નવીન રાષ્ટ્રીય શિક્ષણ નીતિ રાષ્ટ્રના યુવાઓને વૈશ્વિક સ્તરે વ્યાપક રોજગારીની વિપુલ તકો ઉપલબ્ધ કરાવશે: ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ

Spread the love

 

નાલંદા, તક્ષશિલા, વિક્રમશિલા જેવા વિશ્વ વિદ્યાલયો થકી વિશ્વગુરૂ બનેલો ભારત દેશ આજે નવી શિક્ષણ નીતિના અમલ થકી ફરી વિશ્વગુરૂ દેશ બનવાની દિશામાં : રાજયપાલ આચાર્ય દેવવ્રત

રાષ્ટ્ર-રાજ્યના વિકાસનો પાયો શિક્ષણ-નોલેજ છે : મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ

વિશ્વાસથી વિકાસના મંત્રને મહત્વ આપતી આ સરકારે શિક્ષણ સહિત તમામ ક્ષેત્રોમાં ઉચ્ચ આયામો સિદ્ધ કર્યા છે : શિક્ષણ મંત્રી જીતુ વાઘાણી

ગાંધીનગર

ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડે આજે ગાંધીનગર સ્થિત ગુજરાત નેશનલ લો યુનિવર્સિટી ખાતે રાજય સરકારના શિક્ષણ વિભાગ દ્વારા આયોજીત એકસેલન્સ ઈન હાયર એજયુકેશન કાર્યક્રમનો રાજયપાલ આચાર્ય દેવવ્રતજી અને મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતીમાં શુભારંભ કરાવ્યો હતો.

ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડે જણાવ્યું હતું કે, આજે દેશવાસીઓ વિશ્વના કોઈપણ ખૂણે જાય ત્યારે પોતે ભારતીય હોવાનું ગૌરવ અનુભવે છે. દેશના દીર્ઘદૃષ્ટિવંત પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીના કારણે આ શક્ય બન્યું છે. આજે દુનિયાના અનેક દેશો ભારતનું અવલોકન અને અનુકરણ કરી દેશના પ્રધાનમંત્રીની દરેક વાત ગંભીરતાથી પોતાના રાષ્ટ્રવિકાસ માટે અમલમાં મૂકે છે. વડાપ્રધાન હંમેશા ઉજ્જવળ વર્તમાન થકી ઉજ્જવળ ભવિષ્યની કલ્પના સાકાર કરી રહ્યાં છે. આઝાદી પહેલા અને આઝાદી બાદ ગુજરાતના અનેક પનોતા પુત્રોનું રાષ્ટ્ર નિર્માણમાં યોગદાન રહ્યું છે અને વર્તમાનમાં પણ ગુજરાતના પનોતા પુત્રો દેશનું નેતૃત્વ કરી રહ્યાં છે, જે ગુજરાત માટે ગૌરવની વાત છે. ઇનવેસ્ટમેંટ અને ઓપોર્ચ્યુનીટી માટે આજે ગુજરાત વિશ્વભરમાં પ્રથમ પસંદગીનું સ્થળ બન્યુ છે.

ઉપરાષ્ટ્રપતિએ ઈતિહાસને વાગોળતા જણાવ્યું હતું કે, પોતે ૩૩ વર્ષ પહેલા જ્યારે સંસદસભ્ય તરીકે કાર્યરત હતા ત્યારે સંસદસભ્યને પોતાના પંસદગીના વ્યક્તિઓને ૫૦ જેટલા ગેસ કનેક્શન ફાળવવાની સત્તા હતી, પરંતુ છેવાડાના માનવી માટે હરહંમેશ ચિંતનશીલ પ્રધાનમંત્રી શ્રી મોદીએ આજે કરોડો ઘરેલૂ ગેસ કનેક્શન મફત પૂરા પાડ્યાં છે. પહેલા જિલ્લાની જરૂરિયાતને ધ્યાને રાખી વિજળી પૂરી પાડવામાં આવતી હતી અને આજે છેવાડાના નાગરિકને વીજળી પહોચેં તેવુ સુદૃઢ આયોજન કરાયું છે. ૩૪ વર્ષ પહેલાં અમેરિકા ખાતે સ્ટેચ્યુ ઑફ લિબર્ટીની મુલાકાત વેળાએ મેં સપને પણ વિચાર્યુ નહોતું કે ભારતમાં આનાથી પણ વિશાળ પ્રતિમા નિર્માણ પામશે. આજે ગુજરાત સ્થિત વિશ્વની સૌથી ઊંચી સરદાર વલ્લભભાઇ પટેલની પ્રતિમા ‘સ્ટેચ્યુ ઑફ યુનિટી’ની અદભુત રચના નિહાળી ગૌરવનો અનુભવ કરું છું તેમ તેમણે ઉમેર્યું હતું.  મારે ૪૦ વર્ષ પહેલા સંશોધન લાયબ્રેરી માટે રૂ. ૬ હજાર ઉધાર લેવા પડ્યા હતાં, પરંતુ આજે દેશમાં ઇનોવેશન અને સ્ટાર્ટઅપનું સુદૃઢ માળખુ તૈયાર થયું છે. વિદ્યાર્થીઓને સંશોધન માટે ગુજરાતમાં સ્ટાર્ટઅપ્સ, ઇનોવેશન લેબ, ઇન્ક્યુબેટર, શોધ, મુખ્યમંત્રી સ્વાવલંબન યોજના વગેરે જેવી યોજનાઓ થકી સ્કોલરશીપ મળતી થઈ છે.

નવી શિક્ષણ નીતિ વિશે જણાવતાં ઉપરાષ્ટ્રપતિએ કહ્યું હતું કે, આ શિક્ષણ નીતિ એ કોઈ પક્ષ કે સરકારની નીતિ માત્ર નથી, પરંતુ અનેક ગહન ચિંતન-સંશોધનો બાદ તૈયાર થયેલી સમગ્ર રાષ્ટ્રની શિક્ષણ નીતિ છે જેના પરિણામો આગામી દિવસોમાં સ્પષ્ટપણે જોવા મળશે. આ નીતિ અને તકનિકી વિકાસના કારણે દેશના વિદ્યાર્થીઓને વિશ્વના કોઈપણ ખૂણે રોજગારીની વિપુલ તકો ઉપલબ્ધ થશે એમ તેમણે ઉમેર્યું હતું.

રાજયપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ એકસેલન્સ ઈન હાયર એજયુકેશન કાર્યક્રમને ગુજરાત માટે ગૌરવનો દિન ગણાવતા કહ્યું કે, તત્કાલીન મુખ્યમંત્રી અને દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના દ્રષ્ટિવંત આયોજનના પરિણામે આજે ગુજરાતે તમામ ક્ષેત્રે નવા સોપાનો સર કર્યા છે. ભારત આજે યુવાઓનો દેશ બની રહ્યો છે ત્યારે વડાપ્રધાન મોદીએ પ્રવર્તમાન ટેકનોલોજીના યુગમાં દેશ ઝડપથી વિકસે એ માટે મેક ઈન ઈન્ડિયા, ડિજીટલ ઈન્ડિયા, સ્ટાર્ટઅપ ઈન્ડિયા જેવા નવીન આયામોના મંત્ર થકી યુવાઓમાં નયા ભારતના નિર્માણ માટેના પ્રાણ પૂર્યા છે જે આજે સમગ્ર વિશ્વએ સ્વીકાર્યા છે. જેના પરિણામો આપણે છેલ્લા છ-સાત વર્ષથી જોઈ રહ્યા છીએ. વડાપ્રધાનશ્રીના માર્ગદર્શન હેઠળ આજે ભારતમાં હવાઈ ફાઈટર જહાજ, હેલીકોપ્ટર બનતા થયા છે. સેનાના સાધનોના ઉત્પાદનોની આપણે આયાત કરવી પડતી હતી તે આજે ભારત નિકાસ કરતો થયો છે, એ જ આત્મનિર્ભર ભારતનું શ્રેષ્ઠ ઉદાહરણ છે. એટલું જ નહી, ઝડપી દોડતી વંદે ભારત ટ્રેન પણ ભારતે શરૂ કરી છે અને બુલેટ ટ્રેઈનના કામ પ્રગતિ હેઠળ છે. આવા અનેકવિધ નવતર આયામોને પરિણામે ભારતનું નામ આજે વૈશ્વિક સ્તરે ઉત્તરોત્તર વધી રહ્યું છે.

તેમણે ઉમેર્યું કે, ભારત પહેલા વિશ્વગુરૂ દેશ હતો તેનુ પ્રમાણ છે નાલંદા, તક્ષશિલા, વિક્રમશિલા જેવા વિશ્વ વિદ્યાલયોમાં લોકો અહી ભણવા આવતા હતા. દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં તૈયાર થયેલી નવી શિક્ષણ નીતિના અમલ થકી આજે ભારત ફરી વિશ્વગુરૂ દેશ બનવાની દિશામાં આગળ વધી રહ્યો છે તેવો વિશ્વાસ તેમણે વ્યક્ત કર્યો હતો. વડાપ્રધાન મોદીએ ઞ્રામીણ વિસ્તારોને ધ્યાને લઈને દેશભરમાં નવી શિક્ષણનીતી તૈયાર કરી છે. જેનો વ્યવહારીકતાથી ઉપયોગ કરીને નયા ભારતના નિર્માણ માટે સૌને સંકલ્પબધ્ધ બનવા રાજયપાલશ્રીએ આહવાન કર્યું હતું.

આજે ગુજરાતમાં વડાપ્રધાનશ્રીના માર્ગદર્શન હેઠળ પ્રાકૃતિક ખેતીના અભિયાનને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળ કૃષિ વિભાગે એક જન આંદોલન તરીકે ઉપાડયું છે, જે આગામી સમયમાં દેશને નવો રાહ ચીંધશે. રાજયમાં વીજળી, રસ્તાઓ, પાણીની સુવિધાઓ પણ અવિરતપણે મળી રહી છે. નર્મદાના નીર કચ્છ સુધી પહોચતા થયા છે. નલ સે જલ યોજના હેઠળ પણ શુધ્ધ પીવાનું પાણી ઘરે ઘરે પહોચતું થયું છે જે ગુજરાતને વધુ ઉચાઈએ લઈ જશે એવો વિશ્વાસ તેમણે વ્યકત કર્યો હતો.મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાષ્ટ્ર-રાજ્યના વિકાસનો પાયો શિક્ષણ-નોલેજ છે તેવો સ્પષ્ટ મત વ્યક્ત કર્યો હતો. આ પ્રસંગે તેમણે કહ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ મોદીએ જ્ઞાનશક્તિનો મહિમા કરીને ગુજરાતના એજ્યુકેશન સેક્ટરને વર્લ્ડકલાસ ફેસેલિટીઝથી સજ્જ કર્યુ છે.

મુખ્યમંત્રીએ ઉમેર્યુ કે, વડાપ્રધાન એ સમયની સાથે નહિ, સમયથી પણ બે કદમ આગળ ચાલે તેવી અદ્યતન ફેસેલીટીઝ, ટેક્નોલોજી અને ઇન્ફ્રાસ્ટ્રકચર ગુજરાતના યુવાઓને આપ્યા છે. આ સંદર્ભમાં તેમણે મેઇક ઇન ઇન્ડીયા, સ્ટાર્ટઅપ ઇન્ડીયા, અટલ ઇનોવેશન મિશન, ડિજિટલ ઇન્ડીયા સહિત આત્મનિર્ભર ભારતની પ્રધાનમંત્રીએ આપેલી નવિનતાપૂર્ણ સંકલ્પના સાકાર કરવામાં ડેમોગ્રાફીક ડીવીડન્ડ સમી યુવાશક્તિની ભૂમિકાની છણાવટ કરી હતી.

મુખ્યમંત્રીએ જણાવ્યું કે, વડાપ્રધાનના આવા દ્રષ્ટિવંત આયોજનને પરિણામે જ ઇનોવેશન અને સ્ટાર્ટઅપમાં ગુજરાત દેશનું અગ્રણી રાજ્ય છે. રાજ્યમાં ૧૪ હજારથી વધુ સ્ટાર્ટઅપ સફળતાપૂર્વક કાર્યરત બન્યા છે અને ૧૮૦ થી વધુ ઇન્કયુબેટર્સ છે. ગુજરાત છેલ્લા ત્રણ વર્ષથી સ્ટાર્ટઅપ રેન્કીંગમાં બેસ્ટ પરફોર્મર સ્ટેટ રહ્યું છે તેની વિગતો આપતાં ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું કે, રાજ્ય સરકારે હોનહાર યુવાઓની ટેલેન્ટને વેગ આપવા સ્ટુડન્ટ સ્ટાર્ટઅપ ઇનોવેશન પોલિસી 2.0 શરૂ કરી છે. એટલું જ નહિ, પ૦૦ કરોડ રૂપિયા આ હેતુસર ફાળવ્યા છે એમ તેમણે ઉમેર્યુ હતું. ભૂપેન્દ્ર પટેલે મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના અને ‘શોધ’ જેવી સહાય યોજનાથી ઉચ્ચ અભ્યાસ માટે અત્યાર સુધીમાં સાડા ત્રણ લાખથી વધુ જરૂરતમંદ છાત્રોને આર્થિક ટેકનો મળ્યો છે તેની પણ ભૂમિકા આપી હતી. ગુજરાતે શિક્ષણ ક્ષેત્રે ડ્રોન ટેક્નોલોજી અભ્યાસનું સેન્ટર ઓફ એક્સલન્સ, વિવિધ સેક્ટર સ્પેસીફિક યુનિવર્સિટીઝ અને નવી શિક્ષણ નીતિમાં જે પહેલ વડાપ્રધાનશ્રીના માર્ગદર્શનમાં કરી છે તે ગુજરાતને આત્મનિર્ભર ભારતના નિર્માણ માટે વધુ પ્રોત્સાહન પુરૂં પાડશે એવો વિશ્વાસ મુખ્યમંત્રીએ દર્શાવ્યો હતો.

પૂજ્ય ગાંધીજી અને લોહપુરુષ સરદાર પટેલની આ ભૂમિ પર ભારતના ઉપરાષ્ટ્રપતિ શ્રી જગદીપ ધનખડનું સ્વાગત કરતા શિક્ષણ મંત્રી જીતુ વાઘાણીએ જણાવ્યું હતું કે, વિશ્વાસથી વિકાસના મંત્રને મહત્વ આપતી આ સરકારે શિક્ષણ સહિત તમામ ક્ષેત્રોમાં ઉચ્ચ આયામો સિદ્ધ કર્યા છે. રાજ્યના આ વિકાસલક્ષી પરિવર્તનમાં શિક્ષણ ક્ષેત્રે પણ અનેક સિદ્ધિઓ હાંસલ કરી છે. રાજ્યમાં હાલ ૧૦૩ વિશ્વ વિદ્યાલય તેમજ ૩૦૦૦ થી વધુ કોલેજ કાર્યરત થઇ છે જેમાં રાજ્યના જ નહિ, દેશ વિદેશથી આવી રહેલા વિદ્યાર્થીઓને શ્રેષ્ઠ ઉચ્ચ અને ટેકનીકલ શિક્ષણ આપવામાં આવી રહ્યું છે.

મંત્રી વાઘાણીએ કહ્યું કે, રાજ્યના શિક્ષણ વિભાગ અને જીએનએલયુના સંયુક્ત ઉપક્રમે યોજાયેલા “એકસલન્સ ઈન હાયર એજ્યુકેશન” કાર્યક્રમ અંતર્ગત આજે ભારતના ઉપરાષ્ટ્રપતિ શ્રી જગદીપ ધનખડના હસ્તે ગુજરાતના અનેકવિધ પ્રકલ્પોનાં ઈ-ખાતમહુર્ત અને ઈ-લોકાર્પણ કર્યા તે ઉપરાંત ૨૧મી સદીના વૈશ્વિક પડકારોને પહોંચી વળવા તેમજ રાજ્યમાં ગુણવત્તાયુક્ત શિક્ષણ થકી વિદ્યાર્થીઓને આર્થિક પગભર બનાવી શકાય તે હેતુથી એલ.ડી. કોલેજ ઓફ એન્જિનિયરિંગ ખાતેના રબર, પ્લાસ્ટીક અને કેમિકલ એન્જિનિયરિંગ બ્રાન્ચના બિલ્ડીંગ તેમજ અન્ય ભવનો તેમજ માળખાકીય સુવિધાઓ વિકસાવવા માટે તેમના હસ્તે ઈ-ભૂમિપૂજન કરવામાં આવ્યું જે આપણાં સૌ માટે ગૌરવપૂર્ણ બાબત છે.મંત્રીશ્રીએ વધુમાં કહ્યું કે, દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીના શિક્ષણ ક્ષેત્રે ક્રાંતિ માટેના દીર્ઘદ્રષ્ટિપૂર્ણ કદમ એવા નવી શિક્ષણ નીતિના ઝડપી અમલીકરણ માટે રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ ગુજરાતે વિશેષ રોડમેપ બનાવ્યો છે અને તે દિશામાં પણ ગુજરાત અગ્રેસર છે.

આ કાર્યક્રમમાં ઉપરાષ્ટ્રપતિ શ્રી ધનખડના હસ્તે વિવિધ પ્રકલ્પોનો ડિજિટલી શિલાન્યાસ ઉપરાંત ઇન્સ્ટિટ્યૂટ ઑફ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ટેક્નોલોજી રિસર્ચ એન્ડ મેનેજમેન્ટ (IITRAM) અમદાવાદ ખાતે તેમજ સેન્ટર ઑફ એક્સલન્સ ઇન ડ્રોન ટેક્નોલૉજીનું ઇ-લોકાર્પણ કરવામાં આવ્યું હતું. ઉપરાંત એલ.ડી. કોલેજ ઓફ એન્જિનિયરિંગ ખાતેના રબર, પ્લાસ્ટીક અને કેમિકલ એન્જિનિયરિંગ બ્રાન્ચના બિલ્ડીંગ તેમજ અન્ય ભવનો તેમજ માળખાકીય સુવિધાઓ વિકસાવવા માટે ઈ-ભૂમિપૂજન કરવામાં આવ્યું. આ ઉપરાંત ડો. બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી ખાતે અત્રી સ્પેશ્યલ લર્નિંગ સપોર્ટ સેન્ટર, ગુરુકુલ મોડલ લર્નર સપોર્ટ સેન્ટર તેમજ રિસર્ચ સેન્ટર અને મ્યુઝિયમનું પણ ઈ-ભૂમિપૂજન કરવામાં આવ્યું છે. સાથે સાથે સરકારી ઇજનેરી કોલેજ, ગાંધીનગર ખાતે અંદાજિત રૂ. ૧,૭૫૪ લાખના ખર્ચે નિર્મિત ઈમારતનું ઈ-લોકાર્પણ કરવામાં પણ કરવામાં આવ્યું.

આ પ્રસંગે કાનૂની અને પર્યાવરણ ક્ષેત્રના સ્ટાર્ટઅપ્સ/ઉદ્યોગ સાહસિકો અને રાજ્ય ન્યાયતંત્રના તાજેતરમાં ભરતી થયેલા ન્યાયાધીશોનું ઉપરાષ્ટ્રપતિશ્રી દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું.શિક્ષણ વિભાગે ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણ કેમ્પસની તમામ સરકારી અને ગ્રાન્ટ-ઇન-એઇડ કોલેજોને વાઇ-ફાઇ સુવિધા સાથે સક્ષમ કરી છે. આ કાર્યક્રમ દરમ્યાન ઉપરાષ્ટ્રપતિશ્રી દ્વારા WiFi સક્ષમતા પહેલને લોન્ચ કરવામાં આવી હતી. તે ઉપરાંત વિવિધ યુનિવર્સિટીઓના વાઇસ ચાન્સેલરશ્રી અને પ્રોવોસ્ટને શિક્ષણ વિભાગની સ્ટુડન્ટ સ્ટાર્ટ અપ એન્ડ ઇનોવેશન પોલિસી (SSIP 2.0) 2.0 અંતર્ગત ઉપરાષ્ટ્રપતિના હસ્તે ગ્રાન્ટ વિતરિત કરવામાં આવી. જ્યારે મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના (MYSY)ના લાભાર્થીઓને શિષ્યવૃત્તિ અને SHODH યોજના અંતર્ગત લાભાર્થીઓને સ્ટાઈપેન્ડનું વિતરણ પણ કરવામાં આવ્યું. આ પ્રસંગે શ્રીમતી ડૉ.સુદેશ ધનખડ, રાજ્યના મુખ્ય સચિવ શ્રી પંકજ કુમાર, શિક્ષણ વિભાગના અગ્ર સચિવ શ્રી એસ.જે.હૈદર, જી.એન.એલ.યુના કુલપતિ શ્રી એસ.શાંતાકુમાર તેમજ વિવિધ યુનિવર્સિટીના કુલપતિશ્રીઓ, સ્ટાર્ટઅપર્સ તેમજ વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતાં.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com