જામનગરના વનતારા કેર સેન્ટરમાં સારવાર લઈ રહેલી હાથણી માધુરીને હાઈ-પાવર્ડ કમિટીના આદેશ બાદ કોલ્હાપુર પરત મોકલવામાં આવશે. વનતારાના નિવેદન મુજબ, 09 સપ્ટેમ્બર 2026ના આદેશ અનુસાર, તેને કડક શરતો સાથે કોલ્હાપુરના નંદણી મઠ લઈ જવામાં આવશે. વનતારાના ડોકટરો દર 15 દિવસે તેની મેડિકલ તપાસ કરશે.
મહારાષ્ટ્રના કોલ્હાપુરમાં ‘મહાદેવી’ તરીકે ઓળખાતી માધુરી હાથણીની કસ્ટડીને લગતા વિવાદમાં હાઈ-પાવર્ડ કમિટી દ્વારા મોટો આદેશ આપવામાં આવ્યો છે.ગુજરાતના જામનગર સ્થિત વનતારા કેર સેન્ટર દ્વારા જાહેર કરાયેલી સત્તાવાર માહિતી અનુસાર, સમિતિના આદેશનું પાલન કરતાં માધુરીને કડક શરતો સાથે કોલ્હાપુર પરત મોકલવાની પ્રક્રિયા શરૂૂ કરવામાં આવી છે.
માધુરી હાથણીને કોલ્હાપુરથી ગુજરાત લાવવામાં આવ્યા બાદ મહારાષ્ટ્રમાં વિરોધ અને ભાવનાત્મક પ્રતિક્રિયાઓ જોવા મળી હતી. ત્યારબાદ મામલો સુપ્રીમ કોર્ટ સમક્ષ પહોંચ્યો હતો. હવે સમિતિએ 09 સપ્ટેમ્બર 2026ના રોજ આપેલા આદેશમાં અમુક ચોક્કસ નિયમો અને સુરક્ષા માપદંડો હેઠળ તેને કોલ્હાપુરના નંદણી મઠ પરત લઈ જવાની મંજૂરી આપી છે. વનતારાએ પોતાના સત્તાવાર નિવેદનમાં સમગ્ર મામલાની સ્પષ્ટતા કરતાં જણાવ્યું છે કે, માધુરી 30 જુલાઈ 2025ના રોજ હાઈ-પાવર્ડ કમિટીના આદેશ હેઠળ જામનગર પહોંચી હતી, જેને બોમ્બે હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટ દ્વારા પણ કાયદેસર ગણાવવામાં આવી હતી.
અમે ક્યારેય આ હાથણીની માલિકી કે કસ્ટડી માંગી નહોતી વનતારાએ જણાવ્યું છે કે, અમારી જવાબદારી માધુરીના કોલ્હાપુર પરત ફરવાથી પૂરી થતી નથી. ટ્રાન્ઝિશનને સરળ બનાવવા માટે જરૂૂરી વેટરનરી ઇન્ફ્રાસ્ટ્રક્ચર, મેડિકલ સાધનો અને દવાઓની ઉપલબ્ધતા સુનિશ્ચિત કરવામાં મદદ કરી છે. HPCના આદેશ મુજબ, વનતારાના ડોક્ટર્સ દર પંદર દિવસે કોલ્હાપુર જઈને તેની મેડિકલ તપાસ કરશે અને સક્ષમ સત્તાવાળાઓને રિપોર્ટ સોંપશે.
