઓથી સાબિત કર્યા બાદ જ ચાર્જશીટ દાખલ કરવામાં આવશે.
આ દુખદ ઘટનામાં 61 વર્ષીય નૂકરાજૂ અને તેમની પત્ની 58 વર્ષીય મીનાના પુત્રી 38 વર્ષીય સૌજન્યા હતી (જેમના ભાઈ સતીશનું 2018માં જ અવસાન થયું હતું). સૌજન્યાના પતિ જગદીશ રેડ્ડી હતા, જેમનું આપઘાતની આ ઘટના પહેલાં જ શંકાસ્પદ સંજોગોમાં મૃત્યુ થયું હતું (જેમના માટે સુસાઇડ નોટમાં સાદિક પર ઝેરી કેમિકલ આપીને હત્યા કરવાનો આરોપ લગાવાયો છે). સૌજન્યા અને સ્વ. જગદીશ રેડ્ડીનો પુત્ર રિયાંશ છે. આમ, 16 ઓગસ્ટના રોજ ગોદાવરી નદીમાં કૂદનારા ચાર સભ્યોમાં નૂકરાજૂ (પિતા), મીના (માતા), સૌજન્યા (પુત્રી) અને રિયાંશ (દોહિત્ર) સામેલ હતા.
‘લવ જેહાદ’ના આરોપથી રાજકીય વિવાદ પણ ઘેરો બન્યો
આ મામલાએ હવે રાજકીય રંગ પણ ધારણ કરી લીધો છે. વાયએસઆર કોંગ્રેસના ભૂતપૂર્વ સાંસદ વિજયસાઈ રેડ્ડીએ આને માત્ર ઉત્પીડનનો કેસ નહીં, પરંતુ કથિત રીતે ‘લવ જેહાદ’નું ષડયંત્ર ગણાવ્યું છે. તેમણે આરોપ લગાવ્યો કે સાદિકે અન્ય પરિવારોને પણ નિશાન બનાવ્યા હતા અને મિલકત પર કબજો કરવો તેનો હેતુ હતો. જોકે, આ રાજકીય આરોપોની પણ પોલીસે પુષ્ટિ કરી નથી. બીજી તરફ, ભાજપે કાકીનાડામાં પ્રદર્શન કરીને આરોપી સાદિક ખાનને સખત સજા આપવાની અને ફાંસી આપવાની માગણી કરી છે.
