દોઢ વર્ષ જૂના વિવાદનો અંત, સહારનપુરમાં કલેક્ટર કચેરી પરિસરમાં મસ્જિદ પર બુલડોઝર કાર્યવાહી

Spread the love

ઉત્તરપ્રદેશના સહારનપુરમાં કલેક્ટર કચેરી પરિસરમાં આવેલી એક મસ્જિદને વહેલી સવારે બુલડોઝર દ્વારા તોડી પાડવામાં આવી હતી. પોલીસ અને સુરક્ષા દળોના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે આ ડિમોલેશન કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી, જે છેલ્લા દોઢ વર્ષથી ચાલી રહેલા કાનૂની વિવાદનો અંત લાવે છે.

 

મળતી માહિતી અનુસાર, આ કાર્યવાહી વહેલી સવારે લગભગ 4 વાગ્યાથી શરૂ કરવામાં આવી હતી.પ્રશાસને મસ્જિદના બાંધકામને હટાવવા માટે છ બુલડોઝર તૈનાત કર્યા હતા. કાર્યવાહી પહેલા જ કલેક્ટર કચેરીના તમામ પાંચ ગેટ બંધ કરી દેવામાં આવ્યા હતા અને બહારથી લોકોની અવરજવર પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. સમગ્ર વિસ્તારમાં પોલીસ બંદોબસ્ત વધારવામાં આવ્યો હતો, જેમાં પીએસી (પ્રોવિન્સિયલ આર્મ્ડ કોન્સ્ટેબ્યુલરી) અને આરપીએફ (રેલવે પ્રોટેક્શન ફોર્સ)ની ટીમો તૈનાત કરવામાં આવી હતી.

 

પ્રશાસને જિલ્લામાં હાઈ એલર્ટ જાહેર કરીને સંવેદનશીલ વિસ્તારોમાં પીએસી અને આરઆરએફ (રેપિડ રિએક્શન ફોર્સ)ના જવાનોને પણ તૈનાત કર્યા છે. તણાવપૂર્ણ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને પોલીસ, પીએસી, આરઆરએફ અને ફાયરબ્રિગેડની ટીમો સતર્ક છે.

 

આ મસ્જિદ પરની કાર્યવાહી પાછળ એક લાંબો કાનૂની સંઘર્ષ હતો. આશરે દોઢ વર્ષથી આ વિવાદ ચાલી રહ્યો હતો. ડિસ્ટ્રિક્ટ કોર્ટે 2 સપ્ટેમ્બર 2026ના રોજ મસ્જિદ પક્ષ દ્વારા દાખલ કરવામાં આવેલી અપીલને ફગાવી દીધી હતી. કોર્ટે સિટી મેજિસ્ટ્રેટ દ્વારા અગાઉ આપવામાં આવેલા આદેશને યથાવત રાખ્યો હતો. સિટી મેજિસ્ટ્રેટની અદાલતે તેના આદેશમાં વિવાદિત જમીનને સરકારી જમીન તરીકે ઓળખાવી હતી અને તેના પર થયેલા બાંધકામને ગેરકાયદેસર ઠેરવ્યું હતું. આ અદાલતે પરિસરને ખાલી કરાવવાનો આદેશ આપ્યો હતો, જેના આધારે આ બુલડોઝર કાર્યવાહી કરવામાં આવી છે.

 

મહત્વનું છે કે, વહેલી સવારે બુલડોઝર કાર્યવાહી થાય તે પહેલા જ ગઈકાલે રાતથી જ શહેરમાં મસ્જિદ તોડવાની અફવા ફેલાઈ હતી, જેના કારણે સ્થાનિક લોકોમાં ચર્ચાનો વિષય બન્યો હતો. જોકે, પ્રશાસને કોઈપણ અનિચ્છનીય ઘટના ન બને તે માટે કડક સુરક્ષા વ્યવસ્થા જાળવી રાખી હતી અને શાંતિપૂર્ણ રીતે કાર્યવાહી સંપન્ન કરી હતી. આ કાર્યવાહી દર્શાવે છે કે ઉત્તરપ્રદેશ સરકાર ગેરકાયદેસર બાંધકામો સામે કડક વલણ અપનાવી રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *