અમદાવાદનાં દાણીલીમડા ધારાસભ્ય શૈલેષ પરમાર
અમદાવાદ
ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઈ કોંગ્રેસ પણ હરકતમાં આવી ગઇ છે.ગુજરાત કોંગ્રેસના પ્રભારી રઘુ શર્માના સૂચનથી કૉંગ્રેસ અધ્યક્ષા સોનિયા ગાંધીએ વિધાનસભામાં ઉપનેતા , દંડક, ઉપદંડક પ્રવકતા, અને ખજાનચી જેવા રિક્ત સ્થાનો ઉપર નિમણૂક કરી છે. વિધાનસભામાં ઉપનેતા તરીકે અમદાવાદના દાણીલીમડા બેઠકના ધારાસભ્ય શૈલેષ પરમારને જવાબદારી સોંપવામાં આવી છે. ગુજરાત વિધાનસભામાં કૉંગ્રેસના દંડક તરીકે ગાંધીનગરના ધારાસભ્ય સી. જે. ચાવડાને બનાવ્યા છે. ધોરાજીના ધારાસભ્ય લલિત વસોયાને ઉપદંડક બનાવાયા છે. તો પેટલાદ ના ધારાસભ્ય નિરંજન પટેલને વિપક્ષના ખજાનચી બનાવ્યા છે. ઉનાના ધારાસભ્ય પૂંજા વંશ અને લાઠીના ધારાસભ્ય વિરજી ઠુમ્મર મુખ્ય પ્રવક્તા તરીકે સ્થાન આપવામાં આવ્યું છે.
ખેડબ્રહ્મા બેઠકના ધારાસભ્ય અશ્વિન કોટવાલ અને દરિયાપુરના ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખ, અમરિશ ડેર, કિરીટ પટેલ, બળદેવજી ઠાકોર, નૌશાદ સોલંકી, ડો.કિરીટ પટેલને પ્રવક્તા બનાવાયા છે.આદિવાસી કૉંગ્રેસ ડિપાર્ટમેન્ટ ના ચેરમેન તરીકે અનંતકુમાર પટેલની નિમણુંક કરવામાં આવી છે. ગુજરાત વિધાનસભામાં ઘણા સમયથી ખાલી પડેલી વિપક્ષના નેતા અને પ્રદેશ પ્રમુખ જેવી મહત્વની નિમણૂકો ગત વર્ષે ડિસેમ્બર માસમાં કરવામાં આવી હતી. જેમાં જગદીશ ઠાકોરને પ્રદેશ પ્રમુખ અને સુખરામ રાઠવાને વિપક્ષના નેતા તરીકે નિમણૂક કરવામાં આવી હતી.