કોંગ્રેસ પક્ષને રાષ્ટ્રીય અને રાજ્ય સ્તરે ફરીથી મજબૂત અને સક્રિય બનાવવા માટે હાઇકમાન્ડે કમર કસી છે. પક્ષના પ્રદર્શનની સમીક્ષા કરવાની સાથે હવે યુવા, જમીની સ્તરે સક્રિય અને પરિણામલક્ષી નેતાઓને સંગઠનમાં મોટી જવાબદારીઓ સોંપવાની દિશામાં રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી વાડ્રા અને મહાસચિવ (સંગઠન) કે.સી. વેણુગોપાલ સક્રિય બન્યા છે.
130 દાવેદારોની પ્રોફેશનલ સ્ક્રીનિંગ અને ઈન્ટરવ્યુસંગઠનાત્મક ફેરબદલ પ્રક્રિયા હેઠળ તાજેતરમાં એઆઈસીસી (AICC) ના સચિવ પદ માટે લગભગ 130 સંભવિત દાવેદારોના પ્રોફેશનલ શૈલીમાં ઈન્ટરવ્યુ લેવામાં આવ્યા હતા. આ પ્રક્રિયા માટે દરેક નેતાનો એક વિસ્તૃત ‘ડોઝિયર’ (કામગીરીનો અહેવાલ) અગાઉથી તૈયાર રાખવામાં આવ્યો હતો, જેમાં તેમની જમીની સક્રિયતા, ભૂતકાળનું સંગઠનાત્મક કામ અને ચૂંટણીકીય પ્રદર્શનનો સંપૂર્ણ હિસાબ સામેલ હતો. ઈન્ટરવ્યુ દરમિયાન ઉમેદવારોને નબળા પ્રદર્શન વાળા રાજ્યોમાં પાર્ટીને ફરી બેઠી કરવા અને આગામી ચૂંટણીઓની રણનીતિ અંગે તીખા પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા.
કામગીરીની આકરી સમીક્ષા અને નવા ચહેરાઓને તક
મળતી માહિતી મુજબ, રાહુલ અને પ્રિયંકા ગાંધી વર્તમાન AICC સચિવો સાથે બેઠક યોજીને તેમની કામગીરીનું સીધું ફીડબેક આપશે. નબળું પ્રદર્શન કરનારા અને નિષ્ક્રિય રહેલા અડધાથી વધુ વર્તમાન સચિવોને પદ પરથી હટાવવામાં આવશે. તેમની જગ્યાએ જમીની સ્તરે કામ કરી શકે અને કાર્યકરોમાં નવો ઉત્સાહ પૂરી શકે તેવા નવા અને યુવા ચહેરાઓને સ્થાન આપવામાં આવશે. આ ફેરબદલનો મુખ્ય ઉદ્દેશ્ય આગામી ચૂંટણીઓ પહેલા સંગઠનને વધુ ધારદાર અને આક્રમક બનાવવાનો છે.
