ગાંધીનગર કલેક્ટર કચેરીમાં નાયબ મામલતદાર તરીકે ફરજ બજાવતા હર્ષદ ભીમજીભાઈ ચૌધરીનું ટૂંકી બીમારી બાદ અવસાન થયું છે. તેઓ ગિયોડ ગામના રહેવાસી હતા. તેમના નિધનથી ગામ તથા ચૌધરી સમાજ સહિત સરકારી કર્મચારીઓમાં દુઃખની લાગણી ફેલાઈ છે.
મળતી માહિતી મુજબ, હર્ષદ ચૌધરીને થોડા દિવસ પહેલા ન્યુમોનિયા થયો હતો. તેમને ગાંધીનગરની એક ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરાયા હતા.
સારવાર દરમિયાન તેમનું અવસાન થયું.
હર્ષદ ચૌધરી બન્ને પગે દિવ્યાંગ હતા. તેમ છતાં, તેઓ સરકારી સેવામાં પોતાની ફરજ પૂરી નિષ્ઠાથી બજાવતા હતા. તેમના અવસાનના સમાચાર મળતા જ ગાંધીનગર કલેક્ટર કચેરીના સાથી કર્મચારીઓમાં પણ દુઃખની લાગણી છવાઈ ગઈ હતી.
હર્ષદ ચૌધરીના પાર્થિવ દેહને અંતિમ વિધિ માટે તેમના વતન ગિયોડ ગામે લાવવામાં આવ્યો હતો. ત્યાં દુઃખભર્યા વાતાવરણમાં તેમના અંતિમ સંસ્કાર કરાયા. તેમના પરિવારજનો, સગા-સંબંધીઓ, ગ્રામજનો અને સાથી કર્મચારીઓએ તેમને શ્રદ્ધાંજલિ આપી.