રશિયામાં ભાષા કોર્સ માટે ગયેલા 3 ભારતીય યુવકો ગુમ, યુક્રેન યુદ્ધમાં જબરદસ્તી મોકલાયાની આશંકા

Spread the love

ઉત્તર પ્રદેશના (Uttar Pradesh) મુઝફ્ફરનગર અને શામલીના ત્રણ યુવકો રશિયામાં (Russia) ગુમ થયા હોવાનો મામલો સામે આવ્યો છે. પરિવારજનોનો આરોપ છે કે ત્રણેય યુવકો રશિયામાં રશિયન ભાષાનો કોર્સ (Russian Language Course) કરવા ગયા હતા, પરંતુ બાદમાં તેમના પાસપોર્ટ જપ્ત કરી તેમને રશિયન સેનામાં (Russian Army) જોડાવા માટે મજબૂર કરવામાં આવ્યા હોવાની આશંકા છે.પરિવારનો છેલ્લો સંપર્ક 30 જુલાઈએ થયો હતો.

 

ગુમ થયેલા યુવકોમાં મુઝફ્ફરનગરના હિમાંશુ શર્મા (24) અને શક્તિ પુન્ડીર (23) તથા શામલીના આશુ સૈની (25)નો સમાવેશ થાય છે. પરિવારજનોના જણાવ્યા મુજબ, ત્રણેય અલગ-અલગ સમયે શામલી સ્થિત એક એજન્ટ મારફતે રશિયા ગયા હતા. એજન્ટે તેમને સ્ટુડન્ટ વિઝા (Student Visa) અને કાયદેસર પાર્ટ-ટાઈમ કામ (Part-time Job) અપાવવાનું વચન આપ્યું હતું. તેના બદલામાં દરેક પાસેથી આશરે ₹3.5 લાખ લેવામાં આવ્યા હતા.

 

છેલ્લી વાતચીતમાં શું કહ્યું હતું?

 

પરિવારના જણાવ્યા મુજબ, જુલાઈના અંતમાં ત્રણેય યુવકોએ ફોન કરીને જણાવ્યું હતું કે તેમના પાસપોર્ટ લઈ લેવામાં આવ્યા છે અને તેમને સૈન્ય સેવા (Military Service) માટે દબાણ કરવામાં આવી રહ્યું છે. ત્યારબાદ પરિવારનો તેમની સાથે સંપર્ક તૂટી ગયો.

 

આશુ સૈની એપ્રિલમાં રશિયા ગયો હતો. જ્યારે હિમાંશુ શર્મા અને શક્તિ પુન્ડીરના એક વર્ષના વિઝા ઓગસ્ટમાં પૂરા થવાના હતા અને તેઓ ભારત પરત આવવાના હતા. આશુની બહેન અંશુલે જણાવ્યું કે છેલ્લી ફોન કોલ દરમિયાન તેમની માત્ર લગભગ 30 સેકન્ડ વાત થઈ હતી. આશુએ પોતે ઠીક હોવાનું કહ્યું હતું અને ત્યારબાદ ફોન ડિસ્કનેક્ટ થઈ ગયો હતો. ત્યારથી પરિવાર તેને સંપર્ક કરી શક્યો નથી.

 

પરિવારજનોએ સરકાર પાસે મદદ માંગી

 

આશુના પિતા રાકેશ કુમાર ખેડૂત છે. તેમણે પુત્રને શોધવા અને તેને પરત લાવવા માટે વડાપ્રધાન કાર્યાલય (PMO)નો સંપર્ક કર્યો છે. બીજી તરફ, શક્તિ પુન્ડીરના પિતા વિપિન કુમારે જિલ્લા વહીવટી તંત્ર અને ઉત્તર પ્રદેશ સરકાર પાસે મદદ માગી છે.

 

પોલીસે ત્રણેય યુવકોને રશિયા મોકલનાર શામલીના એજન્ટની ભૂમિકા અંગે તપાસ શરૂ કરી છે. પરિવારજનોને આશંકા છે કે યુવકોને વિદેશમાં અભ્યાસ અને રોજગારની તકના નામે રશિયા લઈ જઈને બાદમાં સૈન્ય સેવામાં ધકેલવામાં આવ્યા હોઈ શકે છે.

 

રશિયન સેનામાં ભારતીયોની ભરતીનો મુદ્દો

 

ભારતીય નાગરિકોને રશિયન સેનામાં જોડાવા માટે લલચાવવાના અથવા દબાણ કરવાના અગાઉ પણ અનેક કિસ્સા સામે આવ્યા છે. જુલાઈમાં ભારતના વિદેશ મંત્રાલયે (External Affairs Ministry) જણાવ્યું હતું કે રશિયન સેનામાં સેવા આપી રહેલા આશરે બે ડઝન ભારતીય નાગરિકોની મુક્તિ માટે મોસ્કો સાથે વાતચીત ચાલી રહી છે.

 

સુપ્રીમ કોર્ટે પણ રશિયામાં સૈન્ય સેવામાં જોડાવા માટે લલચાવવામાં આવેલા ભારતીય યુવકોના પરિવારજનોની અરજી પર સુનાવણી હાથ ધરી હતી. અરજીમાં 26 ભારતીયોના પરિવારજનોનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. આ યુવકો 2024-25 દરમિયાન ટુરિસ્ટ અથવા સ્ટુડન્ટ વિઝા પર રશિયા ગયા હતા અને બાદમાં ભરતી એજન્ટો દ્વારા તેમને સૈન્ય સેવામાં જોડાવા માટે લલચાવવામાં આવ્યા હોવાનો આરોપ છે.

 

અહેવાલ મુજબ, યુક્રેન યુદ્ધ (Ukraine War)ની ફ્રન્ટલાઇન પર રશિયન સેનામાં સેવા આપતા અત્યાર સુધીમાં 30થી વધુ ભારતીયોના મોત થયા છે. આ પૃષ્ઠભૂમિમાં ઉત્તર પ્રદેશના ત્રણ યુવકોના ગુમ થવાથી તેમના પરિવારોની ચિંતા વધુ વધી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *