કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીએ મહારાષ્ટ્રમાં હાથ ધરાયેલા વિશેષ મતદાર યાદી સુધારણા (SIR) મુદ્દે આકરા પ્રહારો કર્યા છે. તંત્ર દ્વારા જાહેર કરાયેલી પ્રથમ ડ્રાફ્ટ મતદાર યાદી પર ગંભીર સવાલો ઉઠાવીને ભારતીય જનતા પાર્ટી (BJP) અને ભારતીય ચૂંટણી પંચ (EC) પર રાહુલ ગાંધીએ આકરા પ્રહારો કર્યા છે. તેમણે દાવો કર્યો હતો કે, ‘ભાજપ અને ‘વોટ ચોરી આયોગ’ના રસ્તાઓ બદલાતા રહે છે, અને બદલાતા રહેશે.પરંતુ તેમનો એક જ હેતુ છે કે, કોઈપણ ભોગે ભાજપની જીત અને ભારતના લોકશાહીનો અંત.’
સોશિયલ મીડિયા પર રાહુલના આંકડાકીય પ્રહારો
સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ (X) પર પોસ્ટ કરતા રાહુલ ગાંધીએ લખ્યું કે, ‘મહારાષ્ટ્રમાં 2024ની લોકસભા અને વિધાનસભા ચૂંટણી વચ્ચે અચાનક 39 લાખ નવા મતદારો ઉમેરાયા હતા. મેં ત્યારે પણ કહ્યું હતું, અને આજે પણ કહું છું કે આ વોટની ચોરી હતી.’ તેમણે પશ્ચિમ બંગાળનો ઉલ્લેખ કરતા ઉમેર્યું કે, ‘2026ના SIR માં બંગાળમાં જે નામો કાપી નાખવામાં આવ્યા હતા, તેમાંથી 91 ટકા નામો અપીલ બાદ ફરી જોડવા પડ્યા હતા. એટલે કે દર 10 માંથી 9 નામો ખોટી રીતે કાપવામાં આવ્યા હતા, અને આ નામો ચૂંટણી પછી જ જોડવામાં આવ્યા. અને હવે મહારાષ્ટ્રમાં 2.07 કરોડ મતદારોને ડ્રાફ્ટ લિસ્ટમાંથી બહાર કરી દેવાયા છે, જે રાજ્યના દર પાંચમા મતદાર સમાન છે.’
