અમદાવાદ: શહેરમાં વધુ એક હત્યાની ઘટનાએ ચકચાર મચાવી દીધી છે. સગા ચાર ભાઈઓએ મળીને જશોદાનગરના ત્રિકમપુરા પાસે આવેલા ચાર માળીયા ખાતે અજીતસિંહ મોહનસિંહ ચૌહાણ અને અન્ય બે વ્યક્તિઓ પર હુમલો કરવામાં આવ્યો હતો. જે બાદ અજીતસિંહ ચૌહાણનું મોત નીપજ્યું હતુ. આ અંગે જીઆઈડીસી પોલીસ સ્ટેશનમાં વધુ તપાસ શરૂ કરવામાં આવી છે.એસ ડિવિઝનના ACP, યુવરાજસિંહ.એ.ગોહિલના જણાવ્યા પ્રમાણે, અમદાવાદના વટવા GIDC પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં હત્યાનો મામલો સામે આવ્યો છે. શહેરના જશોદાનગરના ત્રિકમપુરા પાસે આવેલા ચાર માળીયા ખાતે હત્યાનો બનાવ બન્યો છે. સોમવારે રાત્રિના સમયે 9.30 વાગ્યે મૃતક અજીતસિંહ મોહનસિંહ ચૌહાણ અને અન્ય બે લોકો પર હુમલો કરવામાં આવ્યો હતો. આ હુમલામાં અજીતસિંહની હત્યા થઈ હતી. ચાર સગા ભાઈઓએ મૃતક સાથેની જૂની અદાલતમાં આ હત્યાને અંજામ આપવામાં આવ્યો છે.
મામાના દીકરાને મળવા જતા મળ્યું મોત
મળતી માહિતી પ્રમાણે, હરેશ ઉર્ફે હિતેશ સોલંકી, ધર્મેશ સોલંકી, રવિ સોલંકી અને અક્ષય સોલંકીએ હુમલો કરીને હત્યા કરી છે. મૃતક પોતાના મામાના દીકરા હેમંત સાથે મિત્ર અર્જુનને મળવા ગયો હતો. ત્યારે આ બનાવ બન્યો હતો. મૃતક થોડા મહિના અગાઉ જ ચાર માળીયામાંથી હાથીજણ રહેવા ગયો હતો. મૃતક સિવાયના અન્ય બે વ્યક્તિઓ હાલ સારવાર હેઠળ છે. આરોપીઓએ અગાઉ મૃતકની પત્નીને પણ માર માર્યો હતો. આરોપી હરેશ અને અક્ષયે 2015 માં મિતેષ નામના વ્યક્તિની હત્યા કરી હોવાનું પણ સામે આવ્યું છે. ચારેય આરોપી સગા ભાઈ છે. આ લોકોએ પાઇપ અને તલવારો વડે હત્યા નિપજાવી છે. પોલીસે હાલ આરોપીઓને પકડવા માટે કાર્યવાહી શરૂ કરી છે.