અમદાવાદમાં ‘લમ્પી સ્કીન ડીસીઝ’ રોગચાળાનો ફેલાવો અટકાવવા માટે પશુઓની હેરફેર કરવા પર પ્રતિબંધ લદાયો

Spread the love

 

 

આ અંગે અમદાવાદના અધિક જિલ્લા મેજિસ્ટ્રેટનું જાહેરનામું : જાહેરનામાનો ભંગ કરનાર ભારતીય દંડ સંહિતાની કલમ-188 મુજબ શિક્ષાને પાત્ર થશે

અમદાવાદ

કલેક્ટર અને જિલ્લા મેજિસ્ટ્રેટની કચેરી, અમદાવાદ દ્વારા તાજેતરમાં એક જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. જાહેરનામા અનુસાર અમદાવાદ જિલ્લામાં પશુઓમાં શંકાસ્પદ ‘લમ્પી સ્કીન ડીસીઝ’નાં લક્ષણો છૂટાછવાયા કેસોમાં જોવા મળેલ હોઈ, આ રોગના વાયરસ એક પશુથી બીજા પશુમાં ઝડપથી ફેલાતો હોઈ અને પશુઓમાં એકબીજાના સીધા સંપર્કથી તેમજ પશુઓના શરીર પર ચોંટેલી ઇતરડી, માખી, મચ્છર વગેરેથી પણ ચેપ ફેલાતો હોઈ ભારત સરકારશ્રીના રોગ નિયંત્રણ અંગેની ગાઇડલાઇન મુજબ પશુઓના પરિવહન ઉપર પ્રતિબંધ મૂકવા જણાવેલ છે. લમ્પી વાઇરસના ઝડપી સંક્રમણને ધ્યાને લેતાં સરકારશ્રીના કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ, ગાંધીનગરના તા. 26/07/2022ના જાહેરનામાથી ‘લમ્પી સ્કીન ડીસીઝ’ અન્વયે કેટલાંક નિયંત્રણો મૂકેલ છે, જેથી જિલ્લામાં સંભવિત વાઇરસના સંક્રમણને ધ્યાને લેતાં તકેદારીના ભાગરૂપે કેટલાક પ્રતિબંધો ફરમાવવા જરૂરી જણાય છે.

જેથી, હું પરિમલ બી. પંડ્યા, અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ, અમદાવાદ ફોજદારી કાર્યરીતિ અધિનિયમ-1973ની કલમ-144થી મને મળેલ સત્તાની રૂએ અમદાવાદ જિલ્લામાં નીચે મુજબના નિર્દેશનું પાલન કરવા ફરમાવું છું.

(1) અન્ય રાજ્ય/જિલ્લા/તાલુકામાંથી કે એક ગામથી બીજા ગામમં પશુઓની હેરફેર કરવા પર પ્રતિબંધ ફરમાવવામાં આવે છે.

(2) પશુઓના વેપાર, પશુ મેળા, પશુ પ્રદર્શન, પશુઓ સાથેની રમતો અને પશુઓને એકઠા કરવાના થતાં હોય એવાં આયોજન ઉપર પ્રતિબંધ ફરમાવવામાં આવે છે.

(3) કોઈ રસ્તામાં કે જાહેર જગ્યાએ ચેપી રોગવાળા જાનવરો તથા રોગવાળા મરેલાં જાનવરોના મડદાંને અથવા તેના કોઈ ભાગને ખુલ્લા/છૂટા છોડી દેવાની અથવા તેમને લાવવા-લઈ જવા ઉપર પ્રતિબંધ ફરમાવવામાં આવે છે.

(4) આવાં શંકાસ્પદ જાનવરો જે જગ્યાએ હોય તે જગ્યાનો ભોગવટો કરનારે અથવા રહેવાસીઓએ તે જગ્યા વગેરે સ્વચ્છ રાખવા તથા તેમાંથી રોગબીજનો નાશ કરવા અને એવા શંકાસ્પદ રોગચાળા અથવા જેમને એવો શંકાસ્પદ રોગ થયો છે, તેમ દેખાતું હોય તેવાં જાનવરોને એકમેકથી છૂટા રાખવા તથા તે મુજબની વ્યવસ્થા કરવી.

આ જાહેરનામાનો અમલવારીનો વિસ્તાર અમદાવાદ જિલ્લાના પોલીસ કમીશનરશ્રીની હકુમત સિવાયનો અમદાવાદ જિલ્લાનો સમગ્ર મહેસૂલી વિસ્તાર રહેશે. આ જાહેરનામું 4 ઑગસ્ટ, 2022ના 00.00 કલાકથી 31 ઑગસ્ટ, 2022ના 24.00 કલાક સુધી અમલમાં રહેશે.

આ જાહેરનામાના હુકમનો ભંગ કરનાર વ્યક્તિ ભારતીય દંડ સંહિતાની કલમ-188 મુજબ શિક્ષાને પાત્ર ઠરશે. આ જાહેરનામાનો ભંગ કરનારને ગુજરાત પોલીસ અધિનિયમની કલમ-131 મુજબ અને ભારતના ફોજદારી કાર્યરીતિ અધિનિયમની કલમ-188 મુજબ શિક્ષાને પાત્ર થશે. તેમજ આ હુકમ અન્વયે અમદાવાદ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં ફરજ બજાવતાં વિભાગીય પોલીસ અધિકારીશ્રીના દરજ્જાથી પોલીસ સબ ઇન્સ્પેક્ટર સુધીના હોદ્દા ધરાવનાર તમામ અધિકારીઓ/કર્મચારીઓને આ જાહેરનામાનો ભંગ કરનાર ઇસમો સામે ઈ.પી.કો. કલમ-188 તથા ગુજરાત પોલીસ એક્ટ કલમ-117 મુજબ ફરિયાદ કરવા માટે અધિકૃત કરવામાં આવે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com