ગુજરાતમાં જાણો આંદોલનની સિઝન જામી છે. સરકારી કર્મચારીઓ બાદ ખેડુતોએ પણ સરકાર સામે વિરોધનો બણગો ફુંક્યો છે.પાટનગર ગાંધીનગરમાં ભારતીય કિસાન સંઘે સરકાર સામે મોરચો માંડ્યો છે. વરસાદી ઝાપટા વચ્ચે પણ ખેડૂતોએ ગાંધીનગરમાં અડિંગો જમાવી રાખ્યો છે. કિસાન સંઘના નેતાઓએ ચિમકી ઉચ્ચારી છે કે જાે ખેડૂતોનીમાંગો નહી સ્વીકારાય તો ભાજપ સરકારનો એકેય મંત્રી ગામડામાં જઈ શકશે નહીં.
સમાન વીજદર સહિતના પ્રશ્નોને લઈને કિસાન સંઘે સરકારમાં અનેકવાર રજૂઆતો કરી પણ કોઈ ઉકેલ આવી શક્યો નથી. આખરે હારી થાકીને ભારતીય કિસાન સંઘે સરકાર સામે બાંયો ચડાવીગાંધીનગરમાં આંદોલનના મંડાણ શરૂ કર્યા છે. છેલ્લા આઠ દિવસથી ગાંધીનગરમાં ઉદ્યોગ ભવન સામે આંદોલન ચાલી રહ્યું છે. એક બાજુ ગુજરાતમાં આંદોલન ઠારવા માટે રાજ્ય સરકારે પાંચ મંત્રીઓની કમિટી બનાવી છે, પણ નવાઈની વાત એ છે કે ભારે વરસાદ વચ્ચે પણ આંદોલનકારી ખેડૂતોએ આંદોલન યથાવત રાખ્યું છે. આઠ દિવસ બાદ પણ આંદોલન યથાવત રહ્યું છે. કિસાન સંઘનું કહેવું છે કે જ્યાં સુધી ખેડૂતોનો પ્રશ્ન નહીં ઉકેલાય ત્યાં સુધી આંદોલન જારી રહેશે. મહત્વની વાત એ છે કે આંદોલનકારી ખેડૂતો સાથે સરકારે હજુ વાટાઘાટો કરવા તૈયારી જ દર્શાવી નથી.