પરિણીતાનો રાયપુર કેનાલમાં કુદી આપઘાત:
પતિ અને સાસરિયા ધંધા માટે પૈસા લાવવા દબાણ અને મેણા ટોણા મારતા, બીજા કોઈ સાથે લગ્ન કરાવ્યા હોત તો પૈસા લઈ આવતીઅમદાવાદના શાહીબાગ વિસ્તારમાં રહેતી પરિણીતાએ ગાંધીનગરના રાયપુર નજીક કેનાલમાં આત્મહત્યા કરી લીધી હતી. પતિ અને સાસરિયા દ્વારા પિયરમાંથી ધંધા માટે પૈસા લાવવા માટે દબાણ કરવામાં આવતું હતું. અવારનવાર મેણાટોણા મારવામાં આવતા હતા જેના કારણે થઈને પરિણીતાએ કંટાળી કેનાલમાં કૂદી આપઘાત કરી લીધો હતો. આ મામલે મૃતક મહિલાના પિતા દ્વારા શાહીબાગપોલીસ સ્ટેશનમાં પતિ અને સાસુ તેમજ જેઠ જેઠાણી વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
‘તું પિયરમાંથી રૂપિયા લઇ આવ તો જ તને ઘરમાં રાખીશું’ સૈજપુર બોઘા ખાતે આવેલી રામદેવ નગર સોસાયટીમાં રહેતા અંબારામભાઈ વાઘેલાની 40 વર્ષની પુત્રી સોનલબેનના લગ્ન 15 વર્ષ પહેલા શાહીબાગ વિસ્તારમાં આવેલી ગણપત સોસાયટીમાં રહેતા પરેશ સોલંકી સાથે કરવામાં આવ્યા હતા, તેના પરિવારમાં 11 વર્ષનો એક પુત્ર છે. પરિવારમાં તેમના સાસુ ખેમીબેન સોલંકી, જેઠ અરૂણભાઇ સોલંકી અને જેઠાણી જયાબેન સોલંકી તેમજ બીજા જેઠ જીતુભાઈ સોલંકી અને જેઠાણીબેન સોલંકી અને જેઠ ભરતભાઈ સોલંકી તેમજ મીનલબેન સોલંકી છે.
જીતુભાઈ અને તેમનો પરિવાર અલગ રહેતો હતો.
10 વર્ષ પહેલાં પરેશભાઈ ભાડાની દુકાન રાખી વ્યવસાય કરતા હતા પરંતુ વ્યવસાયમાં નુકસાન થતા તેઓએ દેવું કરીને દુકાન બંધ કરી દીધી હતી. ત્યારબાદ સોનલબેન તેમના પિયરમાં જતા હતા ત્યારે કહેતા હતા કે તેમના સાસુ અને જે ઠરૂણભાઇ અને તેમની પત્ની મારા પતિને મારા વિરુદ્ધ ખોટી ચટામણી કરે છે અને ધંધામાં દેવું થઈ ગયું હોવાથી તું પિયરમાંથી રૂપિયા લઇ આવ તો જ તને ઘરમાં રાખીશું. જોકે ઘર સંસાર ન બગડે તેથી તેઓ મેણા ટોણાસાંભળી અને રહેતા હતા.
‘મારા જેઠ મારી પાસે બિભત્સ માગણીઓ કરે છે’
બે વર્ષ પહેલાં જ પિયરમાં તેના ભાભીને કહ્યું હતું કે, મારા પતિ મને કહે છે તું મને ગમતી નથી તું જતી રે હાલમાં હું બીજી પત્ની લાવીશ અને મારા જેઠ મારી પાસે બિભત્સ માંગણીઓ કરે છે. તારા પતિ કંઈ કામ ધંધો કરતા નથીને કમાતા નથી. તમે લોકોના ઘરે કચરા પોતુ કરવા જાવ તો બે પૈસાની આવક થાય એમ કહી અને માનસિક ત્રાસ આપતા હતા. જેઠ અને જેઠાણી પણ તું ગાંડી છે અને ખોટા પરેશભાઈના લગ્ન તારી સાથે કરાવ્યા છે. બીજા સાથે કરાવ્યા હોત તો ધંધો કરવા રૂપિયા પણ આપતા એમ કહેતા હતા.
કંટાળીને પરણિતાનો રાયપુર કેનાલમાં કુદી આપઘાત
જેથી કંટાળીને છેવટે સોનલબેન ઘરેથી નીકળી ગયા હતા અને ગાંધીનગરના રાયપુર કેનાલમાં કૂદી આપઘાત કરી લીધો હતો. પરિવારને જાણ થતાં તેઓ તાત્કાલિક રાયપુર કેનાલ ખાતે પહોંચ્યા હતા જ્યાં કાર્યવાહી કરી અને અંતિમ સંસ્કાર બાદ આ મામલે પતિ પરેશભાઈ અને તેમના પરિવારજનો વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
