આજોલની શાળાને ક્લાઈમેટ ચેન્જ એવોર્ડમાં રૂ. 1 લાખનો પુરસ્કાર: ગુજરાતમાં પ્રથમ સ્થાન મળ્યું, આચાર્ય અંજનાબેન પટેલનું સન્માન કરાયુંમાણસા તાલુકાના આજોલ ગામમાં આવેલી કન્યા વિનય મંદિર, સંસ્કાર તીર્થ શાળાને ગુજરાત સરકારના ક્લાઈમેટ ચેન્જ વિભાગ દ્વારા આયોજિત ‘ક્લાઈમેટ ચેન્જ એવોર્ડ–2026-27’માં ગુજરાતમાં પ્રથમ સ્થાન મળ્યું છે. શૈક્ષણિક સંસ્થા કેટેગરીમાં શાળાને આ સન્માન મળ્યું છે.આ શાળાને ₹1,00,000નો પ્રથમ પુરસ્કાર પણ આપવામાં આવ્યો. 16 સપ્ટેમ્બર, 2026ના રોજ ગાંધીનગરના નર્મદા હોલ, સ્વર્ણિમ સંકુલ−1, સચિવાલય ખાતે એવોર્ડ સમારોહ યોજાયો હતો. આ પ્રસંગે વન અને પર્યાવરણ મંત્રીના હસ્તે શાળાને આ પુરસ્કાર એનાયત કરાયો.શાળાના આચાર્ય અંજનાબેન પટેલના માર્ગદર્શન હેઠળ પર્યાવરણ જાગૃતિ, ઇકો-ફ્રેન્ડલી પ્રવૃત્તિઓ અને કુદરતી સંસાધનોના સંરક્ષણ માટે સતત પ્રયાસો કરાયા હતા. ક્લાઈમેટ ચેન્જ અંગેની ઉત્કૃષ્ટ કામગીરીને ધ્યાનમાં રાખીને આ સન્માન આપવામાં આવ્યું છે.
આ સિદ્ધિ બદલ આચાર્ય અંજનાબેન પટેલ, મેનેજિંગ ટ્રસ્ટી અને સમગ્ર શાળા પરિવારે ગુજરાત સરકાર તથા ગુજરાત ઊર્જા વિકાસ એજન્સી (GEDA)નો આભાર માન્યો હતો.
આજોલની કન્યા વિનય મંદિરને રાજ્યકક્ષાએ મળેલા આ સન્માનથી શાળા પરિવાર, વિદ્યાર્થિનીઓ, વાલીઓ અને સમગ્ર માણસા તથા ગાંધીનગર પંથકમાં ગર્વની લાગણી ફેલાઈ છે. પર્યાવરણ સંરક્ષણ અને ક્લાઈમેટ ચેન્જ અંગે શાળાની કામગીરી અન્ય શૈક્ષણિક સંસ્થાઓ માટે પણ પ્રેરણારૂપ બની છે.
