અમદાવાદ
ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ રાજીવ ગાંધી ભવન અમદાવાદ ખાતે પ્રેસ વાર્તાને સંબોધતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મીડિયા કો કન્વીનર અને પ્રવક્તા શ્રી હેમાંગ રાવાલે જણાવ્યું હતું કે કોંગ્રેસના યુવા નેતા રાહુલ ગાંધીએ ૪૦૦૯ કિલોમીટર જેટલી લાંબી પદયાત્રા કરીને ભારતને જોડવા માટે થઈને જે ભારત જોડો યાત્રા થકી સેવા યજ્ઞ કરેલો હતો અને પ્રજાનું જે પ્રમાણે અભૂતપૂર્વ સમર્થન મળ્યું હતું યાત્રા બાદ સંસદની અંદર પણ અદાણીજી અને મોદીજીના સંબંધો બાબતે પ્રશ્ન કરી રહ્યા હતા અને તેનો જવાબ આપવા માટે અસક્ષમ એવી ભારતીય જનતા પાર્ટીએ જ્યારે તેમને સાંસદ પદેથી નિષ્કાસિત કર્યા અને તુરંત જ તેઓ ૧૯ વર્ષથી જે બંગલામાં રહેતા હતા તે ખાલી કરવાની નોટિસ આપી. રાહુલ ગાંધીએ લાગણીશીલ હોવા છતાં હસ્તે મોઢે એમ કહીને બંગલા ની ચાવી અધિકારીઓને સોંપી દીધી કે આ “ઘર જોડે મારી યાદો જોડાયેલી છે આ ઘર મને ભારતની જનતાએ ૧૯ વર્ષ સુધી રહેવા આપ્યુ હતું અને હું જનતાને આજે તે પાછું સોંપી રહ્યો છું. આ એજ રાહુલ ગાંધી છે કે જેમના પૂર્વજ જવાલાલ નહેરુએ પોતાનો આનંદ ભવન બંગલો આઝાદીની લડાઈ માટે સમર્પિત કર્યો હતો દેશને અને આઝાદી બાદ ભારતને વિધિવત સોંપ્યો હતો અને તાજેતરમાં રાહુલજીએ કોઈપણ સંકોચ વિના પોતાનું ઘર ખાલી કરી દીધું છે. આજે રાહુલ ગાંધી પાસે દેશમાં પોતાનું એક પણ ઘર નથી પરંતુ ભારતના દેશવાસીઓ પોતાના ઘર રાહુલજીને આપવા માટે તત્પર છે. રાહુલજીએ ઈમાનદારી અને નૈતિકતાની સાચી દિશા પ્રસ્થાપિત કરી છે.બીજી તરફ આજે ભારત દેશની અંદર અને ગુજરાતમાં જે પ્રમાણે તાનાશાહી સરકાર ચાલી રહી છે અને પ્રજાના પૈસે ઉત્સવ અને તાઇફા કરી રહી છે તેનું જીવતું જાગતું ઉદાહરણ એ ગુજરાતના મંત્રીશ્રીઓના ગાંધીનગર સ્થિત રહેલા બંગલા છે. રાહુલ ગાંધી ઉપર કેસ કરનાર ભાજપના પૂર્વ મંત્રીશ્રી પૂર્ણેશ મોદીએ હજી પણ પોતાનો મંત્રીશ્રીઓના નિવાસ સ્થાન સ્થિત પોતાનો મળેલો ગાંધીનગરમાં ગવર્નર હાઉસ સામે મોકાનો સરકારી બંગલો ખાલી નથી કર્યો?, એજ પ્રમાણે પૂર્વ મંત્રી શ્રી જીતુ ચૌધરી, શ્રી કિરીટસિંહ રાણા, શ્રી વિનું મોરડીયા એ પણ બંગલા ખાલી કર્યા નથી ? અને વાપરી રહ્યાની માહિતી પ્રાપ્ત થયેલ છે.
સૌથી ધ્યાન આકર્ષક બાબત એ છે કે ભૂતકાળમાં મુખ્યમંત્રીશ્રીઓ પોતાના માટે એક નંબરનો બંગલો વાપરતા હતા પરંતુ મૃદુ ગણાતા શ્રી ભુપેન્દ્રભાઈ પટેલ મક્કમતાથી બંગલા નંબર ૨૪,૨૫,૨૬,૨૭,૨૮નો ઉપયોગ લોકસેવા માટે કરી રહ્યા છે ?. શ્રી પૂર્ણેશ મોદી અને શ્રી જીતુભાઇ ચૌધરીના નામની તકતીઓ પણ અત્યારે તેઓએ બંગલા ખાલી નથીં કર્યા તેની ચાડી ખાઈ રહી છે.ભૂતકાળમાં શ્રી વિજય રૂપાણી સરકારને હાંકી કઢાયા પછી પણ સરકારના પૂર્વ મંત્રીઓએ શ્રી નીતિન પટેલ, શ્રી ભપેન્દ્ર ચુડાસમા, શ્રી સૌરભ પટેલ, શ્રી ઈશ્વર પરમાર, શ્રી ગણપત વસાવા, શ્રી જયેશ રાદડીયા, શ્રી પ્રદિપ જાડેજા, શ્રી જયદ્રથ પરમાર,શ્રી પરસોતમ સોલંકી, શ્રી ઈશ્વર પટેલ, શ્રી વાસણ આહીર, શ્રી વિભાવરીબેન દવે, શ્રી રમણલાલ પાટકર, શ્રી ધર્મેન્દ્ર જાડેજા અને શ્રી કુંવરજી બાવળિયાના બંગલા પાછા આપ્યા ન હતા.થોડા સમય પહેલા એવા સમાચાર પણ હતા કે હાલના મંત્રીશ્રીઓ જે છે તેમને બંગલો ના મળતા સર્કિટ હાઉસમાં રહેવા મજબૂર થવું પડે છે. પ્રદેશ કોંગ્રેસ સરકારને માગણી કરે છે કે જેટલા પણ મંત્રીઓ પૂર્વ છે અને નૈતિકતાથી તેમણે પોતાના બંગલા ખાલી નથી કર્યા તેમના મકાન ખાલી કરાવવાની નોટિસ આપીને કાયદાકીય રીતે બંગલા ખાલી કરાવીને જનતાના રૂપિયાનો ખોટો વ્યય થતો અટકાવીને કાયદેસરના પગલાં લઈને જનતાને મૃદુતા સાથે મક્કમતાનો વિશ્વાસ આપે.