અમદાવાદમાં રિક્ષાચાલકોએ બીજા જ દિવસે ધંધો શરૂ કરી દીધો, બોલ્યા- ‘ઘરનું ગુજરાન ચલાવવું પણ જરૂરી છે’

Spread the love

અમદાવાદ શહેરમાં રિક્ષા અને ટેક્સી ચાલકોની ચાર દિવસીય હડતાળનો આજનો બીજો દિવસ છે, જેના કારણે શહેરમાં પરિવહન વ્યવસ્થા પર ભારે અસર જોવા મળી રહી છે. ખાસ કરીને અમદાવાદ એરપોર્ટ પર ટેક્સી ચાલકો અચાનક હડતાળ પર ઉતરી જતા મુસાફરો મુશ્કેલીમાં મુકાયા છે. એરપોર્ટ પર ઓનલાઈન બુકિંગ કરવા છતા કોઈ ડ્રાઇવર બુકિંગ સ્વીકારી રહ્યા નથી અને મુસાફરો બે કલાકથી વધુ સમયથી પરેશાન થઈ રહ્યા છે.એટલું જ નહીં, ટેક્સી ચાલકો દ્વારા ઓનલાઈન એપ્લિકેશન્સ સામે રોષ વ્યક્ત કરીને લડી લેવાના મૂડમાં હોવાનું સામે આવ્યું છે અને રોજિંદા ભાડા કરતા પણ ડબલ ભાડાની માગ કરવામાં આવી રહી હોવાની ફરિયાદો પણ ઉઠી છે.

 

પોતાની પડતર માગણીઓ અને ઓનલાઈન કેબ સામેના વિરોધને લઈને રિક્ષા અને ટેક્સી ચાલકો હડતાળ પર અડગ છે અને જ્યાં સુધી તેમની માંગણીઓ સ્વીકારવામાં નહીં આવે ત્યાં સુધી આ આંદોલન યથાવત રહેશે તેવી ચીમકી ઉચ્ચારી છે. આ વિવાદ હવે માત્ર અમદાવાદ પૂરતો સીમિત નથી રહ્યો, પરંતુ આ હડતાળમાં સમર્થન આપવા માટે હવે અન્ય જિલ્લાના ટેક્સીચાલકો પણ જોડાવાના હોવાથી મામલો વધુ ગરમાઈ શકે છે. ચાર દિવસીય હડતાળના એલાનને પગલે તંત્ર અને યુનિયન વચ્ચે આગામી સમયમાં કેવું વલણ રહે છે તેના પર સૌની નજર ટકેલી છે. બીજી તરફ યુનિયનની સાથે હોવા છતા પરિવારનું ગુજરાન ચલાવવા માટે ગીતા મંદિર પાસે કેટલાક રિક્ષાચાલકોએ બીજા જ દિવસે ફરી ધંધો શરૂ કરી દીધો છે. રોજની કમાણી પર ઘર ચલાવતા રિક્ષાચાલકો માટે 4 દિવસ સુધી રિક્ષા બંધ રાખવી મુશ્કેલ બની રહી છે.રિક્ષા ચાલકોની હડતાળને અમદાવાદ શહેરમાં મિશ્ર પ્રતિસાદ મળ્યો છે. વહેલી સવારે રાણીપ સહિતના વિસ્તારોમાં રિક્ષાઓ સામાન્ય દિવસોની જેમ રાબેતા મુજબ ચાલતી જોવા મળી હતી, જેના કારણે નોકરીયાતો અને સામાન્ય નાગરિકોને થોડી રાહત જરૂર મળી છે. અગાઉ રિક્ષા અને ટેક્સી યુનિયનની આગેવાની હેઠળ RTO, પોલીસ અને ટ્રાન્સપોર્ટ વિભાગના અધિકારીઓ સાથે બેઠક યોજાઈ હતી, પરંતુ લાંબી ચર્ચા છતા આ બેઠકમાં કોઈ સંતોષકારક કે યોગ્ય નિરાકરણ આવી શક્યું નહોતું. અધિકારીઓ સાથેની મંત્રણા નિષ્ફળ નીવડતા ચાલકો પોતાની માંગણીઓ પર મક્કમ રહ્યા છે.

 

અમદાવાદમાં રિક્ષા અને ટેક્સી ચાલકોની હડતાળ 7 સપ્ટેમ્બરથી શરૂ થઈ છે અને 10 સપ્ટેમ્બર સુધી ચાલવાની છે. હડતાળ પાછળ ઓનલાઈન રિક્ષા અને ટેક્સીના ઓછા ભાડા, CNGના વધતા ખર્ચ અને રેપિડો જેવી સેવાઓ સામે રિક્ષાચાલકોના પ્રશ્નો છે. પરંતુ હડતાળના બીજા દિવસે જ ગીતા મંદિર પાસે કેટલાક રિક્ષાચાલકોએ ફરી પોતાની રિક્ષા રસ્તા પર ઉતારી દીધી છે. ગીતા મંદિર પાસે રિક્ષા ચલાવતા ચાલકોએ સ્પષ્ટ કહ્યું કે ‘યુનિયનની સાથે છીએ, પરંતુ ઘરનું ગુજરાન ચલાવવું પણ જરૂરી છે.’ તેમના માટે આ હડતાળનો વિરોધ કરવાનો મુદ્દો નથી, પરંતુ પરિવાર ચલાવવાની મજબૂરી છે. ચાર દિવસ સુધી રિક્ષા બંધ રાખવી તેમના માટે પોસાય તેમ નથી.રિક્ષાચાલકોએ કહ્યું કે ‘રોજ લાવીને ખાવું પડે છે. એટલે કે રોજ રિક્ષા ચલાવીએ અને તેમાંથી જે કમાણી થાય તેમાંથી જ ઘરના ખર્ચા ચાલે છે. આવી સ્થિતિમાં સતત ચાર દિવસ સુધી રિક્ષા બંધ રાખવાથી ઘરનો ખર્ચ કાઢવો મુશ્કેલ બની શકે છે.

 

રિક્ષાચાલકોએ વધુમાં કહ્યું કે જો તેમને રસ્તા પર રિક્ષા ચલાવતા રોકવામાં આવશે તો તેઓ મુસાફરોને ઉતારી દેશે. તેમનું કહેવું છે કે તેઓ કોઈની સાથે વિવાદ કરવા માંગતા નથી, પરંતુ પોતાની રોજગારી માટે રિક્ષા ચલાવવી જરૂરી બની છે. રિક્ષાચાલકોએ કહ્યું કે રોજની કમાણી બંધ થઈ જાય તો રાશન, બાળકોનો ખર્ચ અને ઘરના બીજા જરૂરી ખર્ચા કેવી રીતે ચાલશે તેની ચિંતા રહે છે. આ જ મજબૂરીના કારણે કેટલાક રિક્ષાચાલકોને હડતાળના બીજા દિવસે જ ફરી ધંધો શરૂ કરવો પડ્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *