અમદાવાદ શહેરમાં બોપલ અને શેલા વિસ્તારની કિંમતી જમીન પચાવી પાડવાનું એક ચૌંકાવનારુ કૌભાંડ પ્રકાશમાં સામે આવ્યુ છે. શેલા વિસ્તારની કિંમતી જમીનમાં આર્થિક લાભ મેળવવા માટે પુત્રે તેના જીવતા જાગતા બાપનો બનાવટી મરણનો દાખલો બનાવી નાખ્યો હતો, સબ રજીસ્ટ્રાર કચેરીમાં બનાવટી દસ્તાવેજો રજૂ કર્યા હોવાનો ખુલાસો થયો છે. સાણંદ કોર્ટે બી સમરી વીથ પ્રોસિક્યુશની મંજૂરી આપતા બોપલ પોલીસે આરોપી પુત્ર સામે ગુનો દાખલ કર્યો છે.મળતી માહિતી મુજબ, અમદાવાદ શહેરમાં શેલા ગામની જમીનના મૂળ ખેડૂત ખાતેદાર રઘુનાથ ગાંડાભાઇ દેસાઇ હતા. તેમના પુત્ર ખોડા રઘુનાથ દેસાઇએ તેમના પિતાનો 15 એપ્રિલ 1985ના રોજ મરણ પામ્યા હોવાનો બોગસ દાખલો બનાવડાવ્યો હતો. શેલામાં પિતાની કરોડોની જમીન પચાવી પાડવા માટે આ બનાવટી મરણ દાખલામાં બોગસ સહી અને અંગૂઠાનો ઉપયોગ કરાયો હતો. વર્ષ 1991માં સાણંદ સબ રજીસ્ટ્રાર કચેરી ખાતે બોગસ દસ્તાવેજો ઉભા કરાયા હતા. આ કાવતરા દ્વારા ખોટા ખેડૂતો દર્શાવીને કિમતી જમીનની હેરાફેરી આચરાઈ હતી.
પોતાનો ગુનો છુપાવવા નિર્દોષ વૃદ્ધને ફસાવ્યા
આ જમીન કૌભાંડમાં આરોપી ખોડા દેસાઈ અને તેના સાગરિતો સામેલ હતા. તેના ગુના પર પડદો નાખવા માટે આરોપી ખોડા દેસાઈએ 2020માં બોપલ પોલીસ મથકમાં 72 વર્ષીય નિવૃત્ત વૃદ્ધ નૈમિષ પટેલ અને અન્ય લોકો સામે અસલી પુરાવાઓ છુપાવીને ખોટી ફરિયાદ નોંધાવી હતી. પોલીસે આ જમીન કૌભાંડ મામલે તપાસ કરી ત્યારે સમગ્ર હકીકતનો પર્દાફાશ થયો હતો. જેમાં મૂળ ખેડૂત રઘુનાથભાઈનું મોત 1985માં નહોતું થયું.
સાણંદ કોર્ટે આપ્યો કડક આદેશ
જમીન કૌભાંડનો મામલો સાણંદની કોર્ટમાં પહોંચ્યો હતો. આથી સાણંદ કોર્ટે બી સમરી વિથ પ્રોસિક્યુશ રિપોર્ટને મંજૂર કર્યો હતો. કોર્ટના આદેશની સર્ટિફાઈડ નકલ મેળવી લઈને પીડિત નૈમિષ પટેલે બોપલ પોલસ મથકમાં આરોપી ખોડા રઘુનાથ દેસાઈ વિરુદ્ધ કાયદેસર ગુનો નોંધાવ્યો છે. હાલ આ મામલે પોલીસ વધુ કાર્યવાહી હાથ ધરી રહી છે.
