અમદાવાદનાં ચાંદખેડામાં ગર્ભવતી મહિલાના શંકાસ્પદ મોત કેસમાં પોલીસે પરિણીતાના પતિ કરણ સુથાર અને તેના દિયર અનિલ સુથારની ધરપકડ કરી છે. રાજસ્થાનમાં રહેતા એક પરિવારની દીકરી પારુલના સમાજના રીતરિવાજ મુજબ કરણ સુથાર સાથે લગ્ન કરાવ્યાં હતાં. લગ્ન બાદ દીકરી અમદાવાદ રહેવા આવી હતી. પરંતુ થોડા દિવસ બાદ સાસરિયાઓએ એટલો બધો ત્રાસ આપ્યો અને દહેજની પણ માંગ કરી. દીકરીએ સસરિયાની કરતૂત પિતાને જણાવી. પરંતુ પિતા દીકરીને લેવા આવે તે પહેલાં દીકરી બીમાર છે તેવો કોલ આવ્યો અને દીકરીનો મૃતદેહ મળ્યો. આશ્ચર્યની બાબત એ છે કે દીકરી અમદાવાદમાં રહેતી હતી અને રાતોરાત તેને રાજેસ્થાન લાવ્યા અને મૃત જાહેર કરીને અંતિમ સંસ્કાર કરી દીધા.
પોતાની દીકરીનું મોત કઈ રીતે થયું તે હજી સુધી નહીં જાણી શકનાર પિતાએ ન્યાય મેળવવા માટે પોલીસ સ્ટેશનનાં દ્વાર ખખડાવ્યાં છે અને પોલીસે આ અંગે ગુનો નોંધી કાર્યવાહી કરતા સીસીટીવી હાથ લાગ્યા છે. જેમાં પતિ પત્નીની લાશ લઈને જતો દેખાયો હતો. જેના આધારે પોલીસે પતિ અને દેવરની ધરપકડ કરી છે. મહત્વનું છે કે 2 જુલાઈ ના રોજ પરિણીતાનું ભેદી મોત થયું હતું. ફૂડ પોઈઝનીગ થતા ગર્ભમાં ઝેર ફેલાઈ જતા મોત થયો હોવાનું સાસરીયાએ જણાવ્યું હતું. જો કે યુવતીના પરિવારજનોનો આક્ષેપ છે કે આરોપીઓએ દહેજ બાબતે અવાર નવાર મેણા ટોણા મારી દહેજના રૂપીયા માટે શારીરિક અને માનસિક ત્રાસ આપતા પરિણીતાનું મૃત્યુ થયું છે. જો કે પરિણીતાની હત્યા કરી દેવામાં આવી હોવાનું પણ આક્ષેપ તેમના દ્વારા કરવામાં આવ્યો હતો અને આ અંગે તેઓ શાહીબાગ પોલીસ કમિશ્નર કચેરી પણ રજૂઆત કરવા માટે પહોચ્યા હતાં. જો કે પરિણીતાનું મૃત્યુ કેવી રીતે થયું તે અંગે પોલીસ દ્વારા બંન્ને આરોપીઓની પૂછપરછ શરૂ કરી ને તપાસ શરૂ કરી છે. પરિણીતાએ આત્મહત્યા કરી છે કે તેની હત્યા કરવામાં આવી કે તેનું મૃત્યુ કુદરતી થયું તે અંગે પોલીસએ ઉંડાણ પૂર્વક સાંયોગિક પુરાવા એકત્રિત કરીને વધુ તપાસ શરૂ કરી છે.