બિહારના કટિહારમાં શિક્ષણ વિભાગને લગતી એક અજીબોગરીબ ઘટના સામે આવી છે. પ્રાણપુર બ્લોકની ‘નયા પ્રાથમિક શાળા દીઘાપાર’ના ગ્રામજનોએ દાવો કર્યો છે કે તેમની આખી શાળા ચોરાઈ ગઈ છે. ગ્રામજનોએ એક બેઠક યોજી અને પછી ઢોલ-નગારા સાથે કટિહાર જિલ્લા મુખ્યાલયે પહોંચીને અધિકારીઓ સમક્ષ ફરિયાદ રજૂ કરી હતી.
આદિવાસી બહુલ ગામના રહેવાસીઓએ સબ-ડિવિઝનલ ઓફિસર ( SDO), સબ-ડિવિઝનલ પોલીસ ઓફિસર ( SDPO) અને જિલ્લાના અન્ય વરિષ્ઠ અધિકારીઓને મળીને આ મામલાના ઝડપી ઉકેલની માંગ કરી હતી.ગ્રામજનો દ્વારા એક ઔપચારિક લેખિત ફરિયાદ પણ રજૂ કરવામાં આવી હતી. ફરિયાદમાં જણાવવામાં આવ્યું હતું કે ગ્રામજનોના સહયોગથી ‘નયા પ્રાથમિક શાળા દીઘાપાર’ના મકાનના નિર્માણ માટે જમીન ઉપલબ્ધ કરાવવામાં આવી હતી.
સરકારી દસ્તાવેજોનો ઉલ્લેખ કરતા ફરિયાદીઓએ જણાવ્યું હતું કે શાળાના નિર્માણ માટે 2024માં ટેન્ડર પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. તેમણે દાવો કર્યો હતો કે ત્યારબાદ મકાનના નિર્માણ માટે ₹44.85 લાખની રકમ ફાળવવામાં આવી હતી. બિહાર ઈ-પ્રોક્યોરમેન્ટના રેકોર્ડ્સમાં ટેન્ડર નંબર 2024_BSEB_314680-1 હેઠળ, 25 માર્ચ, 2025ના રોજ મકાન નિર્માણ પૂર્ણ થયાનું પ્રમાણપત્ર જાહેર કરવાની વાત કહેવામાં આવી હતી.ગ્રામજનોની ફરિયાદ મુજબ, બાંધકામ એજન્સીને ત્રણ હપ્તામાં ચૂકવણી કરવામાં આવી હતી. પ્રથમ હપ્તો 18 એપ્રિલ, 2024ના રોજ ₹15 લાખ, બીજો હપ્તો 28 સપ્ટેમ્બર 2024ના રોજ ₹15 લાખ (બીજો હપ્તો) અને ત્રીજો હપ્તો 12 માર્ચ, 2025ના રોજ ₹14.85 લાખની અંતિમ ચૂકવણી કરવામાં આવી. આમ, કુલ ₹44.85 લાખની ચૂકવણી કરવામાં આવી હોવાનો દાવો કરવામાં આવ્યો હતો.
પરંતુ, શાળાના મકાન માટે નિર્ધારિત સ્થળ પરની સ્થિતિ તદ્દન અલગ હતી. ગ્રામજનોના જણાવ્યા અનુસાર, તે સ્થળ નદીના ટાપુ જેવી પરિસ્થિતિ છે અને ત્યાં બાંધકામના નામે એક પણ ઈંટ મૂકવામાં આવી નથી. આના આધારે, જનપ્રતિનિધિઓ અને સ્થાનિક લોકોએ ફરિયાદ નોંધાવી હતી કે વાસ્તવિક બાંધકામ થયા વિના જ દસ્તાવેજોના આધારે મોટી રકમ ફાળવી દેવામાં આવી હતી. આ બાબતને ગંભીરતાથી લઈને, સદર SDM સૂરજ કુમારે ગ્રામજનો સાથે મુલાકાત કરી અને ખાતરી આપી કે તેઓ પોતે સ્થળની મુલાકાત લઈને તપાસ કરશે. ભ્રષ્ટાચાર સામે ‘ઝીરો-ટોલરન્સ’ નીતિના સરકારી દાવાઓ વચ્ચે, આટલી મોટી રકમના ગેરવહીવટના આરોપે વહીવટી અધિકારીઓનું ધ્યાન ખેંચ્યું છે.
ત્યારબાદ, SDM સૂરજ કુમાર અને જિલ્લા શિક્ષણ અધિકારી રાહુલ ચંદ્ર ચૌધરીએ તપાસ કરવા માટે સ્થળની મુલાકાત લીધી. ગ્રામજનોની હાજરીમાં દસ્તાવેજોની ઝીણવટભરી તપાસ કરવામાં આવી હતી. તપાસમાં જાણવા મળ્યું કે શાળાના નિર્માણ માટે કોઈ ટેન્ડર બહાર પાડવામાં આવ્યું નહોતું, પ્રોજેક્ટ માટે કોઈ ભંડોળ ફાળવવામાં આવ્યું નહોતું અને જે રકમનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો તે ક્યારેય ઉપાડવામાં આવી ન હતી.
જાહેરાત ટૂંકમાં, શાળાના નિર્માણ અને ₹44.85 લાખની ચૂકવણી અંગેનો સમગ્ર દાવો ભ્રામક સાબિત થયો. તપાસ દરમિયાન કોઈ નાણાકીય અનિયમિતતા જોવા મળી નહોતી. દસ્તાવેજો અને રેકોર્ડ્સની ચકાસણી કર્યા પછી અધિકારીઓએ ગ્રામજનોને વાસ્તવિક પરિસ્થિતિથી વાકેફ કર્યા.
તપાસમાં એ પણ બહાર આવ્યું કે જે ટેન્ડરનો ઉલ્લેખ કરવામાં આવી રહ્યો હતો તે અગાઉ જ રદ કરવામાં આવ્યું હતું. ત્યારબાદ, વધુ એક આશ્ચર્યજનક વિગત સામે આવી. શાળાના મુખ્ય શિક્ષક ભાનુપ્રતાપ સિંહના જણાવ્યા અનુસાર, કેટલાક સ્થાનિક યુવાનોએ ChatGPTનો ઉપયોગ કરીને આ દસ્તાવેજો બનાવ્યા હતા અને તેને લોકો વચ્ચે ફેલાવીને મૂંઝવણની પરિસ્થિતિ ઊભી કરી હતી.
aajtak.in
કટિહારના જિલ્લા મેજિસ્ટ્રેટ (DM) આશુતોષ દ્વિવેદીએ પણ સમગ્ર બાબત અંગે સ્થિતિ સ્પષ્ટ કરી હતી. તેમણે જણાવ્યું હતું કે SDO અને DEOએ વ્યક્તિગત રીતે આ કેસની તપાસ કરી હતી. તેમના મતે સંબંધિત ટેન્ડર અગાઉ જ રદ કરવામાં આવ્યું હતું અને તપાસમાં કોઈ પણ પ્રકારની અનિયમિતતા જોવા મળી નહોતી.
DMએ કહ્યું હતું કે અમુક વ્યક્તિઓ દ્વારા ભ્રામક માહિતી ફેલાવવામાં આવી હતી. તપાસ બાદ પરિસ્થિતિ સંપૂર્ણપણે સ્પષ્ટ થઇ ગઇ છે અને પુષ્ટિ કરી છે કે શાળાના નિર્માણના નામે કોઈ ગેરરીતિ થઈ નથી. વહીવટી તપાસમાં ₹44.85 લાખના ગેરવહીવટનો આરોપ પણ પાયાવિહોણો સાબિત થયો છે.
આમ, જે ફરિયાદને લઈને ગ્રામજનો ઢોલ-નગારા સાથે વહીવટીતંત્રના દરવાજા સુધી પહોંચ્યા હતા, તે બનાવટી દસ્તાવેજોને કારણે ઊભી થયેલી ગેરસમજ સાબિત થઈ. વહીવટીતંત્ર હવે તપાસ કરી શકે છે કે આ બનાવટી કાગળો તૈયાર કરવા અને ફેલાવવા પાછળ કોનો હાથ હતો.
